આતંકવાદી સંગઠનોને આશ્રય, ત્રાસવાદને ફેલાવવા કરોડો રૂપિયાનું ભંડોળ આપનારા અને તેનો સતત ભારત વિરુદ્ધ ઉપયોગ કરનારા પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ફરી એક વાર ગ્રે લિસ્ટમાં જ રાખ્યું છે. આમ તો, પાકિસ્તાને સર્વેસર્વા બનેલા ચીન અને મિત્ર તુર્કીનો સહારો લઈ ગ્રે લિસ્ટમાંથી નિકળવા ભારે હવાતિયા માર્યા હતાં પરંતુ, તેને સફળતા મળી નથી. તેને કોરોના મહામારીનો ફાયદો મળ્યો છે. FATFએ તપાસ મામલે ઓક્ટોબર ૨૦૨૦ સુધી જૈસે થે સ્થિતિ જાળવવા નિર્ણય લીધો છે.
ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને આતંકવાદને આર્થિક મદદ અને મની-લોન્ડરિંગ વિરુદ્ધ પગલા લેવાં ૨૭ મુદ્દાનો એક્શન પ્લાન આપ્યો હતો, જેનું પાલન ન થાય તો તે બ્લેક લિસ્ટ થવાનું હતું. આ વખતે બ્લેક લિસ્ટમાં તેનું નામ લગભગ નક્કી મનાતું હતું કેમ કે પાકિસ્તાને તાલિબાન, અલ-કાયદા, લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનો સામે દેખાવ પૂરતાં જ પગલાં ભર્યા છે. મસૂદ અઝહર જેવા અનેક આતંકવાદી સામે કાર્યવાહી કરાઈ નથી તે બાબતે ટાસ્ક ફોર્સ વાકેફ છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન હજુ પણ આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થાન છે અને તેણે આતંકવાદી જૂથો સામે દેખાવ પૂરતી કાર્યવાહી કરી છે. ભારતમાં પુલવામા હુમલા અને તે પછી ભારતની વળતી કાર્યવાહીથી ગભરાયેલું પાકિસ્તાન મોટા આતંકવાદી હુમલા કરાવવાથી દૂર રહ્યું છે પરંતુ, છૂટાછવાયા હુમલાઓમાં તો તેનો હાથ રહ્યો જ છે. યુએન દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર તેમજ ૨૦૦૮માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ સાજીદ મીર સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. સ્પષ્ટ છે કે પાકિસ્તાની સરકાર, સેના અને ગુપ્તચર એજન્સી ISIની મરજી વિના કોઇ આતંકવાદી સંગઠન કામ કરી શકે નહિ. તેમની મહેરબાનીથી જ સઇદ જેવા આતંકવાદીઓ નવા નામે સંગઠનો ઊભાં કરી દુનિયાને ગેરમાર્ગે દોરતા રહે છે. ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ની જેમ પાકિસ્તાન જ ખુદ આતંકવાદનો શિકાર હોવાની કાગારોળ મચાવતું રહે છે અને તેના માટે ભારત જવાબદાર હોવાના આક્ષેપો પણ કરતું રહે છે.
હકીકત તો એ છે કે ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ના હિસાબે ટેરર ફંડિંગ રોકવાની પાકિસ્તાનની દાનત જ નથી. વિશ્વમાં આતંકવાદનો પ્રચાર અને પ્રસારની સાથોસાથ તેને ભંડોળ પૂરા પાડવાનું તંત્ર પણ વ્યાપક બન્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા પાકિસ્તાન દર મહિને કરોડો રૂપિયાની લહાણી કરવા ઉપરાંત, નકલી ચલણી નોટો દેશમાં ઘૂસાડી અર્થતંત્રને નુકસાન કરે છે.
પાકિસ્તાન એક દાયકામાં ત્રણ વખત ગ્રે લિસ્ટમાં મૂકાયું છે. જો ઈરાન અને નોર્થ કોરિયાની માફક તે બ્લેક લિસ્ટમાં આવી જાય તો પ્રતિબંધો લાગવાથી વિશ્વ બેન્ક, આઈએમએફ સહિતની સંસ્થાઓ અને સરકારો પાસેથી ભીખ માગવાના તેના આંતરરાષ્ટ્રીય કારોબારનો અંત આવી જાય. દેવાળિયા પાકિસ્તાનને આ જરા પણ પોસાય તેમ નથી. FATFએ પાકિસ્તાનને ત્રાસવાદને ભંડોળ પર અંકુશ લગાવવા હવે ઓક્ટોબર સુધી સમય આપ્યો છે પરંતુ, પાકિસ્તાન જે રીતે કાશ્મીર સરહદે આતંકવાદી ઘૂસણખોરી કરાવવા માટે હવાતિયા મારી રહ્યું છે એ જોતાં તેના નાપાક ઇરાદાઓનો અંત આવે એવી શક્યતા જણાતી નથી.