પાક.ના તોપમારા સામે ભારતની પીઓકેમાં પિનપોઈન્ટ સ્ટ્રાઈકઃ ૧૧ સૈનિકો ઠાર

Thursday 26th November 2020 04:47 EST
 
 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસાડવાના સતત પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલા ટેરર લોન્ચિંગ પેડ પર એર સ્ટ્રાઈક કરીને સફાયો કર્યો હોવાના હોવાના અહેવાલો ૧૯ 
નવેમ્બરે સોશિયલ મીડિયામાં છવાયા હતા. 
જોકે એક સમાચાર એજન્સીના અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતુ કે, ભારતીય સેનાએ પીઓકેમાં પિન પોઈન્ટ સ્ટ્રાઈક કરીને ટેરર લોન્ચિંગ પેડનો સફાયો કર્યો હતો. હકીકતે ૧૯ નવેમ્બરે ભારતે કોઈ એર સ્ટ્રાઈક કરી ન હતી. દિવાળી ટાણે પાકિસ્તાન દ્વારા સરહદે ૧૩ નવેમ્બરે યુદ્ધવિરામનો ભંગ કરીને ભારે તોપમારો કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ભારતીય સેનાએ પિન પોઈન્ટ સ્ટ્રાઈક કરી હતી.
ભારતે પીઓકેમાં આવેલી પાક. સેનાની ચોકીઓ અને ટેરર લોન્ચ પેડ તોડી પાડ્યા હતા. ભારતીય સુરક્ષા દળોની આ કાર્યવાહીમાં ૧૧ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે બીજા જીવ બચાવીને નાઠા હતા. મહત્ત્વની વાત એ છે કે, સમાચાર એજન્સીના અહેવાલ બાદ ઘણા મીડિયામાં તાજેતરમાં ભારતે એર સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો ફરતા થયા હતા, જે હકીકતે ગત અઠવાડિયે થયેલી સ્ટ્રાઈકને જ દર્શાવતા હતા.
તાજેતરમાં કોઈ સ્ટ્રાઈક કરાઈ નથીઃ સેના
ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી હતી કે ભારત દ્વારા પીઓકેમાં ૧૯ નવેમ્બરે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મીડિયા અહેવાલોમાં ભારતીય એરફોર્સે એર સ્ટ્રાઈક કરી હોવાના સમાચાર સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. અને સોશિયલ મીડિયા પર એર સ્ટ્રાઈક ટોપ ટ્રેંડમાં હતી. ભારતીય સેનાના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓફરેશન લે. જનરલ પરમજિતસિંહે જણાવ્યું હતું કે, એલઓસી પર તાજેતરમાં ભારતીય સેનાની કાર્યવાહીના અહેવાલો હકીકતે તો ગયા અઠવાડિયે થયેલી પિન પોઈન્ટ સ્ટ્રાઈકના છે.


comments powered by Disqus