કોરોનાને નાથવા સમગ્ર ભારતમાં લોકડાઉન લાગુ છે. અત્યારે દેશના મુખ્ય ફાઈનાન્સિયલ સેન્ટર્સના ૮૦ ટકા કેન્દ્રોને તાળાં લાગ્યા છે જેની આર્થિક અસર દરેકને થવાની છે. દેશનું અર્થતંત્ર નાના બિઝનેસીસ અને રોજમદાર વર્કર્સ પર આધારિત છે. આ મજૂરો કે રોજમદારોની સમસ્યા જીવન કે જીવનનિર્વાહમાંથી કોને મહત્ત્વ આપવું તે વિશે છે. રોજીરોટી આપતા બિઝનેસીસ પણ ઠપ છે ત્યારે રોજગારી વિહોણા મજૂર પરિવારોએ વતન તરફ નજર માંડી છે. લોકડાઉનમાં બસ-રેલ સેવા બંધ હોવાથી હજારો ગરીબ મજૂર પરિવારો ચાલીને વતન જવા મજબૂર બન્યાં છે.
દેશમાં કોરોના વાઇરસ માટે ઇન્કયુબેશન પિરિયડ શરૂ થયો છે, જેમાં માનવીથી માનવીના સંપર્કથી કોરોના વકરી શકે છે. લોકડાઉનથી હજારો બેરોજગાર છે. પરિવાર માટે ખાવાપીવાની સુવિધા ન હોવાથી લોકો વતન ભણી જવા માંડયાં છે. દિલ્હી, મથુરા હોય કે અમદાવાદ, રાજકોટ કે સૂરત હોય, ચોતરફ હિજરત થઈ રહી છે કારણ કે ખિસ્સામાં નાણાં નથી અને નાણાં કમાવાનો માર્ગ રહ્યો નથી. જોકે, વતનમાં પહોંચી જવાથી જીવન-નિર્વાહનો માર્ગ ખૂલી જશે એવું પણ નથી કેમ કે બધે ધંધાપાણી બંધ જ છે. આ પ્રકારનું સામૂહિક સ્થળાંતર વિશેષ જોખમી માર્ગ છે.
આરોગ્ય નિષ્ણાતોએ આશંકા દર્શાવી છે કે, જો લોકડાઉનને ઓછો સમય અપાશે તો હજારો નહિ, લાખો જીવન પર ખતરો સર્જાશે. ભારતની વિશાળ વસ્તીને ધ્યાનમાં રાખીએ તો હજારોની અવરજવરથી સામાજિક સંપર્ક કે હિજરતની ભીડ વધશે તેમ સંક્રમણનું જોખમ અપારપણે વધતું જશે. મોદી સરકારે પણ આ ચિંતાજનક પરિસ્થિતિ ધ્યાને લઈ હિજરત રોકવા અને પ્રવાસી મજુરો સહિત બેઘર લોકોના ખાવાપીવા, રહેવા, કપડાં, ઈલાજ વગેરેની પૂરતી વ્યવસ્થા કરવા રાજ્યોને નિર્દેશ આપ્યો છે.
અગાઉ, રાજ્ય સરકારોએ પરપ્રાંતીય મજૂરોને તેમને વતન પહોંચવા બસોની વ્યવસ્થા કરી હતી પરંતુ, તેના કારણે બસમાં પણ ભારે ભીડ જામતી હતી. છેવટે રાજય સરકારોને વતન તરફ હિજરત કરી રહેલાં હજારો મજૂરોને જયાં હોય ત્યાં જ રોકવાનો આદેશ આપવા ફરજ પડી છે. ગુજરાત સરકારે અન્ય રાજ્યમાં અથવા રાજ્યમાં જ અન્યત્ર હિજરત કરી રહેલા મજૂરોને જે તે સ્થળે અટકી જવા આદેશ કરવા ઉપરાંત, સ્થાનિક જિલ્લા-તાલુકા કક્ષાએ સંકલન કરીને ગરીબ પરિવારોને રહેવા-જમવાની તેમજ તેમના મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવા જણાવ્યુ છે. આ સ્તુત્ય માર્ગ છે.
એક અન્ય બાબત પણ નોંધવા જેવી છે કે ગરીબ મજૂરો કે હિજરતી પરપ્રાંતીયોને માનવતાની દૃષ્ટિએ ફૂડપેકેટ્સ પહોંડાવાની જાણે હોડ લાગી છે. આ માટે શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર રસોડાં ઉભાં કરાયા છે. જોકે, આ રીતે પણ ચેપ ફેલાય નહિ તેની જાગૃતિ રાખવા જેવી છે. સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધી પૂરતી કાળજી સાથે આ કાર્યમાં જોડાઈશું તો લેખે લાગશે.
મુખ્ય પ્રશ્ન એ પણ છે કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો તમામ પ્રયાસ કરી રહેલ છે ત્યારે તેમાં સાથ આપવો આપણી ફરજ છે. જો આપણે વાતવાતમાં બંધારણ અને મૂળભૂત અધિકારોની વાત કરતા હોઈએ તો અધિકારોની સાથે જ ફરજ નિભાવવાની વાત આવે છે તે ન ભૂલીએ કારણ કે આ એકમાર્ગી રસ્તો નથી. કોરોના વાઇરસ સમગ્ર સમાજમાં ન ફેલાય અને તેના પ્રસારમાં આપણે ભાગીદાર ન બનીએ તે જોવાની આપણી રાષ્ટ્રીય અને નૈતિક ફરજ છે.