યુકે કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના મહામારીના લોકડાઉનના પરિણામે આર્થિક ગતિવિધિઓ બંધ થયા પછી લોકોને આર્થિક બોજ સહન કરવો પડે નહિ તેવા આશય સાથે ચાન્સેલર રિશિ સુનાકે ભારે ખર્ચાઓ સાથેની યોજનાઓ જાહેર કરી પરંતુ, યુકેના હાલકડોલક અર્થતંત્ર પર જાહેર કરજનો બે ટ્રિલિયન પાઉન્ડનો જંગી બોજ આવી પડ્યો છે. આવા બોજની સામે કેટલીક નાણાકીય રાહત મેળવી શકાય તે હેતુસર ચાન્સેલર સુનાકે વયોવૃદ્ધોને સરકારી પેન્શનની ટ્રિપલ લોક પોલિસી હાલ પુરતું બંધ કરવાનો મત દર્શાવ્યો તેની સામે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને તેમના કેટલાક સાથીઓએ વિરોધ કર્યો છે. તેમની દલીલ એ છે કે આ પોલિસી ટોરી ચૂંટણી ઘોષણાપત્રનો હિસ્સો છે તેમાંથી પીછેહઠ થાય નહિ.
બીજી તરફ, જ્હોન્સન સરકાર પણ એ-લેવલના પરિણામોથી માંડી શાળાઓમાં ભોજનના વાઉચર તેમજ કોવિડ-૧૯ની પ્રાદેશિક કોન્ટાક્ટ ટ્રેસિંગ એપની જરુરિયાત જેવા નિર્ણયોમાં પીછેહઠ કરવાના કારણે લોકોનો વિશ્વાસ ગુમાવતી જાય છે. એ-લેવલ પરિણામોમાં અરાજકતામાં ભૂમિકા બદલ જવાબદાર એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસન તેમજ લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા પ્રેસ સેક્રેટરી ડોમિનિક કમિન્સનું સતત સમર્થન કરવા બદલ યુકેના જહાજના કેપ્ટન બોરિસ જ્હોન્સનની લોકપ્રિયતાને નકારાત્મક અસરો પહોંચી છે.
વડા પ્રધાન તરીકે જ્હોન્સનની ઘટતી લોકપ્રિયતાનું YouGov દ્વારા કરાયેલા પોલનું સમર્થન મળ્યું છે. આ પોલમાં ૩૪ ટકા મતદારોએ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર શ્રેષ્ઠ વડા પ્રધાન બની રહેશે તેવો પસંદગીનો કળશ ઢોળ્યો છે તેની સરખામણીએ વર્તમાન વડા પ્રધાનની તરફેણમાં ૩૨ ટકાએ મતદાન કર્યું છે. આવા સંજોગોમાં વડા પ્રધાન જ્હોન્સન માટે તેમના સમર્થક એવા ૬૫ વર્ષથી વધુ વયના પેન્શરોને નારાજ કરવાનું પોસાય તેમ નથી. જોકે, તેમના આવા અભિગમના કારણે જ પેન્શન સ્કીમની ટ્રિપલ લોક પોલિસી મુદ્દે તેમના વિશ્વાસુ અને માનીતા ચાન્સેલર રિશિ સુનાક સાથે મતભેદો સર્જાયા છે. ચાન્સેલર સુનાકે અગાઉ પણ પેન્શન સિસ્ટમમાં વિસંગતિઓ બાબતે ચિંતા વ્યક્ત કરેલી છે. સ્થિતિ એવી છે કે જ્યારે વેતનો ઘટવાની અપેક્ષા હોય ત્યારે પણ સરકારી પેન્શનરોને બીજા વર્ષના પેન્શનની ચૂકવણીમાં સીધા ૧૮ ટકાનો વાર્ષિક ઉછાળો જોવા મળે છે. આમ, સુનાક હવે કામચલાઉ રીતે આ નીતિને સસ્પેન્ડ કરવા વિચારી રહ્યા હોવાનું કહેવાય છે.
અત્યારે તો ઈન્ફ્લેશનના CPI પ્રમાણમાં જોવા મળતી જીવનધોરણની વધતી કિંમત, સરેરાશ વેતનોમાં વધારો અથવા ૨.૫ ટકા, આ ત્રણમાંથી સૌથી વધુ હોય તેના આધારે દર વર્ષે સરકારી પેન્શનમાં વધારો થાય છે. આ ટ્રિપલ લોક પોલિસીને કન્ઝર્વેટિવ સરકારે અપનાવી છે. જોકે, જ્હોન્સનને મુખ્ય ચિંતા એ છે કે આ નીતિ કામચલાઉ પણ સસ્પેન્ડ કરાય તો કન્ઝર્વેટિવ પાર્ટીને સતત સમર્થન સાથે બહુમતી અપાવનારા વયોવૃદ્ધ પેન્શનરો તેમનાથી વિમુખ થઈ જશે અને યુવાવર્ગનો ટેકો ધરાવતી લેબર પાર્ટીની સાથે થઈ જશે.
રાજનેતાઓના આ ગરમાગરમ વિવાદમાં પેન્શન સંબંધિત ચેરિટી સંસ્થાઓ પણ કૂદી પડી છે. તેમની દલીલ એ છે કે અન્ય આંતરરાષ્ટ્રીય દેશોની સરખામણીએ યુકેમાં વૃદ્ધ લોકોને મળતી પેન્શનની રકમ નગણ્ય અને પ્રમાણમાં ઓછી છે. જોકે, ઓક્ટોબર મહિનામાં ફર્લો સ્કીમ બંધ થઈ રહી છે ત્યારે સરકારે નાણાકીય બચત કરવી પડશે અથવા વધુ કરજનો ભાર ઉઠાવવો પડશે. કેટલાક અર્થશાસ્ત્રીઓ ઓછામાં ઓછું ગેરન્ટીને સસ્પેન્ડ કરાવાની ધારણા રાખે છે અને પોલિસીના પુનઃ મૂલ્યાંકનની તરફેણ કરી રહ્યા છે.
વડા પ્રધાન અને ચાન્સેલર વચ્ચે આ મુદ્દે મતભેદ અવશ્ય છે પરંતુ, કોઈ મનભેદ જણાતો નથી. બોરિસ અને સુનાકની જુગલજોડી સામે વયોવૃદ્ધોને ખુશહાલ રાખી પાર્ટીની લોકપ્રિયતાને ટકાવી રાખવા સાથે અર્થતંત્રના જહાજને ડુબતું બચાવવાનો યક્ષપ્રશ્ન રહ્યો છે. હાલ તો પ્રશ્ન એ પણ થાય છે કે ઓટમ બજેટમાં સુનાક શું પસંદ કરશે?