નૌકાદળ જાસૂસી કાંડઃ અબડાસાના પાંચની તપાસ

Monday 24th August 2020 15:08 EDT
 

ભુજઃ આંધ્ર પ્રદેશમાંથી ભારતીય નૌકાદળના જવાનો પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયા તેમના કચ્છ કનેકશનની તપાસ ચાલી છે. આ માટે એનઆઈએની ટીમે કચ્છમાં ધામા નાંખ્યા છે. અગાઉ જે લોકોની આ મામલે આંધ્ર પ્રદેશની એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી તે લોકોની સતત પૂછપરછ ચાલી છે.
આ ઘટનામાં અબડાસા તાલુકાના ચાર સહિત પાંચની તપાસ ચાલે છે. મુંબઈની મહિલાના ખાતામાં ચકાસણી માટે ટોકન રકમ ટ્રાન્સફર કરાઈ તે મામલે આ પાંચની તપાસ ચાલે છે. ગત વર્ષે પાકિસ્તાન દ્વારા હની ટ્રેપમાં ફસાયેલા અને વિશાખાપટ્ટનમમાં ફરજ બજાવતા ભારતીય નૌકાદળના નવેક જેટલા અધિકારીઓ અને જવાનોની દુશ્મન દેશ વતી જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા લોકોના મોબાઈલમાંથી કચ્છના અમુક લોકોનાં મોબાઈલ નંબર મળી આવ્યા હતા. તેમજ મુંબઈ સ્થિતિ એક મહિલા દ્વારા નાણાની હેરફેર માટે થયેલા ટ્રાન્ઝેક્શન અંગે પણ વિગતો મળી હતી. તે વખતે આંધ્ર પ્રદેશ એટીએસની ટીમ કચ્છમાં આવી હતી અને અબડાસા તાલુકાના બે જણા તથા મુંબઈની એક મહિલાના બેન્ક એકાઉન્ટમાં નાણાંનો હવાલો નાંખવા એક રૂપિયાની રકમ ટ્રાયરેપ ટ્રાન્ઝેક્ટ કરી હતી. વાઘોર પંથકના બે ભાઈઓ રડારમાં આવ્યા બાદ તેમાંથી એકની પૂછપરછ કરી હતી. ત્યારે તેણે તેના ભાઈએ આ કામ કર્યું હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે હવે એનઆઈએ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.


    comments powered by Disqus