રોમ ભડકે બળતું હતું ત્યારે સમ્રાટ નીરો ફીડલ વગાડતા હતા એમ કહેવાય છે. લગભગ આવી જ દશા યુએસએ અને તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હોય તેમ જણાય છે. વિશ્વમાં કોવિડ-૧૯ ૩૨ હજાર માનવજિંદગી ભરખી ગયો છે અને ચેપગ્રસ્તોની સંખ્યા સાત લાખ નજીક પહોંચી છે ત્યારે અમેરિકા આ મહામારીથી કઇ રીતે અલગ રહી શકે? અમેરિકામાં ચેપગ્રસ્તોનો આંકડો લગભગ સવા લાખ સુદી પહોંચ્યો છે અને મૃત્યુઆંક ૨,૨૩૦ થયો છે. આખી દુનિયાના નિષ્ણાતો માને છે કે આ મહામારીથી બહાર નીકળવાનો એક માત્ર માર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો છે, પરંતુ, પ્રમુખ ટ્રમ્પ ધરાર આ માનવા તૈયાર નથી.
૨૦ જાન્યુઆરીએ સાઉથ કોરિયા અને અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. બે મહિના પછી, સાઉથ કોરિયાએ મોટા ભાગે કોરોના નાથી લીધો છે. ૯૬૦૦ ચેપગ્રસ્ત છે અને ૧૫૨ મૃત્યુઆંક છે. જ્યારે અમેરિકા હજુ અંધારે અટવાઇ રહ્યું છે. સૌથી ખરાબ હાલત ન્યૂ યોર્ક સ્ટેટની છે, જ્યાં બાવન હજાર લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે અને મૃતાંક ૭૩૦થી વધુ છે. છતાં, ટ્રમ્પ કહે છે કે તેઓ ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને કનેક્ટિકટ વિસ્તારોમાં ક્વોરેન્ટાઈન લાગુ કરવા હજુ વિચારી રહ્યા છે. ટ્રમ્પ એકલા ‘નીરો’ નથી. તેમની માફક વિચારનારા કે આચરનારા ન્યૂ યોર્કના ગવર્નર એન્ડ્રયુ ક્યુઓમો કહે છે કે, આનું કાયદેસર પાલન કેવી રીતે કરાવી શકાય તેની મને ખબર નથી.’
ટ્રમ્પ જેવા વધુ એક નેતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાઈર બોલ્સોનારો છે, જેમણે સરાજાહેર કહ્યું છે કે થોડાક તો મરશે જ. અકસ્માતમાં પણ લોકો મરતા હોય છે, તેથી કારની ફેક્ટરીઓ બંધ કરી દેવાતી નથી. તેમણે કોરોનાને સામાન્ય ફ્લુ કહી લોકોની જિંદગી હોડમાં મૂકી દીધી છે. તેમને તો કોરોનાથી થયેલા મોતના આંકડા વિશે પણ શંકા છે.
ટ્રમ્પનું માનસ જક્કી વેપારી કે બિઝનેસમેનનું છે. તેમણે યુએસના સંપૂર્ણ લોકડાઉનની તબીબી નિષ્ણાત ભલામણ ફગાવી દીધી છે. તેઓ કહે છે કે ડોક્ટરો તો આખી દુનિયાને લોકડાઉન કરવાનું કહી શકે કારણ કે વિશ્વના ૧૫૦થી વધુ દેશમાં કોરોના ફેલાયો છે પરંતુ, કોરોના સામે લડવા અર્થતંત્રના ભોગે આખો દેશ બંધ કરી શકાય નહિ. લોકડાઉન અનેક સમસ્યાઓ પેદા કરશે. કોરોના કેસ વધતા જવા સાથે ટ્રમ્પ પોતાની જવાબદારી ભૂલી અન્યોના માથે દોષારોપણ કરતા રહ્યા છે. તેમણે વાઇરસને ડેમોક્રેટિક પાર્ટીનું ‘તૂત’ ગણાવ્યું છે. આ પછી ચીન પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું કે ચીને અમને વહેલા ચેતવ્યા હોત તો સારું હતું. ટ્રમ્પે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સામે પણ કોરોના સંદર્ભે ચીનની તરફદારી કર્યાનો આરોપ મૂક્યો છે. એક અહેવાલ અનુસાર યુએસ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ વાઇરસ વિશે ટ્રમ્પને ચેતવ્યા હતા પરંતુ, પ્રમુખ તો ખરેખર ફીડલ વગાડતા રહ્યા. કદાચ તેમને ખરી ચિંતા આગામી ચૂંટણીમાં ફરી ચૂંટાશે કે નહીં તેની છે, અમેરિકી નાગરિકોના જીવનની નહિ.
અમેરિકા ભલે મહાસત્તા હોય પરંતુ, મહામારી સામે તે વામણો સાબિત થઇ રહ્યો છે. આજે સંજોગ એવા છે કે કોરોના સામે લડવા વૈશ્વિક આર્થિક પેકેજ જાહેર કરવા સાથે પોલીસ અને લશ્કરને કામે લગાડવા ફરજ પડી છે. કોરોનાનું નવું એપીસેન્ટર બનેલા ન્યૂ યોર્કમાં તો સ્થિતિ એ હદે ખરાબ છે કે, હોસ્પિટલો તો છે પણ તેમાં પૂરતાં બેડ કે સારવાર માટે પૂરતો તબીબી સ્ટાફ કે વેન્ટિલેટર્સ પણ નથી.
સાચો નેતા અને શાસક એ છે કે જે દેશને સાચી રાહ બતાવે અને તેને સાથે લઈને ચાલે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખતરાનો અણસાર મળતાં જ ભારતમાં લોકડાઉન જાહેર કરી દીધું. સમય તેમને સાચા પાડી રહ્યો છે. મોદી સરકારે અર્થતંત્રને મહત્ત્વ આપવાની જગ્યાએ માનવજિંદગીને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. આ લોકડાઉન વિના ભારતની સ્થિતિ કેવી હોત તે માત્ર ઈશ્વર જ કહી શકે. ભારતમાં એક ઝાટકે જે નિર્ણય લાગુ કરી દેવાયો તે નિર્ણય અમેરિકામાં હજુ સુધી લઈ શકાયો નથી. જનરલ સર્જન હોય કે ન્યૂ યોર્કમાં કામગીરી કરતો ટાસ્ક ફોર્સ હોય - ટ્રમ્પે સૌ કોઈની સલાહ અવગણી છે અને પોતાનું ધાર્યું કર્યું છે. કદાચ ટ્રમ્પ અને અમેરિકાની એવી પરિસ્થિતિ પણ આવી શકે કે અબ પછતાયે ક્યા હોત, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત.