વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોનાનું જાળું વિસ્તરતું જાય છે. મંગળવારના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૪૪૦૨૫૯૦૨, કુલ મૃતકાંક ૧૧૬૭૮૬૮ અને કોરોનામાંથી રિકવર થયેલા લોકોની સંખ્યા ૩૨૩૧૦૩૩૩ નોંધાઈ હતી. કોરોનાથી અસરગ્રસ્ત રાષ્ટ્રોમાં હાલમાં પણ અમેરિકા પ્રથમ છે મંગળવારે અમેરિકામાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ૮૯૭૯૩૬૦, કુલ મૃતકાંક ૨૩૧૩૪૪ અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૫૮૪૩૩૦૩ નોંધાઈ હતી. જોકે ફ્રાંસ અને સ્પેનમાં ફરી કોરોના વકર્યો હોવાના અહેવાલ છે. મંગળવારના અહેવાલો અનુસાર ફ્રાંસમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૧૬૫૨૭૮ થઈ હતી અને મૃત્યુઆંક ૩૫૦૧૮ તેમજ રિકવર થયેલા નાગરિકોની સંખ્યા ૧૧૧૩૪૭ થઈ હતી.
સોમવારે ફ્રાંસના કોરોના મહામારી વિષયક સલાહકાર પ્રોફેસર જ્યોં ફ્રાંકોઈસે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના કેસ ૧ લાખ સુધી પહોંચ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ફ્રાંસમાં કોરોનાના નવા ૫૨ હજારથી વધુ કેસ નોંધાયા તે ચિંતાજનક છે. ફ્રાંસમાં વકરતા કોરોનાને કારણે ૩૮ વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરાયો હતો.
સ્પેનમાં કોરોનાએ ઉથલો માર્યો
યુરોપમાં કોરોના મહામારીએ ઉથલો મારવા સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અચાનક જ કોરોનાના દૈનિક કેસમાં વિક્રમજનક વધારો નોંધાયો હોવાના અહેવાલ સોમવારે હતા. સ્પેનમાં સરકારે રવિવારે રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી હતી જેમાં રાત્રિ કર્ફ્યુનો સમાવેશ પણ થાય છે. વડા પ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું કે, સ્પેનમાં રાત્રે ૧૧થી સવારે ૬ સુધી કર્ફ્યુ રહેશે. જોકે, નોકરિયાતો, દવાઓની ખરીદી તેમજ વૃદ્ધો અને બાળકોની સારવાર માટે રાત્રે રસ્તા પર આવવાની છૂટ અપાશે. આ કર્ફ્યુ લગભગ છ મહિના સુધી અમલી રહેશે. સાંચેઝે જણાવ્યું કે, મે, ૨૦૨૧ સુધી રાષ્ટ્રીય કટોકટી લંબાવવાનો વિચાર છે. જોકે કટોકટી પ્રતિબંધક નહીં હોય અને લોકોને ફરજિયાત ઘરમાં રહેવા ફરજ નહીં પડાય, પણ લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવા કહેવાયું છે. મંગળવારના અહેવાલો અનુસાર સ્પેનમાં કોરોનાના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૧૫૬૪૯૮ સુધી પહોંચી હતી અને કુલ મૃતકાંક ૩૫૦૩૧ થઈ ગયો હતો. જર્મનીમાં પણ શાસક પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પાર્ટીની આંતરિક બેઠકમાં એન્જેલા મર્કેલે તાજેતરમાં જણાવ્યું હતું કે, જર્મની કોરોના મહામારી સામેની તેની લડાઈ પરથી નિયંત્રણ ગુમાવી રહ્યું છે. દરેક દિવસ કોરોનાના ચેપને કાબૂમાં લેવા મહત્ત્વનો છે. મંગળવારના અહેવાલો પ્રમાણે જર્મનીમાં કુલ કોરોના કેસની સંખ્યા ૪૫૯૫૭૮, કુલ મૃતકાંક ૧૦૨૩૮ અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૩૨૬૭૦૦ નોંધાઈ હતી.