વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીના કારણે અનેક કંપનીઓ અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિશ્વમાંથી નવાં મૂડીરોકાણો મેળવીને દેશની અને પોતાની શાન અને શાખમાં વધારો કર્યો છે. એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના જિયો પ્લેટફોર્મ માટે માત્ર એક મહિનામાં ૧૭.૧૨ ટકાની ભાગીદારી પેટે ૭૮,૫૬૨ કરોડ રૂપિયાનું જંગી ઈન્વેસ્ટમેન્ટ હાંસલ કર્યું છે, જેમાં ફેસબૂક (૪૩,૫૭૪ કરોડ રૂપિયા), સિલ્વર લેક (૫,૬૫૬ કરોડ રૂપિયા), વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (૧૧,૩૬૭ કરોડ રૂપિયા), જનરલ એટલાન્ટિક (૬,૫૯૮ કરોડ રૂપિયા), કેકેઆર (૧૧,૩૬૭ કરોડ રૂપિયા)નો સમાવેશ થયો છે. આ બધી ટેકનોલોજી બેઝ્ડ કંપનીઓ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના પેટ્રોકેમિકલ્સ અને ઓઈલ અને ગેસના બિઝનેસની સાથોસાથ ડિજિટલ બિઝનેસને પણ આગળ વધારી રહી છે. આપણે ભલે જિયો (Jio)ને ટેલિકોમ ઓપરેટર તરીકે ઓળખીએ પરંતુ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેને સુપર ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવી રહી છે. રિલાયન્સને હવે એનર્જી કેન્દ્રિત કંપની બનાવી રાખવાના બદલે મલ્ટિપરપઝ કે વૈવિધ્યસભર કંપની બનાવવા પર ભાર અપાઈ રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ૨૦૦૬માં રિટેલ કારોબાર અને ૨૦૧૦માં ટેલિકોમ કારોબરમાં પ્રવેશ કર્યો હતો. વાસ્તવિકતા એ છે કે હવેનું ભવિષ્ય ટેકનોલોજિકલ કંપનીઓમાં હોવાનું સ્પષ્ટ હોવાથી રિલાયન્સ પોતાને કન્ઝ્યુમર પ્લસ ટેક કંપનીના સ્વરૂપમાં સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવા ઈચ્છે છે. બીજી તરફ, રોકાણકારો હવે એમેઝોન, એપલ, માઈક્રોસોફટ જેવી ટેક કન્ઝ્યુમર કંપનીઓમાં રોકાણ કરવું પસંદ કરે છે અને જિયો પ્લેટફોર્મ પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.
દેખીતી રીતે જ આ રિલાયન્સ અને ભારતના વિકાસની દોડ છે, જેને નવું કોમર્સ ગ્રોથ એન્જિન મળ્યું છે. ભારતના રિટેલ કારોબારની પરિભાષા બદલાઈ રહી છે ત્યારે આના થકી રિલાયન્સ ડિજિટલ અને ફિઝિકલ બજારનું એકીકરણ કરી શકશે જેની મહત્ત્વપૂર્ણ અસર દેશના માઈક્રો, લઘુ, મધ્યમ એન્ટરપ્રાઈઝીસ (MSME), ખેડૂતો અને કરિયાણાના દુકાનદારોના મોટા નેટવર્ક પર જોવાં મળશે. ડિજિટલ કનેક્ટિવિટી ભારતીય અર્થતંત્રને વેગ આપવાની સંભાવના ધરાવે છે અને તેનાથી દેશભરમાં વૃદ્ધિને વેગ મળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારત માટે ડિજિટલ સોસાયટીનું સર્જન કરવાની ફિલોસોફી સ્પષ્ટ કરી છે જેની મારફત તેઓ ભારતીયોના જીવનમાં ડિજિટાઇઝેશનની પરિવર્તનકારક ક્ષમતાને વધારવા માગે છે.
આ સોદાઓથી માત્ર રિલાયન્સને જ નહિ, તેના ગ્લોબલ પાર્ટનર્સને પણ ફાયદો થશે. આ રોકાણોથી રિલાયન્સને તેના દેવાનો બોજ હળવો કરવાની તક મળશે ત્યારે જિયોમાં અન્ય રોકાણકારોનાં રોકાણથી વધનારા વેલ્યુએશનનો સીધો લાભ જનરલ એટલાન્ટિક, સિલ્વર લેક અને વિસ્ટાને થશે. ફેસબુકને પણ ભારતમાં રિલાયન્સના વ્યાપક નેટવર્ક અને સંપર્કનો ફાયદો મળશે. કેકેઆર માટે ભારત મુખ્ય સ્ટ્રેટેજિક માર્કેટ છે. કોરોના વાઇરસ મહામારીના કારણે ચીનમાંથી મોટા ભાગના વિદેશી રોકાણકારો ઉચાળા ભરી રહ્યા છે ત્યારે ભારત તેમને આવકારવા ઘણું કરી શકે છે જેનો શુભારંભ રિલાયન્સે કર્યો હોવાનું કહી શકાય.