• દર્દીઓનું વેઈટીંગ લિસ્ટ ઘટાડવા નર્સિસ માઈનોર સર્જરી કરશે
વેઈટીંગ સમય ઘટાડવાના પ્રયાસમાં વધુ નર્સિસને સર્જિકલ પ્રોસીઝર્સની તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કરાશે. સર્જિકલ કેર પ્રેક્ટીશનર્સે ત્રણ વર્ષના ડિગ્રી કોર્સ બાદ બે વર્ષનો માસ્ટર્સ કોર્સ કરવાનો હોય છે જે તેમને માઈનોર સર્જરી કરવાની લાયકાત પૂરી પાડે છે. હોસ્પિટલોમાં ૮૦૦ સર્જિકલ કેર પ્રેક્ટીશનર્સ કામ કરે છે. પરંતુ, સર્જનો માને છે કે પરિસ્થિતિ સુધરે તે માટે વધુ હજારો કેર પ્રેક્ટીશનર્સની જરૂર પડશે. વેઈટીંગ લિસ્ટમાં અંદાજ મુજબ ૪.૪ મિલિયન દર્દીઓ છે, તેમાંથી ઘણાં એક વર્ષ કરતાં વધુ સમયથી લિસ્ટમાં છે.
• ભોજનમાં દરરોજ ફ્રૂટ અને શાકભાજી લેવાથી સ્ટ્રોકનું જોખમ ઘટે
દરરોજ એક ફ્રૂટ અને વધુ પ્રમાણમાં શાકભાજી ખાવાથી તદન સામાન્ય પ્રકારના સ્ટ્રોકના જોખમમાં ૧૩ ટકા સુધીનો ઘટાડો થાય તેમ અભ્યાસમાં જણાયું હતું. વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે ચોક્કસ પ્રકારના ફૂડ અને બે પ્રકારના સ્ટ્રોક આવવાની શક્યતા વચ્ચે સંબંધ વિશે સંશોધન કર્યું હતું. દરરોજ એક એપલ અને પૂરતા પ્રમાણમાં બ્રોકોલી લેવાથી એટલે કે ૨૦૦ ગ્રામ જેટલાં ફ્રૂટ અને શાકભાજી લેવાથી ઈસ્કેમિક સ્ટ્રોકનું જોખમ ૧૩ ટકા સુધી ઘટે છે. દરરોજ વધારાના ૧૦ ટકા ફાઈબર લેવાથી તેનું જોખમ ૨૩ ટકા સુધી ઘટે છે. ડેરી પ્રોડક્ટ્સ લેવાથી પણ સ્ટ્રોકનું જોખમ ઘટે છે.
• બ્રિટનમાં રોજગારીનો દર વિક્રમજનક ૭૬.૫ ટકા થયો
ગયા વર્ષના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં અને એક દાયકા કરતાં પણ વધુ સમય બાદ કામ કરતાં લોકોની સંખ્યા વિક્રમજનક થઈ હતી અને સરેરાશ વેતન અગાઉ સર્જાયેલી મંદી પહેલાં જે ટોચ પર હતું તેને વટાવી ગયું હતું. વેતન વૃદ્ધિની ઝડપ ઘટી હોવા છતાં ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બ્રિટનનો રોજગારી દર વધીને ૭૬.૫ ટકા થયો હતો. તે ગાળામાં વધુ ૧૮૦,૦૦૦ લોકોને કામ મળ્યું હતું અને કામ કરતાં લોકોની સંખ્યા વધીને ૩૨.૯ મિલિયન થઈ હતી. છેલ્લાં એક દાયકામાં ઈંગ્લેન્ડમાં નોકરીઓમાં જે વધારો થયો તેમાં અડધા જેટલો વધારો લંડન અને સાઉથ-ઈસ્ટમાં થયો હતો.
• યુકેની ડિજીટલ બેંકોમાં યુઝર્સની સંખ્યા ૨૦ મિલિયન નજીક પહોંચી
યુકેમાં ચાલતી ડિજીટલ બેંકોમાં ગ્રાહકોની સંખ્યા ૨૦૧૯માં ૨૦ મિલિયન નજીક પહોંચી હતી. પરંતુ, ધીમા કસ્ટમર અને ડિપોઝીટ ગ્રોથનો અર્થ એવો થાય કે આ બેંકો સમક્ષ લાંબા ગાળાની નફાકારકતા માટે પડકારો ઉભા થશે તેમ નવા આંકડામાં જણાયું હતું. મોન્ઝો, રિવોલ્ટ અને સ્ટર્લિંગ બેંક સહિતની ડિજીટલ બેંકોના દુનિયાના ગ્રાહકોની સંખ્યા ૨૦૧૯ના પ્રથમ છ મહિનામાં ૧૯.૬ નિલિયન થઈ હતી. ૨૦૧૯ના બીજા છ માસિક ગાળામાં ક્સટમર ગ્રોથમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો અને તેમનું સરેરાશ ડિપોઝીટ બેલેન્સ ગ્રાહક દીઠ ૨૫ ટકા ઘટીને ૩૫૦ પાઉન્ડથી ૨૬૦ પાઉન્ડ થયું હતું.
• અસાધ્ય રોગોની સારવારમાં આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ
અસાધ્ય રોગોમાં અસર કરે તેવા એન્ટિબાયોટિક્સ શોધવા માટે આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે જે ડ્રગ રેસિસ્ટન્સ સામેની વૈશ્વિક લડતમાં મહત્ત્વના નવા સાધનનો સંકેત આપે છે. જર્નલ સેલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ ૩૫ શક્તિશાળી બેક્ટેરિયાનો ખાત્મો બોલાવી દેનારા એન્ટિબાયોટિક હેલિસિનની શોધ કરી હોવાનું જણાવ્યું હતું.
• ટીકા થતાં બાર્ક્લેઝે કર્મચારીઓ પર દેખરેખ માટેના કેમેરા હટાવ્યા
બાર્કલેઝે લંડનના મુખ્યમથકે કર્મચારીઓ કેવી રીતે તેમનો સમય વીતાવે છે તેની દેખરેખ રાખવા માટેના સર્વેલન્સ સોફ્ટવેરનો ઉપયોગ પડતો મૂક્યો હતો. ઉત્પાદકતા વધારવાના હેતુથી બેંકના ઈન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં આ સિસ્ટમ લગાવાઈ હતી. કર્મચારીઓ એક કામ પૂરું કરવામાં કેટલો સમય લે છે તેની માહિતી આ સિસ્ટમ આપતી હતી. પ્રાઈવસી એક્સપર્ટ્સે આવી દેખરેખને અયોગ્ય ગણાવી હતી. કંપનીએ ‘બીગ બ્રધર’ સોફ્ટવેર લગાવીને એક અઠવાડિયા બાદ તેને કાઢી લીધું હતું. લોકો અને સ્ટાફે આ સોફ્ટવેર માટે ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા. સ્ટાફ તો પાણી પીવા કે વોશરૂમ જવા માટે પણ પોતાની જગ્યા છોડતાં ગભરાતા હતા.
• સોશિયલ કેર સેક્ટરને કાર્યરત રાખવા જંગી રકમ જરૂરી
લો સ્કીલ્ડ માઈગ્રેશનના આવેલા અંતને પહોંચી વળવા માટે સોશિયલ કેર સેક્ટરને મદદરૂપ થવા ટેક્સપેયર્સ પાસેથી જંગી રકમની જરૂર પડશે તેવો અંદાજ નિષ્ણાતોએ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈયુ સ્ટાફની ખોટને સરભર કરવા માટે વધુ રકમ ચૂકવવાથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સોશિયલ કેર સિસ્ટમને વધુ તકલીફ પડશે. તેની સૌથી વધુ અસર વૃદ્ધો, કેન્સરના દર્દીઓ અને NHSને થશે. મિનિસ્ટરોએ સોશિયલ કેરના સંચાલકોને તેમના સ્ટાફને વધુ વેતન ચૂકવવા તાકીદ કરી હતી. જોકે, કંપનીઓનું કહેવું છે કે કેર માટે કાઉન્સિલો દ્વારા તેમને ખૂબ ઓછી રકમ મળતી હોવાથી વધુ વેતન ચૂકવવાનું શક્ય બનશે નહીં.
• સ્કૂલોના બજેટ પર કાપની શિક્ષણ પર ગંભીર અસર
ફંડિંગમાં કાપ વિશે પહેલી વખત દરમિયાનગીરી કરતાં ઓફસ્ટેડના વડા આમન્ડા સ્પીલમેને જણાવ્યું હતું કે સ્કૂલોના બજેટ પર કાપ મૂકવાથી શિક્ષણ પર ગંભીર અસર થાય છે. તેમણે ઉમેર્યું હતું કે સ્પેશિયાલિસ્ટ ટીચરોની ભરતી થતી નથી અને ટીચીંગ આસિસ્ટન્ટ્સ ભણાવે છે અને નાણાં બચાવવા માટે અભ્યાસક્રમમાં કાપ મૂકાય છે.
• કાર્બન ઉત્સર્જન ઘટાડવા દસ વર્ષમાં £૧.૬૮ બિલિયનનું રોકાણ કરાશે
લિબર્ટી સ્ટીલ ગ્રૂપને ૨૦૩૦ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સંજીવ ગુપ્તાએ આગામી દસ વર્ષમાં પોતાના સ્ટીલ પ્લાન્ટ્સમાં ૧.૬૮ બિલિયન પાઉન્ડ(૨ બિલિયન યુરો)નું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓ ઉભી કરાશે અને ઉત્પાદનને વેગ અપાશે. કાર્બન ઉત્સર્જનને ઘટાડવાની યોજનામાં રોમાનિયા અને ઝેક રિપબ્લિકમાં નવી ફરનેસ ઉભી કરાશે અને ફેક્ટરીઓને આધુનિક બનાવાશે.
• HSBC દુનિયામાં તેના ૩૫,૦૦૦ કર્મચારીઓને છૂટાં કરશે
HSBC તેના મંદ પડી ગયેલા બિઝનેસને પુનર્જિવીત કરવાના પ્રયાસમાં યુરોપ અને અમેરિકામાં કામકાજમાં ઘટાડો કરવાના ભાગરૂપે દુનિયાભરમાંથી ૩૫,૦૦૦ કર્મચારીઓને છૂટાં કરશે. HSBC દ્વારા જણાવાયું હતું કે આર્થિક કટોકટી પછી ધરખમ ફેરફારમાં તે ૨૦૨૨ના અંત સુધીમાં ૭૭.૫ બિલિયન પાઉન્ડ(૧૦૦ બિલિયન ડોલર)ની મિલ્કતો કાઢી નાંખશે અને વાર્ષિક ખર્ચમાં લગભગ ૩.૫૦ બિલિયન પાઉન્ડ (૪.૫ બિલિયન ડોલર) નો કાપ મૂકશે.
• હત્યારા કેદીએ જેલ સ્ટાફ પર હુમલો કર્યો
ગુનેગાર ઠેરવવામાં આવેલા હત્યારાએ તાજેતરમાં વીન્ચેસ્ટર જેલમાં સ્ટાફ પર જેહાદી જેવો હુમલો કર્યો હતો. જોકે, તે ભૂતકાળમાં આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હતો. આ હિંસક કેદીએ ઓફિસરોને સેગ્રીગેશન યુનિટમાં પોતાના સેલમાં આવવા માટે લલચાવવા આપઘાત કરવાનો દેખાવ કર્યો હતો. ઓફિસરો પાસે આવતા જ તેણે કોણીમાં સંતાડી રાખેલા હથિયારથી તેમના પર હુમલો કર્યો હતો. તે જેહાદી હુમલાની તૈયારી કરતો હોવાનું અન્ય કેદીઓએ ઓફિસરોને જણાવ્યું હતું.
• એન્ટિબાયોટિક્સ અને જન્મજાત ખોડને પરસ્પર સંબંધ
સગર્ભાવસ્થાની શરૂઆતમાં સામાન્ય એન્ટિબાયોટિક્સનો ઉપયોગ બાળકમાં જન્મજાત ખોડનું જોખમ વધારે છે. બેક્ટેરિયાથી થતાં ચેપની સારવારમાં જે દર્દીઓને પેનિસિલિનની એલર્જી હોય તેમને વિકલ્પ તરીકે મેક્રોલાઈડ એન્ટિબાયોટિક્સ અપાય છે. જોકે, નિષ્ણાતોએ ગર્ભાવસ્થા દરમિયાન તેના ઉપયોગમાં સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન આપવું જોઈએ.
• વીગનને ઓફિસ ફ્રીજમાં અલગ શેલ્ફ આપવા આદેશ
કંપનીઓ માટે તૈયાર કરાયેલી નવી ગાઈડલાઈન્સ મુજબ વીગન્સને ઓફિસ ફ્રીજમાં અલગ શેલ્ફ આપવામાં આવશે. વીગન્સ કામકાજના સ્થળે કાયદેસર રક્ષિત હોવાનો એક જજે ચૂકાદો આપ્યા બાદ વીગન સોસાયટીએ સ્ટાફમાં વીગન્સની કેવી રીતે દેખરેખ રાખવી તેના વિશે એમ્પ્લોયર્સને માટે સલાહસૂચના જારી કરી હતી. વીગન્સને કલર-કોડેડ સાધન અને ફૂડ તૈયાર કરવા માટે તેમને અલગ જગ્યા આપવાની રહેશે.
• ભાડું ચૂકવવા ઉંચા વ્યાજદરની લોન લેતાં વિદ્યાર્થીઓ
૩૩ ટકા જેટલાં વિદ્યાર્થીઓ મકાનનું ભાડું ચૂકવવા માટે કોમર્શિયલ ધીરાણકારો પાસેથી ઉંચા વ્યાજે લોન લેતા હોવાનું વિદ્યાર્થીઓના વસવાટ વિશેના સર્વેમાં જણાયું હતું. મિત્રો, પરિવાર અને એમ્પ્લોયર્સ પાસેથી લોન લેનારા વિદ્યાર્થીઓને ગણતરીમાં લેવાય તો મકાનમાલિકને ભાડું ચૂકવવા સંઘર્ષ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦ ટકા પર પહોંચી જાય. પોતાની ઓળખ ન આપવા માગતી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે તેને ૩,૦૦૦ પાઉન્ડનો ઓવરડ્રાફ્ટ અને ૩૦ ટકા જેટલું વ્યાજદર ધરાવતા ક્રેડિટ કાર્ડમાં ૮૦૦ પાઉન્ડ ચૂકવવાના હતા. તેણે આ તમામ રકમ શેરિંગમાં લીધેલા મકાનના ભાડા પેટે ચૂકવવાની હતી.
• ૪૦ વર્ષથી ઓવરક્રાઉડીંગની સમસ્યાનો સામનો કરતા ભાડૂતો
લંડનના કેટલાંક વિસ્તારોમાં અને સાઉથઈસ્ટ લંડનમાં રહેતા લોકો છેલ્લાં ૪૦ વર્ષથી પ્રોપર્ટીઝના વધુ પડતા પ્રમાણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ૧૯૭૧ અને ૨૦૧૧ વચ્ચે લંડનની આસપાસના વિસ્તારમાં દરેક મકાનમાં રૂમ દીઠ એક કરતાં વધુ વ્યક્તિની સરખામણીમાં ૩૧ ટકા થઈ હોવાનું જણાયું હતું. ૧૯૭૧ અને ૨૦૧૧ તથા ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે ઓવરક્રાઉડિંગ વધ્યું હતું, ત્યાં પ્રાઈવેટ પ્રોપર્ટી ભાડે આપવામાં ભારે વધારો થયો હતો.
• ‘પ્રેઝન્ટીઝમ’ બાદ હવે કર્મચારીઓ સમક્ષ ‘લીવીઝમ’ની સમસ્યા
ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને ‘પ્રેઝન્ટીઝમ’ બાદ હવે ‘લીવીઝમ’ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખૂબ સ્ટ્રેસ ભોગવી ચૂકેલા કર્મચારીઓ અધૂરા રહેલા કાર્યો પૂરાં કરવા માટે તેમના વાર્ષિક હોલિડે અલાઉન્સનો ખર્ચ કરતા હોવાનો સંશોધકોએ દાવો કર્યો હતો. તેમાં સ્ટાફ હોલિડે પર જાય ત્યારે તેમનું કામકાજ સાથે લઈ જાય છે અને ઓફિસ ન જઈને કામકાજ પૂરું કરવા માટે વાર્ષિક રજાઓ લે છે.
• ડોક્ટરો સામે ગેરવર્તન કરતા દર્દીઓ પર પ્રતિબંધ મૂકાશે
NHSના સ્ટાફ પ્રત્યે ભેદભાવભર્યું, ઉગ્ર અથવા અપમાનજનક વલણ અપનાવતા દર્દીઓેને હોસ્પિટલમાંથી કાઢી મૂકાશે તેમ હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જણાવ્યું હતું. ડોક્ટરો અને નર્સ હિંસક અથવા આક્રમક પરંતુ, ગંભીર હાલતમાં ન હોય તેવા દર્દીઓની સારવાર કરવાનો ઈનકાર કરી શકશે. ગાઈડલાઈન્સમાં હોમોફોબિક, લૈંગિકવાદી અથવા જાતિવાદી ટીકા-ટિપ્પણ સહિત કોઈપણ પ્રકારની કનડગત, ભેદભાવ અને ધાકધમકીનો સમાવેશ કરવામાં આવશે.
• ઈ-સ્કૂટર્સના ઉપયોગથી શહેરો સલામત બનશે
ઈલેક્ટ્રીક સ્કૂટર્સ વધુ જોખમી નથી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી શહેરો સલામત બનશે તેમ અભ્યાસમાં જણાયું હતું. ગીચ શહેરી વિસ્તારમાં ઈ-સ્કૂટર જેવા હળવા માઈક્રો-વ્હીકલને બદલે કાર અથવા મોટરસાઈકલ લઈને જવાથી થથાં અકસ્માતમાં પગપાળા જતાં લોકો સહિત રસ્તાનો ઉપયોગ કરનારના મુત્યુની શક્યતા વધે. ૧૫ દેશોના ૪૦ પ્રતિનિધિઓના સહયોગથી કરાયેલા ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન ડેવલપમેન્ટ (OECD)ના અભ્યાસમાં જણાયું હતું કે બાઈસિકલ કરતાં ઈ-સ્કૂટરનો ઉપયોગ થાય તો માર્ગ અકસ્માતમાં મૃત્યુની વધુ શક્યતા રહેતી નથી.
• NMC હેલ્થના ડિરેક્ટરપદેથી શેટ્ટીનું રાજીનામું
NMC હેલ્થના બિલ્યોનેર સ્થાપક ૭૭ વર્ષીય બાવાગુથુ રઘુરામ શેટ્ટીએ કંપનીમાં પોતાના શેરહોલ્ડીંગના મામલે કોર્પોરેટ ગવર્નન્સ કૌભાંડ વચ્ચે પ્રાઈવેટ હોસ્પિટલ્સના ગ્રૂપમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. NMC એ સ્ટોક માર્કેટને આપેલા ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીના જોઈન્ટ ચેરમેન રહી ચૂકેલા બાવાગુથુ રઘુરામ શેટ્ટીએ ડિરેક્ટરપદેથી રાજીનામુ આપી દીધું છે. સ્થાપકના હિસ્સા સહિત કંપનીનું સૌથી મોટું શેરહોલ્ડિંગ પર કોનું નિયંત્રણ હતું તે સ્પષ્ટ થતું ન હતું. તેથી બોર્ડે તેમને રાજીનામું આપવા જણાવ્યું હતું.