સાત વર્ષથી આખો દેશ જેની રાહ જોઇ રહ્યો હતો એ દિવસ આખરે આવી પહોંચ્યો અને અતિશય લાંબી કાનૂની લડાઈના અંતે ૨૦ માર્ચ શુક્રવારે ‘નિર્ભયા’ના ઘૃણાસ્પદ બળાત્કાર અને ક્રૂર હત્યાના દોષિતોને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપી દેવાઈ છે. આ દોષિતોને ફાંસી આપી દેવાઈ તેનાથી રાજી થઈ જવાની જરૂર નથી કારણ કે આજે પણ દેશમાં બળાત્કારીઓ ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે. વિચિત્રતા તો એ છે કે ચારેય દોષિતો ફાંસી અપાયા પછી યુએન અને અન્ય માનવાધિકાર સંસ્થાઓએ ભારતમાંથી ફાંસીની સજા રદ કરવા માગણી કરી છે.
ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં એક યુવતી ‘નિર્ભયા’ સાથે ચાલુ બસમાં ઘૃણિત સામૂહિક બળાત્કારની ઘટનાથી દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ હિચકારા કૃત્યના વિરોધમાં દેશમાં એક પ્રકારનું આંદોલન છેડાયું હતું. યુવાવર્ગ સડકો પર ઉતરી આવવા સાથે એક સામાજિક ક્રાંતિનો આરંભ થયો હતો. જોકે, લોકોની માનસિકતાના કારણે આ થોડાં દિવસો પૂરતું જ રહ્યું અને કિસ્સો જાણે ‘નિર્ભયા’ના માતા-પિતાનો બનીને રહી ગયો.
‘નિર્ભયા’ની માતા આશા દેવીએ આખરે તેમની દીકરીને ન્યાય મળ્યો હોવાની લાગણી પ્રગટ કરી, લોકોએ પણ ખુશી દર્શાવી પરંતુ, આવી ઘણી નિર્ભયા ન્યાયની દુહાઈ દઈ રહી છે. આંકડા જોઈએ તો ૨૦૧૮માં ભારતભરમાં બળાત્કારના ૩૩,૩૫૬ કેસ નોંધાયા હતા અને સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા અને અપરાધના કિસ્સા વધતા જ રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોનો રિપોર્ટ કહે છે કે ૨૦૧૮માં બળાત્કારના ૧.૫ લાખથી વધુ કેસ ટ્રાયલ હેઠળ હતા અને આરોપીને દોષિત જાહેર કરાયાનો દર ૨૭.૨ ટકા હતો.
ભારતમાં બળાત્કાર વિરુદ્ધ સખત કાયદા તો છે પરંતુ, કાનૂની પ્રક્રિયા ઘણી લાંબી અને છીંડાથી ભરેલી છે. નિર્ભયાના કેસમાં પણ આમ જ થયું છે. ફાંસી જાહેર કરાયા પછી કેટલીય વખત તેને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા. ચાર આરોપીને એક સાથે કે અલગ અલગ ફાંસી આપવાના મુદ્દાએ પણ ઘણો સમય બગાડ્યો. સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટ જ નહિ, નાની કોર્ટ્સમાં પણ ડેથ વોરંટ્સ વિરુદ્ધ સંખ્યાબંધ અપીલો કરાઈ હતી. ફાંસી અપાવાની હતી તે જ રાત્રે સુપ્રીમ કોર્ટમાં રાત્રે જ અરજીની સુનાવણી કરાઈ હતી. હકીકત એ છે કે, મૃત્યુદંડ સામે કાયદાના લાંબા હાથને તોડીમરોડી શકાશે તેવી માનસિકતા ઘર કરી ગઈ છે. નિર્દોષ વ્યક્તિ મરવો જોઈએ નહિ તે વાત જેટલી સાચી છે તેટલું જ સત્ય ગુનેગાર કદાપિ છૂટવો ન જોઈએ તે પણ છે. દોષિતોના ન્યાયના અધિકારની વાત ભલે કરાતી હોય પરંતુ, પીડિતના અધિકારો તરફ નજર નાખવાની પણ આવશ્યકતા છે.