વડીલો સહિત સહુ વાચક મિત્રો, માત્ર બ્રિટનવાસીઓની જ નહીં, યુરોપભરની આંખોનું કેન્દ્રબિન્દુ એવા ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં શું રંધાઇ રહ્યું છે? કોણ રાંધી રહ્યું છે? શા માટે રાંધી રહ્યું છે? એવા જાતભાતના સવાલો અત્યારે અખબારી આલમમાં ચર્ચાઇ રહ્યા છે. આ સવાલોની આપણે પણ અવશ્ય ચર્ચા કરીશું, પરંતુ થોડી વાર ખમો બાપલ્યા...
સૌપહેલાં તો હું છેલ્લા કેટલાક સપ્તાહોની એકધારી ગેરહાજરી બદલ ક્ષમાયાચના પ્રાર્થું છું. સ્થળસંકોચનું મુખ્ય કારણ તો હતું જ હતું, પણ આપણે સહુ જાણીએ છીએ તેમ છેલ્લા ૧૨ સપ્તાહ દરમિયાન કોરોનાના સંતાપે આ દેશ અને દુનિયામાં ધરમૂળથી પરિવર્તન આણ્યું છે. આમાંથી અમે - હું અને એબીપીએલ ગ્રૂપ - પણ બાકાત નથી રહ્યા. લોકડાઉનના કારણે કાર્યાલયમાં સતત સંયોજન કે સંચાલનની જવાબદારી મારા ખભે જ હતી. આ બધામાં મારો ઘણોબધો સમય વપરાતો હતો, અને વપરાઇ રહ્યો છે તે સાચું, પરંતુ કહેવાય છેને કે સમયથી મોટો કોઇ શિક્ષક નથી. મારી સાથે પણ આવું જ બન્યું. સામાન્ય સંજોગોમાં કદાચ મારા ભાગે આ જવાબદારી સંભાળવાનું આવ્યું ન હોત, પરંતુ ન જાણ્યું જાનકી નાથે... એમ અચાનક જ આવી પડેલી આ જવાબદારીના કારણે આ ગગાને ઘણું બધું શીખવાનું, સમજવાનું ને જાણવાનું મળ્યું. આપ સહુના તેમજ સાથીદારોના સહયોગથી કાર્યાલય સાંગોપાંગ ચાલી રહ્યું છે તે બદલ આપ સહુનો ઋણસ્વીકાર કરું છું.
૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ એ સૈકાઓથી બ્રિટિશ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની સાથે સાથે જ કાર્યાલય તરીકે જાણીતું છે. પશ્ચિમના દેશોની વાત કરીએ તો, અમેરિકામાં જેમ વ્હાઇટ હાઉસ સત્તાના કેન્દ્ર તરીકે જાણીતું છે તેમ ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં વડા પ્રધાનના નિવાસસ્થાન - કાર્યાલય આધુનિક ઇમારતોમાં સ્થપાયા છે. જ્યારે બ્રિટન સૈકાઓથી પરંપરાગત મૂલ્યોને અનુસરતુ રહ્યું છે. ચાર-પાંચ ટેરેસ હાઉસ જેવી જ આ ઇમારત છે. લોઅર ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ કરીને પહેલા બે માળ સુધી વડા પ્રધાન કાર્યાલય ફેલાયેલું છે તો તેનાથી ઉપરના માળે એક તરફ વડા પ્રધાનનું એપાર્ટમેન્ટ છે અને બીજી બાજુ ચાન્સેલરનું એપાર્ટમેન્ટ.
પરાપૂર્વથી શાસક અને તેના દીવાન વચ્ચે સીધો સંપર્ક જરૂરી છે. જરાક કાઠિયાવાડ તરફ નજર ફેરવીએ... સરદાર પટેલે ૨૨૨ રજવાડાંઓનું એકત્રીકરણ કરીને ગાંધીજીને વર્ષોપૂર્વે આપેલું વચન બાપુની ચિરવિદાય પૂર્વે જ સાકાર કર્યું હતું. તે વેળા રાજા - મહારાજા - ઠાકોરો - નવાબો અને તેમના દીવાન કે ખજાનચી વચ્ચે એક ગાઢ નાતો જોવા મળતો હતો, અને સાથે સાથે જ સતત સંઘર્ષ પણ રહેતો હતો. રાજા - મહારાજા - ઠાકોરો કે નવાબો તો એશોઆરામમાં રચ્યાપચ્યા રહેતા હતા. ધુમાડાબંધ નાણાં વાપરતા રહેતા હતા અને આમ આદમી પર નીતનવા કરવેરાનો બોજ લાદતા રહેતા હતા.
આ રજવાડાંઓમાં પણ દીવાન તરીકે મોટા ભાગે નાગર, વણિક કે પછી નડિયાદના દેસાઇ વધુ કામિયાબ રહ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. આ લોકોની સફળતાના મૂળમાં વહીવટી કૌશલ્ય, જ્ઞાન, વાકચાતુર્ય વગેરે જેવા એક નહીં, અનેક પરિબળો ધરબાયેલા હતા, પરંતુ આની ચર્ચા પછી ક્યારેક વિગતે કરશું. ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી કે શામળદાસ મહેતા, પહેલાં પોરબંદરના અને પછી રાજકોટના દીવાન તરીકે સફળ કારભાર સંભાળનાર કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીજીના પિતા), ગોંડલના દીવાન રણછોડદાસ પટવારી હોય કે પછી પ્રાણશંકરભાઇ જોશી... આ બધાની વહીવટી કુનેહ જગજાહેર હતી.
લોકો આ રજવાડાંના શાસકો અને દીવાનોને આજેય કંઇ અમસ્તા યાદ નથી કરતાં. આ શાસકો અને તેમના દીવાન વચ્ચે એવો તે તાલમેળ હતો કે પ્રજાકલ્યાણના થોકબંધ કાર્યો થતા રહેતા હતા. આ બધું કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો શાસકો અને તેમના અધિકારીઓ વચ્ચે યોગ્ય સહયોગ સધાય તો જનકલ્યાણનું નમૂનેદાર કાર્ય શક્ય બને છે. ખેર, આપણે કાઠિયાવાડથી બ્રિટન પાછા ફરીએ...
બ્રિટનના તાજેતરના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો, ટોની બ્લેરે ૧૨ - ૧૨ વર્ષ સુધી વડા પ્રધાન પદ સંભાળ્યું. આ દરમિયાન ચાન્સેલર - દેશી ભાષામાં કહું તો દીવાન - તરીકે કાર્યભાર સંભાળ્યો હતો ગોર્ડન બ્રાઉને. બન્ને વચ્ચે ભારે ખેંચતાણ રહેતી, તીવ્ર સ્પર્ધા રહેતી. પરિણામે વડા પ્રધાન ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યારે ડેવિડ કેમરને વડા પ્રધાન તરીકે સરકારનું સુકાન સંભાળ્યું ત્યારે ચાન્સેલર તરીકેની જવાબદારી જ્યોર્જ ઓસ્બોર્નને સોંપાઇ હતી. કેમરન અને ઓસ્બોર્ન બન્ને કોલેજકાળ સમયના મિત્રો હોવાથી તેમની વચ્ચે ખટરાગ - ખેંચતાણ નહોતા જોવા મળ્યા. સરવાળે તેમનો કાર્યકાળ શાંતિપૂર્વક પસાર થયો હતો.
બોરિસ જ્હોન્સન વડા પ્રધાન બન્યા ત્યારે પ્રારંભે તેમણે ચાન્સેલર તરીકેની જવાબદારી યોગ્યતાના ધોરણે સાજીદ જાવિદને સોંપી હતી. પણ બોરિસ જ્હોન્સનના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિન્સ અને ચાન્સેલર સાજિદ જાવિદ વચ્ચે બારમો ચંદ્રમા જોવા મળતો હતો. છેવટે સાજીદે રાજીનામું આપ્યું અને તેના હાથ નીચે ટ્રેઝરી સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળતા ૩૯ વર્ષના રિશિ સુનાકની ચાન્સેલર તરીકે નિમણૂક થઇ.
ભારતીય મૂળના સુનાક અત્યંત સુશિક્ષિત અને વિચક્ષણ છે. આમ છતાં તેમના પગ ધરતી પર છે. રજૂઆતમાં એકદમ વિનમ્ર અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતો આ તરવરિયો ભારતીય યુવાન તેની કાર્ય પ્રતિબદ્ધતા માટે સુવિખ્યાત બન્યો છે.
એ તો સ્પષ્ટ છે કે બોરિસ જ્હોન્સન તેમના ચૂંટણી વચનોની પૂર્તતા માટે તેમજ અર્થતંત્રની મજબૂતી માટેનો કાર્યક્રમ વધુ સંગીન બને તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રે મબલખ નાણાં રોકવા માટે આતુર છે. જોકે દુનિયા આખીની જેમ જ્હોન્સનના ઇરાદાઓને પણ કોરોના નડી ગયો છે. પહેલાં લોકડાઉન થયું, પછી ફર્લો યોજના આવી પડી, સાથોસાથ અર્થતંત્ર પર જાતજાતના ખર્ચાઓ અને સબસીડીનો બોજ પણ ઝીંકાયો... આ બધાના પગલે બ્રિટિશ સરકારને - બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વખત - ૩૬૦ બિલિયન પાઉન્ડનું જંગી કરજ લેવાની મજબૂરી આવી પડી છે. કરજની સામે ખર્ચા પણ તૈયાર જ છે, પરંતુ આખરે તો આ બધો ભાર કન્યાની કેડે જ આવવાનોને?!
આર્થિક નિષ્ણાતો જાતભાતના આંકડાઓ માંડીને - ચાર્ટ ચીતરીને કહી રહ્યા છે કે એક તરફ અણધાર્યા ખર્ચા છે તો બીજી તરફ જંગી કરજનો બોજ છે અને આ બધાની વચ્ચે ચાન્સેલર સમક્ષ દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરે તેવું બજેટ રજૂ કરવાનો પડકાર છે. પરંતુ મારા - તમારા જેવી બહુમતી બ્રિટિશ પ્રજાને ભરોસો છે કે સુનાક હૈ તો મુમકિન હૈ... બહુમતી વર્ગ માને છે કે આ જવાબદારી સુનાક સુપેરે નિભાવી જાણશે. જ્હોન્સન લોકપ્રિયતા અંકે કરવા નીતનવી યોજનાઓ લાવશે તેમાં બેમત નથી, પરંતુ સુનાક બધું મેનેજ કરી લેશે.
સમયના વહેવા સાથે વડા પ્રધાન જ્હોન્સન અને ચાન્સેલર સુનાક વચ્ચેના સંબંધો વધુને વધુ સંગીન બની રહ્યા છે તે જોઇને કેટલાય રાજકીય નિરીક્ષકો આશ્ચર્યચકિત છે. આનું કારણ એ છે કે જ્હોન્સન અને સુનાકની જીવનશૈલી એકદમ વિરોધાભાસી છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. બાપલ્યા, બોરિસ જ્હોન્સનના અંગત જીવનની વાત માંડીશ તો કલમ આ પાનને પણ ઓળંગી જશે, પણ ટૂંકમાં કહું તો બો.જો. રંગીન મિજાજના માણસ છે. જ્યારે રિશિ સુનાક પરંપરાગત ભારતીય જીવનશૈલીને અનુસરે છે.
યોર્ક શહેરમાં ભવ્ય મેન્શન ધરાવતા સુનાક શક્ય હોય ત્યારે રવિવારે દેવદર્શન માટે સજોડે મંદિરે પહોંચી જાય છે. અને હા, આ માત્ર દેખાડો નથી. તેઓ ખરા અર્થમાં સજ્જન જેવું જીવન જીવે છે. કોઇ પણ પ્રકારે રંગરેલિયાનું તેમને વળગણ નથી. તેમના સાસુમાની - એટલે કે જીવનસંગિની અક્ષતાના માતાની - વાત કરીએ તો સુધા મૂર્તિ ભારતમાં સમાજસેવિકાથી માંડીને લેખિકા તરીકે આગવી નામના ધરાવે છે. લેખિકા તરીકે તેમના અનેક પુસ્તકો બેસ્ટ સેલર બન્યા છે તો સમાજસેવિકા તરીકે છેક છેવાડાના માણસને સ્પર્શે તેવી અનેક યોજના સફળતાપૂર્વક લાગુ કરી ચૂક્યા છે. જ્યારે ઇન્ફોસિસના સ્થાપકોમાંના એક એવા સસરાજી નારાયણ મૂર્તિ માટે તો એટલું જ કહી શકાય કે સિર્ફ નામ હી કાફી હૈ...
થોડાક દિવસ પૂર્વે ડાઉનિંગ સ્ટ્રીટના પાછળના ભાગે આવેલા નાનકડા બગીચામાં જ્હોન્સન અને સુનાક દંપતીએ બાર્બેક્યુ પાર્ટી યોજ્યાના અહેવાલોએ લોકોમાં જ નહીં, રાજકીય વિશ્લેષકોમાં પણ ભારે ઉત્સુક્તા સર્જી છે. સ્પષ્ટ છે કે બાર્બેક્યુ પાર્ટી તો બ્હાનું જ હશે. ખરેખર તો તેઓ સાથીઓ, સ્પર્ધકો અને બાજની નજર માંડીને બેઠેલા નિરીક્ષકોને સ્પષ્ટ સંદેશ આપવા માગતા હતા કે અમે - વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં - એકમેકના પૂરક છીએ.
આ સંકેતનું ભારતીય સમુદાય માટે આગવું મહત્ત્વ છે. પશ્ચિમી જગતની વાત કરીએ તો બ્રિટનમાં પહેલી વખત કેબિનેટમાં તેમજ શાસન વ્યવસ્થામાં મૂળ ભારતીયો પ્રભાવશાળી અનુદાન આપી રહ્યા છે. કેબિનેટમાં પ્રીતિ પટેલ, રિશિ સુનાક અને આલોક શર્મા પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. તો ટ્રેઝરીથી માંડીને બીજા સરકારી વિભાગોમાં પણ મહત્ત્વના સ્થાનો પર ભારતીય વંશજોની નિમણૂંક સ્પષ્ટ જોઇ શકાય છે. અલબત્ત, ભારતીય સમુદાયના વધતા પ્રભાવથી કેટલાક લોકોના પેટમાં જરૂર દુખે છે, પરંતુ એ તેમનો પ્રશ્ન છે. મારે કે તમારે તેની સાથે શું લેવાદેવા ભલા?!
જ્હોન્સન અને સુનાક વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટના બેકયાર્ડમાં શું રંધાયું છે? કઇ વાનગી બની રહી છે? તેના વિશે થોડાક દિવસોમાં પિક્ચર ક્લિયર થઇ જશે એમ મનાય છે. બે સપ્તાહ બાદ વડા પ્રધાન સંસદને સંબોધવાના છે અને દેશના અર્થતંત્રની ગાડીને સાંગોપાંગ કરવાના મામલે મુદ્દાસર રજૂઆત કરવાના છે. એ જ રીતે ચાન્સેલર સુનાકને આગામી સપ્તાહોમાં, વર્ષોમાં દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવી શકે તેવી નક્કર રૂપરેખા રજૂ કરવાની છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે બન્ને નેતાઓ વચ્ચે આવકાર્ય સહયોગ જોવા મળી રહ્યો છે. વડા પ્રધાન - ચાન્સેલરની જોડી એકમેકને સાથે રાખીને જે પ્રકારે આગળ વધી રહી છે તે દર્શાવે છે કે બ્રિટન માટે અચ્છે દિન શક્ય છે. સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ કંઇ અમસ્તું થોડું કહ્યું છે?! (ક્રમશઃ)