કોઈ રાજકારણી અને તે પણ સત્તાસ્થાને રહેલો રાજકારણી સત્તાત્યાગ કરે તેને કદાચ આપણે ‘ ન ભૂતો ન ભવિષ્યતિ’ તરીકે અવશ્ય ઓળખાવી શકીએ. વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટાં અર્થતંત્ર જાપાનના ભારતમિત્ર વડા પ્રધાન શિન્ઝો આબેએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપીને નવો ચીલો ચાતર્યો છે. ભલે તેમણે નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું હોય પરંતુ, તેમની ભાવના જાપાનની રાષ્ટ્રપ્રેમી સંસ્કૃતિને છાજે તેવી જ છે. તેમણે કહ્યું છે કે મારા ખરાબ સ્વાસ્થ્યની અસર સરકારના કામકાજ પર પડે તેમ હું ઈચ્છતો નથી.
શિન્ઝો આબેએ સૌથી લાંબો સમય એટલે કે ૨,૮૦૩ દિવસ જાપાનના વડા પ્રધાનપદે રહેવાનું બહુમાન મેળવ્યું છે. આમ તો, તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૧માં સમાપ્ત થવાનો હતો પરંતુ, એક વર્ષ ખેંચી કાઢવાનો વિચાર પણ તેમણે કર્યો નથી. સામાન્ય રીતે રાજકારણીઓ સત્તા પર ચિટકી રહેવાનું પસંદ કરે છે અને વયોવૃદ્ધ થવાં છતાં, હોસ્પિટલમાં રહીને પણ દેશનો વહીવટ ચલાવતા હોય છે. સરકારી ખર્ચે પોતાની સારવાર થાય તેવી પેરવી પણ કરતા રહે છે. વર્ષોથી અલ્સરેટિવ કોલાઈટિસની સમસ્યાથી પીડાતા શિન્ઝો આબેએ તેની સારવાર પણ કરાવી અને સુધારો પણ જણાયો હતો પરંતુ, સંપૂર્ણ સાજા થવાની કોઇ ગેરંટી ન હોવાથી સત્તાત્યાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. પદત્યાગ કરતી વેળાએ પણ તેમને જાપાનની જ ચિંતા રહી છે. તેમણે ઉત્તર કોરિયા અને રશિયા સાથેનો સરહદી વિવાદ ઉકેલી ન શકવા તેમજ ઘણાં કાર્ય અધુરા રહી જવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે. જોકે, તેમણે જાપાનના લશ્કરી દળોને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે અને ચીનની વિસ્તારવાદની મેલી મુરાદ સામે ઈન્ડો-પેસિફિક વિસ્તારને રક્ષણ આપવા ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે નૌસેનાની કવાયતો પણ યોજી હતી.
આબેએ ૨૦૦૬માં સૌથી યુવાન વય (૫૨ વર્ષ)ના વડા પ્રધાન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી પરંતુ, તબિયત ખરાબ થવાના કારણે એક જ વર્ષમાં સત્તા છોડી હતી. તેઓ ફરી ૨૦૧૨માં વડા પ્રધાન બન્યા હતા. શિન્ઝોના દાદા નોબુસુકે કિશી પણ વડા પ્રધાન હતા અને તેમના કાકા ઇસાકુ સાતોએ ૧૯૬૪થી ૧૯૭૨ના ગાળામાં વડા પ્રધાનપદ સંભાળ્યું હતું. તેમના પિતાએ પણ દેશના વિદેશ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આમ, રાજકારણ તેમના લોહીમાં જ હતું. આબેએ ૨૦૧૨માં પદ સંભાળ્યા પછી જાપાનના અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢી ચેતનવંતુ બનાવવા નાણાકીય નીતિમાં ધરખમ ફેરફારો કર્યા હતા અને રાજકોષીય નીતિને ફ્લેક્સિબલ બનાવી હતી. વિશ્વે આ ફેરફારોને આબેનોમિક્સ નામ આપી શિન્ઝોની કામગીરીને બિરદાવી હતી. હવે કોરોના મહામારીના કારણે જાપાન ફરી મંદીમાં ઘેરાયું છે ત્યારે નવા વડા પ્રધાન આબેનોમિક્સ નીતિને આગળ ધપાવે છે કે કેમ તે જોવાનું રહેશે.
ભારત માટે તો શિન્ઝો આબે શ્રેષ્ઠ મિત્ર બની રહ્યા હતા. અત્યારે ચીન સામે ચાલી રહેલા વિવાદમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન ભારતની પડખે ઉભાં રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના અંગત સંબંધોએ પણ જાપાન-અમેરિકા-ભારતની મિત્રતાને વેગ આપ્યો હતો. મોદીએ તેમના મિત્રના પદત્યાગ વિશે દુઃખની લાગણી વ્યક્ત કરવા સાથે તેઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા દર્શાવવા સાથે જ સાચી રીતે શિન્ઝો આબેને ભારત-જાપાનની મૈત્રીને મજબૂત બનાવનારા શિલ્પી તરીકે ઓળખાવ્યા છે.
ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ સુધીના હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારંભમાં તેમણે સપ્ટેમ્બર ૨૦૧૭માં વડા પ્રધાન મોદી સાથે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે ‘જય જાપાન, જય ઈન્ડિયા’નો મંત્ર આપ્યો હતો. તેમણે ભારત અને જાપાન સાથે મળીને આ સૂત્રને પરિપૂર્ણ કરવા કામ કરશે તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાને રૂપિયા ૮૮,૦૦૦ કરોડની લોન આપવાનું જણાવ્યું છે, જે ૫૦ વર્ષમાં પરત કરવાની છે. શિન્ઝો આબેના પદત્યાગ સાથે ભારતે મહત્ત્વપૂર્ણ ઈન્વેસ્ટર, વ્યૂહાત્મક સહયોગી અને સાચો આધારભૂત મિત્ર ગુમાવ્યો છે. આબેના અનુગામી સાથે આવી મિત્રતા સાધવાનું પણ ભારત માટે જરુરી બની રહેશે.