યુકે અને યુરોપના દેશોમાં કોરોનાનો પ્રકોપ નવેસરથી ફેલાઈ રહ્યો છે. લિવરપુલ સિટી રીજિયન, ગ્રેટર માન્ચેસ્ટર અને લેન્કેશાયરને હાઈ રિસ્ક રેડ ઝોનના નિયંત્રણો હેઠળ છે અને શનિવાર મધરાતથી સાઉથ યોર્કશાયર તેમાં ઉમેરાયું છે. ટિયર-થ્રી હેઠળના માન્ચેસ્ટરમાં એશિયનોની વસ્તી મોટા પ્રમાણમાં છે. લોકડાઉનથી અસરગ્રસ્ત અને અસ્તિત્વ જાળવવાની મથામણ કરી રહેલા દુકાનદારોમાં પણ એશિયનો અને ભારતીયો વધુ છે. આ બધા નાના દુકાનદારો છે. સરકાર બિઝનેસીસ માટે પ્રોત્સાહનો તો જાહેર કરે છે પરંતુ, તેનો લાભ મોટી કંપનીઓ વધુ લઈ જાય છે અને નાના વેપારીઓ અને દુકાનદારો વંચિત રહી જાય છે. સ્વરોજગાર ધરાવતા ઘણા લોકોમાં કડિયા, દરજી જેવાનો પણ સમાવેશ થાય છે જેમને સરકારી સહાય મેળવવા વલખાં મારવા પડ્યા છે. આ ભારે પીડાદાયક છે. બોરિસ સરકાર અસરગ્રસ્તોને રાહત માટે નીતનવા પેકેજીસ જાહેર કરે છે પરંતુ, તે પૂરતું થતું નથી.
એક સર્વે અનુસાર મોટા ભાગના અથવા તો બે તૃતિયાંશ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) બિઝનેસ માલિકોને મહામારીની શરૂઆતના દિવસોમાં સરકાર તરફથી ફાઈનાન્સિયલ સપોર્ટ મળ્યો ન હતો. ક્રોસ પાર્ટી સાંસદો અને ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસની કમિટીની તપાસમાં ખૂલ્યું છે કે મોટા ભાગના BAME બિઝનેસ માલિકોનું કહેવું છે કે તેમની અરજીઓ ફગાવી દેવાઈ હતી અથવા લાયકાતના કડક ધારાધોરણો અને માહિતીના અભાવે તેઓ સહાય મેળવી શક્યા નથી. તે સમયના આંકડા જોઈએ તો ૪૮ ટકાને લાયકાતના ધોરણે સરકારની સપોર્ટ સ્કીમ તરફથી કશું મળવાની અપેક્ષા જ ન હતી, માત્ર ૨ ટકાએ સરકારી મદદ માગી હતી અને માત્ર ૩૨ ટકાએ ગ્રાન્ટ મેળવવા અરજી કરી હતી. મહામારીના સમયમાં સ્થાનિક અને કોમ્યુનિટી ચેરિટીઝ આ લોકોની સહાયમાં દોડી આવી હતી. સમસ્યા એ થઈ છે કે હવે લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.
ફરી લોકડાઉન નિયંત્રણોની વાત કરીએ તો જે પગલાં લેવાય છે તે લોકોના ભલા માટે જ લેવાય છે. યુકેમાં વ્યક્તિ સ્વાતંત્ર્યને આદર અપાય છે તેનો અર્થ એવો હરગિજ ન કરવો જોઈએ કે લોકોને સ્વચ્છંદ બની જવા પરવાનો મળે છે. ગયા શનિવાર હજારો લોકો વ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દે અને મહામારી નિયંત્રણોના જુલ્મનો અંત લાવવાની માગણી સાથે સેન્ટ્રલ લંડનમાં વિરોધ પ્રદર્શનો કરવા માસ્ક પહેર્યા વિના જ એકત્ર થયા હતા. કોરોના સંક્રમણ એ હદે વધ્યું છે કે વધુ અને વધુ વિસ્તારો કડક નિયંત્રણો હેઠળ મૂકવાની ફરજ પડશે અને એક સમયે ફરી રાષ્ટ્રીય લોકડાઉન લાદવું પડે તો નવાઈ લાગશે નહિ.