નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના નગરોટામાં અથડામણમાં માર્યા ગયેલા ચાર પાકિસ્તાની આતંકીઓ અંગે મોટો ખુલાસો થયો છે. આતંકીઓ મુંબઈ જેવા હુમલાના કાવતરાંને અંજામ આપવા ભારતમાં ઘૂસ્યા હતા. સુરક્ષા એજન્સીઓને તપાસમાં આ માહિતી મળી છે. આ મામલે તપાસ એનઆઈએએ તપાસ શરૂ કરી છે. ભારતીય સુરક્ષા દળોએ નગરોટામાં એક એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ટ્રક સહિત ઉડાવી દીધા હતા. આતંકીઓ ચોખાના કોથળા ભરેલી ટ્રકમાં બંકર જેવી વ્યવસ્થા કરીને છુપાયા હતા.
વડા પ્રધાન મોદીએ આ એન્કાઉન્ટર અંગે શુક્રવારે ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ, વિદેશ સચિવ અને ઇન્ટેલિજન્સ અધિકારીઓ સામેલ થયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે આ આતંકી પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના હોય શકે છે. તેઓએ હાલમાં જ ભારતમાં ઘુસણખોરી કરી હતી. આ હુમલા માટે તેઓએ જૂની રણનીતિને જ અપનાવી હતી. જમ્મુ ઝોનના આઇજી મુકેશ સિંહે જણાવ્યું હતું કે આ આતંકી જિલ્લા પરિષદની ચૂંટણી પહેલાં મોટા હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યાં હતા. આ ચૂંટણી ૨૮ નવેમ્બરથી ૧૯ ડિસેમ્બર વચ્ચે ૮ ફેઝમાં યોજાઇ રહી છે.
ઉલ્લેખનીય છેે કે મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮નાં રોજ લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકીઓએ અનેક જગ્યાએ હુમલા કર્યા હતા. આ હુમલામાં ૧૬૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આતંકી કરાચીથી સમુદ્રના રસ્તે મુંબઈ પહોંચ્યા હતા.
આતંક ફેલાવવાનો પ્રયાસ ફરી નિષ્ફળ: મોદી
બેઠક પછી વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પાક. વિરુદ્ધ પ્રહાર કર્યા. તેમણે લખ્યું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૪ આતંકી એક મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. આતંકીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલાં ભારે માત્રામાં હથિયારો તથા વિસ્ફોટક એ વાતનો સંકેત આપે છે.
જોકે સરહદ પારથી આતંક ફેલાવવાના પ્રયાસોને ફરી એક વાર નિષ્ફળ બનાવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે ૧૯ નવેમ્બરે વહેલી પરોઢે ટ્રકમાં છુપાઈને આવી રહેલા જૈશ-એ-મોહમ્મદના ૪ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓ શકરગઢમાંથી ભારતમાં દાખલ થયા હતા. અહીં પાકિસ્તાની રેન્જર્સનું હેડ ક્વાર્ટર છે. આથી ઘૂસણખોરીમાં તેમની સંડોવણીનો ઈનકાર કરી શકાય નહીં.
તો આ રીતે જ ખાત્મો થશેઃ આર્મી ચીફ
ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ એમ. એમ. નરવણેએ જણાવ્યું હતું કે નગરોટાના ઓપરેશન પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે કોઈ એલઓસી પાર કરીને ભારતમાં ઘૂસશે તેનો આ રીતે જ ખાતમો કરાશે. તે પાકિસ્તાન પાછો જઈ શકશે નહીં. સુરક્ષા દળો દ્વારા આ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે, જે અલગ અલગ દળો વચ્ચેનો અદભુત તાલમેલ દર્શાવે છે.