વડીલો સહિત સર્વે વાચકમિત્રો,
આ પ્રસાર વિશ્વવ્યાપી છે અને જોખમ વાસ્તવિક છે. અને એકાંતવાસ નવી સામાન્યતા છે. સોશિયલ મીડિયાના યુગમાં પ્રથમ વખત ‘વાઈરલ’ શબ્દને નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-૧૯)ના સંદર્ભે સાચો અર્થ સાંપડ્યો છે.
આ કોઈ રમૂજી મીમ કે ડિજિટલ વિષાણુ નથી જે તમારા ઈલેક્ટ્રોનિક સાધનમાં ભાંગફોડ કરે. આ તો જૈવિક વિષાણુ-વાઈરસ છે જેણે સમગ્ર માનવજાત સામે અભૂતપૂર્વ પડકાર સર્જ્યો છે. સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું છે. અમે સમજીએ છીએ કે તમારી ચિંતા જરા પણ પાયાવિહોણી નથી. કોવિડ-૧૯ના પ્રસાર સાથે જ લોકોનાં દુઃખ, પીડા, ખુવારી, હાનિ પણ સર્વવ્યાપી છે.
‘જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞ’માં (જ્ઞાનમાં સહભાગિતા તે સામુદાયિક સેવાથી ઓછું નથી) નક્કર આસ્થા સાથે અમે એપ્રિલ ૧૯૭૬માં ગુજરાત સમાચારના પ્રકાશનની મહાન જવાબદારી શિરે લેવાનો નિર્ણય કર્યો હતો. તંત્રીનું પ્રથમ નિવેદન જ તેની શાખ પૂરનારું છે. ઈશ્વરકૃપાએ અમે ૪૪ વર્ષ અગાઉ, અમારા પ્રથમ નિવેદનમાં ઉલ્લેખ કર્યા અનુસાર ગુજરાત સમાચાર, એશિયન વોઈસ તેમજ અન્ય પ્રકાશનો અમારા ‘પંચમિત્ર’- માહિતી, મનોરંજન, પ્રેરણા, ઉત્સાહ અને સશક્તિકરણના પાયા પર ચલાવવામાં સફળ રહ્યા છીએ. અમે આજના કપરા સમયમાં આપ સહુના દુઃખમાં સહભાગી બનવા તત્પર રહેવા સાથે આપને સર્વોત્કૃષ્ટ વાંચન આપવાના મારા વચનનો પુનરુચ્ચાર કરીએ છીએ.
વાચકો, લવાજમી ગ્રાહકો, વિજ્ઞાપનદાતાઓ, સમર્થકો હંમેશાંથી અમારા શક્તિસ્તંભ બની રહ્યા છે. મારા પરિવાર, મિત્રો અને ABPLના વિકસતા વટવૃક્ષના સાથીઓને કેમ ભૂલાય. ગત દાયકાઓ દરમિયાન જ્યારે જરૂર લાગી ત્યારે સમાજના ઉદ્દેશોને પ્રાથમિકતા આપવામાં અમે પાછીપાની કરી નથી. સમય કપરો છે તો સામના માટેના પગલાં પણ અસામાન્ય જોઈશે. મંદિરો બંધ કરાયા છે. ફ્લાઈટ્સ ભૂમિગત છે. વિશેષ તો પોતાના સ્નેહીજનો સાથે સુખની શોધમાં રહેતા અને વિદેશમાં વસતા લોકો માટે આ સમય અભૂતપૂર્વ છે.
લોકકલ્યાણ માટે અભિયાન અને તેમની લડતમાં સાથે રહેવું તે અમારા માટે પ્રાથમિકતા રહી છે. અમે જરૂરિયાતના સમયે કોમ્યુનિટીના ઉદ્દેશોને સાથ આપવામાં પીછેહઠ કરી નથી. જરૂરિયાતમંદો સામે મદદનો હાથ લંબાવવાના અમારા અવિરત પ્રયાસોની સાથે જ કોમ્યુનિટી અને અગ્રણીઓ પાસેથી મળતી મદદને અમે માથે ચડાવીએ છીએ. સતત સમર્થનનો યશ અમારા વાચકોને પણ જાય છે.
આપણે જ્યારે આપણા ઘરમાં બેસી રહીએ છે ત્યારે આવશ્યક સેવા પ્રદાન કરનારાઓ, ખાસ કરીને જેઓ જોખમની પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વ બજાવે છે તેઓને આપણા દ્વાર, બાલ્કનીઓ પરથી તાલીઓના ગડગડાટથી વધાવી લેવાની બાબત પ્રશંસનીય છે. આની સાથોસાથ, કોવિડ-૧૯ના પ્રસાર, લોકડાઉન અને તેની આર્થિક અસરોના અભૂતપૂર્વ પડકારો
પર વિજય હાંસલ કરવા કેટલાક નક્કર પગલાંની પણ આવશ્યકતા છે.
આપનો નમ્ર સેવક
સી.બી. પટેલ
•••
‘સહ નાવવતુ....’
ફરી એક વખત તમારું અઠવાડિક ‘ગુજરાત સમાચાર’ પોતાના જીવનના એક મહત્વના ચોખંભે આવીને ઊભું છે.
‘ગુજરાત સમાચારે’ એના સ્થાપન કાળથી ગુજરાત - ભારતથી હજારો માઈલ દૂર વિલાયત-યુરોપમાં આવી વસેલાં ગુજરાતી ભાષા લોકો માટે એક અથવા બીજી રીતે ઝઝુમવાનું રાખ્યું છે. આ સમય દરમિયાન એણે એકથી વધુ વખત તડકી છાંયડી જોઈ લીધી છે. અમારો આશય એ પરિસ્થિતિની છણાવટ કરવાનો છે જ નહીં.
ગુજરાત બહાર ગુજરાતી ભાષામાં અખબાર કે સામયિક કાઢવાં માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય છે. આવી વાસ્તવવાદી પરિસ્થિતિને કારણે છેલ્લાં કેટલાક સમયથી આ અખબાર કાં તો પ્રકાશિત કરી શકાયું ન હતું, કાં તો અનિયમિત સમયે બહાર પડતું રહેતું હતું.
આ અંકથી ‘ગુજરાત સમાચારે’ નવો જન્મ ધારણ કર્યો છે અને કરવટ બદલી હોય એવું તમને અનુભવવા મળશે.
‘ગુજરાત સમાચાર’ના માલિકી હક્કો અને વ્યવસ્થાતંત્ર નવા એક જુથે એપ્રિલના આરંભથી સંભાળી લીધો છે અને અત્યાર પૂર્વના માલિક અને તંત્રી શ્રીમતી કુસુમબહેન શાહ વિધિવત્ છુટાં થયાં છે. પરંતુ તેઓ અખબારના માનદ્ તંત્રીપદે રહીને માર્ગદર્શન આપતાં રહેશે.
સુશ્રી કુસુમબહેને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ય આ અખબારને પાળ્યું, પોષ્યું અને ચલાવ્યું એ એમની સાહસવૃત્તિ અને ‘હિંમતે મર્દા તો મદદે ખૂદા’ શા ગુણની શાખ પૂરે છે.
અમે આગળ કહ્યું તેમ ભારતથી દૂર અખબારો કાઢીને પોષવા એ સહેલું કામ નથી. છતાં ભારતની કેટલીય ભાષાઓમાં અહીંથી અખબારો - સામયિકો નીકળતાં રહ્યાં છે એ આપણી ખુશનસીબી છે. એમાં ય ખાસ કરીને આપણી માતૃભાષા ગુજરાતીમાં અખબારો કાઢીને એને પોષવાનો, ચલાવવાનો સુંદર અને કામયાબ પ્રયાસ થયો જ છે.
શ્રીમતી કુસુમબહેન શાહનાં ‘ગુજરાત સમાચાર’ ઉપરાંત, શ્રી રમણિકભાઈ સોલંકીએ અહીં ‘ગરવી ગુજરાત’ શરૂ કર્યું છે. એને ય આજે આઠ વર્ષ થઈ ગયા છે, અને આ ગાળામાં એમણે અનેકવિધ પ્રગતિના સોપાનો સર કર્યાં છે એ અને એમનું અખબાર આ માટે અભિનંદનને પાત્ર છે.
તદુપરાંત સ્ટોક-ઓન-ટ્રેન્ટથી યુગાન્ડાના પત્રકારમિત્ર શ્રી વનુ જીવરાજે ‘નવ-બ્રિટન’ દ્વિભાષી માસિક કાઢીને એક નવો ચીલો શરૂ કર્યો છે. વળી લેસ્ટર અને બીજા કેટલાક સ્થળોએથી સામાયિકો ચલાવવાના નાના-મોટાં આવકાર્ય પ્રયાસો થયાં જ છે.
બ્રિટન અને યુરોપમાં વસતાં લાખો ગુજરાતીઓ માટે વાંચન, જ્ઞાન-ગમ્મત-રંગત અને મનન પૂરું પાડે એવા સામાયિકો-અખબારોની જરૂરિયાત વધતી જાય છે. અને આ ભૂખને પહોંચી વળવાનો અમારો એક આ નાનેરો પ્રયાસ છે. એથી અમારા ગુણિયલ અને સુજ્ઞ પત્રકાર વડીલો સાથે હરિફાઈ કે સરસાઈનો અહીં કોઈ પ્રયાસ નથી; બલ્કે અમે સહકાર અને સૂમેળશુ વાતાવરણ રહે એવું જ ઈચ્છીએ છીએ.
અને આથી જ અમારી મહેચ્છા ગુજરાતી બોલી બોલતા તમામ લોકોનાં સંસ્કાર, સંસ્કૃતિ, અધ્યાત્મ, જ્ઞાન-વિજ્ઞાન અને એવા અનેક પાસાંઓને પોષવાની અને તેમને રસમય રીતે ખીલવવાની છે.
‘દાદાજીના દેશ’થી માઈલો દૂર વિલાયતમાં આપણે વસાહતી તરીકે આવ્યાં અને અહીં ‘દૂધમાં સાકર ભળી જાય’ એ રીતનો વ્યવહાર અને વર્તાવ વધુને વધુ કરીએ અને કરતાં રહીએ એ વિશે નમ્રપણે પણ સજાગતાથી ‘ગુજરાત સમાચાર’ પ્રયાસ કરતું રહેશે. આ અખબાર કોઈ પણ ધર્મ, જાત, પંથ કે જ્ઞાતિનું મુખપત્ર છે નહીં અને બનવા ઈચ્છતું નથી. કોઈ પણ રાજકીય કે સામાજિક, ધાર્મિક કે વાડાજુથના લેબલથી દૂર રહીને એ પોતીકાપણું જાળવવાનું રાખશે. વિદેશમાં વસતી ગુજરાતી પ્રજાની મૂકલાગણી અને ધબકારને વાચા આપવાનો ય સજાગ પ્રયત્ન કરશે.
આપણાં લોકોનાં કંઈ કેટલાય ક્ષેત્રો, મંડળો, અનુભવો, રીત-રિવાજો ઉપરાંત સામાજિક, સાંસ્કારિક, સાંસ્કૃતિક, નાણાંકીય, વ્યાપારી, રાજકીય, સાહિત્યિક, ધાર્મિક અને શૈક્ષણિક પાસાંઓને આવરવાનો, ચિતરવાનો અને તેનો પ્રસાર-પ્રચાર કરવાનો અમારો ઈરાદો છે.
વસાહતી હોવાને નાતે પરદેશમાં આપણે લઘુમતી વર્ગમાં આવી જઈએ છીએ અને પરિસ્થિતિવશાત્ ભોગવવા પડતાં અન્યાયો સામે પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક - નાનેરો પણ - પોતાનો મક્કમ અવાજ એ ઊઠાવતું રહેશે. અમારે પરદેશમાં વસતી ગુજરાતી ભાષી પ્રજાના ઝંડાધારી થઈને રહેવું નથી; અમારી ઉમેદ પાયાના પથ્થર બનીને કામ કરવાની છે. સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠી કહેતા હતા એમ ‘ઘરદીવડા’ થઈને ઝબૂકતા રહેવું છે.
‘ગુજરાત સમાચાર’ પગભર થતાંની સાથે અમે તેને ટ્રસ્ટમાં ફેરવવા ઈચ્છીએ છીએ. એ પછી અખબાર આર્થિક સ્વરૂપે જે કંઈ નફો કરે, એમાંથી ભારત અને વિલાયતમાં ધાર્મિક અને અન્ય શૈક્ષણિક-સામાજિક કલ્યાણકારી કામોમાં એ નફાને સરખે હિસ્સે વાળવાની અમારી ઉમેદ છે.
અમારા આ નવા સાહસને ગુણીજન એવા વાચકો વધાવી લેશે અને સહાયરૂપ થતા રહેશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. કાયાપલટના આ મહત્ત્વના કાર્યમાં આપ સૌ અમને યથામતિ, યથાશક્તિ સાથ આપશો એનો અમને વિશ્વાસ છે, અને આમ થશે તો સોનામાં સુગંધ ભળ્યાનો લાભ થશે.
આ તકે અમે સાહિત્યને સમજતા, તેમાં રસ લેતાં લેખકો, કવિઓ, પ્રજામતને મહત્ત્વ હોય એવું માનતા વિચારવાન વાચકોને અને ટૂંકમાં જાહેરજીવનમાં રસ લેતાં સૌને આ અખબાર વધુને વધુ શક્તિશાળી બની રહે એ માટે ફાળો આપવાની વિનંતી કરીએ છીએ.
વિરમીએ એ પહેલાં પરમાત્માને એટલું જ પ્રાર્થીએ.
ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવા વહૈ,
તેજસ્વિ નાવધીતમ્ અસ્તુ. મા વિદ્વિષાહે ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’
(પરમ કૃપાળુ પરમાત્મા આપણી રક્ષા કરો. આપણને ઉપયોગમાં લે. આપણે સૌ એક સાથે પુરુષાર્થ કરીએ. આપણી વિદ્યા તેજસ્વી બનો. આપણે અરસ-પરસ, એકબીજાને વેરભાવથી ન જોઈએ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ.
(ગુજરાત સમાચાર - અંક ૪ એપ્રિલ ૧૯૭૬)
•••
પ્રકાશકનું નિવેદન
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી ‘ગુજરાત સમાચાર’ની જવાબદારી ઉઠાવવામાં નિમિત્ત બની ફાળો આપવાની તક મળવા બદલ મને અત્યંત આનંદ થાય છે. મારા સાથમાં પરિવારજન ઉપરાંત અન્ય ધંધાઓના ભાગીદારો છે તેથી મને રાહત છે.
‘ગુજરાત સમાચાર’ નિયમિત રીતે લાંબા સમય સુધી ચાલુ રહી, ગુજરાતી પ્રજાની, સમગ્ર ભારત અને બ્રિટનવાસીઓની સેવા કરે અને સાચા અર્થમાં જનતાનું પોતાનું અખબાર બને એવી અમે વ્યવસ્થા કરી શક્યા છીએ એ બદલ મહાકાળદાદાનો ઋણી છું.
અમારા વહીવટ હેઠળ આ પહેલો અંક આપ સૌના હાથમાં મુકતા આનંદ થાય છે. સમયના અભાવે તથા નવા નિશાળીયાને નાતે ક્ષતિઓ હોવા સંભવ છે. સુજ્ઞ ગ્રાહકો, વાંચકો અને જાહેરખબર દાતાઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે એ પ્રત્યે શરૂઆતમાં વધુ ઉદારતાથી જોજો અને એ પ્રત્યે અમારું ધ્યાન દોરશો જેથી જેમ બને તેમ અમે ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાનું અખબાર આપીને સમક્ષ રજૂ કરી શકીએ.
આ અંકનો યશ ખૂબ જ પરિશ્રમ ઉપાડવા બદલ અમારા તંત્રી શ્રી વિપુલ કલ્યાણી, મુખ્ય વ્યવસ્થાપક શ્રી રસીકભાઈ પટેલ, માનદ્ તંત્રી શ્રીમતી કુસુમબહેન શાહ, વેચાણ અને જાહેરખબર વિભાગના વડા શ્રી વી. એમ. પટેલ, કંપોઝીંગ વિભાગની જવાબદારી સંભાળતા મુ. સુખલાલકાકા, ખુબ જ જહેમતથી અને કુશળતાથી છાપખાના વિશેનો ભાર ઉપાડનારા શ્રી અશરફ અને શ્રી ચેતન શાહ વગેરેને જાય છે.
અમારે ત્યાં હાજરી આપી પોતાનો કિંમતી સમય આપી અમને માર્ગદર્શન આપનારા ‘આફ્રિકા સમાચાર’ના શ્રી હિંમતભાઈ ભટ્ટ, શ્રી વાસુદેવ બદિયાણી અને ગુલાબભાઈ ટેલરના પણ અમે ઋણી છીએ. બીજા કેટલાય વડીલો, મિત્રો, શુભેચ્છકોના અમે ઋણી છીએ. પરંતુ જગ્યાના અભાવે અમે એમના નામ આપી શકતા નથી.
- આપનો, ચંદ્રકાંત બી. પટેલ