મારખમમાં સામાન્ય દિવસોમાં આકાશ વાદળછાયું હોય અને વરસાદ પડતો હોય છે. પરંતુ, જૈન હિંદુ ઓર્ગન ડોનેશન (JHOD) અને NHSBT કેમ્પેઈન દ્વારા મૃત્યુ પછી અને શક્ય હોય તો જીવન દરમિયાન બ્લડ ડોનેશન અને અંગદાન કરવા લોકોમાં જાગ્રતિ કેળવવા અને તેમને પ્રોત્સાહિત કરવાના થયેલા ઉમદા કાર્ય વિશે જાણીને અમારો દિવસ ઉજ્જવળ થયો. ઘણાં હિંદુ અને જૈન સંતોએ તેમના ધર્મ અને ધાર્મિંકગ્રંથોમાં અંગ દાનનું કેટલું મહત્ત્વ છે તેની સમજ આપતા સંદેશા મોકલ્યા હતા. વધુમાં, પોતાના પ્રિયજનોને અંગ દાન કરનારા ડોનરો અને જેમણે ઓર્ગન મેળવ્યા હતા તથા જે લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે તેમને મીડિયામાં વિસ્તૃત કવરેજ અપાયું હતું. ડોનરોને અંગ દાન કરવા કોણે પ્રેરણા આપી અને જે લોકોએ ઓર્ગન મેળવ્યા તેમના જીવનમાં કેવુ પરિવર્તન આવ્યું તથા જે લોકો ચમત્કાર સર્જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે તેમના મંતવ્યો જાણ્યા હતા. આપણી કમ્યુનિટીમાં યુકેમાં જ નહીં પણ નોર્થ અમેરિકા અને દુનિયાના અન્ય ભાગોમાં આ બાબતે ઓછી જાગ્રતિ છે. આપણી કમ્યુનિટીમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લીધે ઘણાં લોકોને ઓર્ગનની જરૂર રહે છે. JHOD અને NHSBT સાથે સંકળાયેલા તમામને અને ઓર્ગન ડોનર્સના પરિવારોને મારા સલામ પાઠવું છું. તેમણે પોતાના માટે નહીં પરંતુ, અન્યોનું જીવન બચાવવા માટે અને તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે સક્રિય અને રોજિંદુ જીવન જીવી શકે તે માટે સૌથી અમૂલ્ય કાર્ય કર્યું છે. તેમના પર પ્રભુના આશીર્વાદ દિવાળીએ જ નહીં પણ વર્ષના તમામ ૩૬૫ દિવસ ૨૪ x ૭ વરસતા રહે. પાંચ વર્ષ અગાઉ એક અખબારમાં આ વિશે વાંચીને મને પણ ઓર્ગન ડોનેશન ફોર્મ પર સહી કરવાની પ્રેરણા મળી હતી. તે મારા માટે નહીં પરંતુ અન્યો માટે ભેટ સમાન હતી. તમામ પ્રકારના ડોનેશનમાં બ્લડ અને ઓર્ગન ડોનેશન સૌથી શ્રેષ્ઠ ડોનેશન છે.