નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન ચીને ઉંબાડિયું કરવાનું શરૂ કર્યં છે. ચીને લદ્દાખમાં LACમાં વધુ સૈનિકોનો ખડકલો કર્યો છે. તેણે લદ્દાખમાં LAC ખાતે જ્યાં બંને દેશની સેના સામસામે ગોઠવાઈ છે તેવા વિસ્તારોમાં ફક્ત લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રકચર જ ઊભું નથી કર્યું પણ અન્ય વિસ્તારોમાં પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિએટર કમાન્ડને તહેનાત કર્યું છે. ચીનનું બોર્ડર પરનું ઝડપી લશ્કરીકરણ જિનપિંગના બૌદ્ધ લ્હાસા પર હાનના પ્રભુત્વ સાથે તિબેટમાં ચીનની સંસ્કૃતિ પ્રસ્થાપિત કરવાનું છે. ચીને લ્હાસા ખાતે ગોંગર એરબેઝ ખાતે ઊંચાઈવાળા વિસ્તારમાં ફાઇટર જેટ માટે નવા શેલ્ટર્સ બનાવ્યાં હોવાનું સેટેલાઇટની તસવીરો પરથી જણાયું છે. ઝિંગહાઈ પ્રાંતમાં ગોલ્મુડ ખાતે વિશાળ સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરી છે. ઝિનઝિયાંગ અને કાન્ક્સીવાર વચ્ચે નવા રસ્તા બનાવ્યા છે. અરુણાચલ બોર્ડર પર હોટ્ટન એરબેઝ ખાતે ન્યાનગુલુ તેમજ નાયિન્ગચી ખાતે ફોરવર્ડ બેઝ ઊભા કર્યા છે.
૧૯૬૨નાં યુદ્ધ વખતે ચીને ન્યાનગુલુ તેમજ હોટ્ટન એરબેઝનો ઉપયોગ કર્યો હતો. ન્યાનગુલુ અરુણાચલથી ૬૦ કિ.મી દૂર છે. લશ્કરી નિષ્ણાતે જણાવ્યું, આપણે એવું માનીએ છીએ કે બંને દેશનાં લશ્કરો જ્યાં સામસામે છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારા પર અને સ્ટેન્ડ ઓફ પોઇન્ટ પર સૈન્યના ખડકલા પર જ ચીને ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેથી અક્સાઈ ચીન સામેના ભારતના કોઈપણ જાતના ખતરાનો સામનો કરી શકાય પણ ખરેખર એવું નથી. ચીન આ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરીને આ સ્વાયત્ત વિસ્તારમાં લશ્કરી કિલ્લેબંધી કરી રહ્યું છે. આખા વિશ્વની નજર જ્યારે ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદે લશ્કરી જમાવડા પર છે ત્યારે ચીનની તિબેટને આંચકી લેવાની મેલી મુરાદ છે. તેણે ડેમચોક ખાતે LAC થી ૮૨ કિ.મી દૂર શિકાન્હી ખાતે અક્સાઈ ચીન નજીક માબ્દો લા કેમ્પ ખાતે નવા શેલ્ટર્સ બાંધ્યા છે.
તિબેટી યુવાનોમાં ચીન માટે પ્રેમ જગાવો
બીજા એક નિષ્ણાતે કહ્યું હતું કે, જિનપિંગે ૨૦ ઓગસ્ટે તેમનાં ભાષણમાં તિબેટમાં શાંતિ અને સ્થિરતા માટે અભેદ કિલ્લેબંધી ઊભી કરવા હાકલ કરી હતી. પાર્ટીના નેતાઓને તિબેટના લોકોમાં ચીન પ્રત્યે પ્રેમભાવ જગાવવા અને તિબેટની સુરક્ષા માટેના પ્લાનનો અમલ કરવા તાકીદ કરી હતી. તિબેટી યુવાનોમાં ચીન પ્રત્યે પ્રેમ જગાવવા કહ્યું હતું. આ પછી અમેરિકાએ તિબેટની બાબતો પર ધ્યાન આપવા કોઓર્ડિનેટરની નિયુક્તિ કરી હતી જેનો ચીને ભારે વિરોધ કર્યો હતો. ચીને દલાઈ લામાને કટ્ટર ભાગલાવાદી અને આતંકી ગણાવ્યા હતા.
ભારતે શક્તિશાળી બનવું પડશે
રાજનાથ સિંહે દશેરાએ શસ્ત્ર પૂજા કરતાં ચીનને હંફાવવાનું જાહેર કર્યું હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયં સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ કહ્યું હતું કે, ચીનને રોકવા ભારતે વધુ શક્તિશાળી બનવાની જરૂર છે. સંઘના સ્થાપના દિને અને વિજયાદશમી નિમિત્તે સંઘના હોદ્દેદારોને સંબોધન કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ચીને આપણી સરહદો પર અતિક્રમણ કર્યું, પરંતુ આ ઘૂસણખોરીને ભારતે આપેલા જવાબથી ચીનને મોટો આઘાત લાગ્યો છે. સરહદ પર ભારતે અડીખમ ઊભા રહીને ચીનને ચોંકાવી દીધો છે, પણ હજી ભારતે વધુ શક્તિશાળી બનવાની જરૂર છે.