શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના વિવાદિત રોશની જમીન કૌભાંડ કેસમાં સીબીઆઇ દ્વારા તપાસ શરૂ થઇ ગઇ છે. પ્રાથમિક અંદાજ અનુસાર રાજ્યના ટોચના નેતાઓને સંડોવતું આ કૌભાંડ લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનું છે. જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટે રોશની એક્ટને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરીને તે કાયદા હેઠળ ફાળવવામાં આવેલી તમામ જમીનના નામાંતરણ રદ કરીને છ મહિનામાં જમીન પાછી મેળવવાના આદેશ કર્યા છે. હાઇ કોર્ટે આ કાયદાની આડમાં આચરવામાં આવેલા કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપી છે.
એક અહેવાલ મુજબ તપાસ એજન્સીએ આ કેસમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓને આરોપી બનાવ્યા છે. તો બીજી તરફ, કૌભાંડમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ પ્રધાન સહિત સંખ્યાબંધ રાજનેતાના નામ સામે આવ્યા છે. તે તમામ રાજનેતાએ સરકારી જમીનને ગેરકાયદે ધોરણે પોતાને નામે કરી લીધી હતી.
જમ્મુ-કાશ્મીર લાંચરુશ્વત વિભાગ આ પ્રકરણમાં પહેલેથી કેસ દાખલ કરી ચૂક્યો છે. કોર્ટે સીબીઆઇ તપાસના આદેશ કરતા હવે તેણે સમગ્ર ષડયંત્ર મુદ્દે ત્રણ એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
શું છે રોશની એક્ટ?
૧૯૯૯માં સરકારી જમીન પર ગેરકાયદે વસી રહેલા ગરીબ લોકોને કાયદેસર રીતે મામૂલી કિંમતે જમીન ઉપલબ્ધ કરાવવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. કાયદામાં જોગવાઇ કરવામાં આવી હતી કે સરકારી જમીન પર ૧૯૯૦ પૂર્વેથી બિનઅધિકૃત કબજો ધરાવનારને ૧૯૯૦ના બજાર દરે માલિકી કબજો સોંપવામાં આવે. તત્કાલીન ફારુક સરકારે જાહેર કર્યું હતું કે કાયદાના અમલથી થનારી આવકને ઉપયોગ જમ્મુ-કાશ્મીરના પાવર પ્રોજેક્ટમાં કરવામાં આવશે. આ રીતે થનારી આવકનો ઉપયોગ પાવર પ્રોજેક્ટ માટે થવાનો હોવાથી કાયદાને રોશની એક્ટ નામ આપવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૦૨માં રોશની એક્ટનો અમલ શરૂ થયો હતો. ૧૯૯૦થી થયેલા તમામ ગેરકાયદે જમીન કબજાના કેસમાં તે કાયદાનો અમલ થયો હતો. આ પછી સમયાંતરે એક્ટ સાથે ચેડાં થતાં રહ્યાં અને નેતાઓથી માંડીને અધિકારીઓએ કાયદાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન પચાવી પાડીને ઊંચા ભાવે વેચી મારી હતી. હવે સરકારી જમીન હડપવાના આ કૌભાંડ વિશે તપાસ શરૂ થઇ ચૂકી છે.
કયા નેતાઓની સંડોવણી ?
આ કૌભાંડમાં પૂર્વ નાણા પ્રધાન હસીબ દરબો અને તેમના સગા શાહજાદ બાનોના નામનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત કોંગ્રેસ નેતા કે.કે. અમલા અને તેમના સગાવહાલા પણ આ કૌભાંડમાં સામેલ હોવાની વાતને સમર્થન મળે છે. તે બધા પાસેથી તેમણે મેળવેલી સરકારી જમીન પાછી મેળવવામાં આવશે. આ ઉપરાંત મહમદ શફી પંડિત, સૈયદ મુઝફ્ફર આગા, તનવીર કિચલૂ જેવા ટોચના પ્રાદેશિક નેતાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.