સમાજના વિકાસમાં આપણી ભૂમિકા અને ફરજ પ્રત્યે સજાગ બનીએ

Wednesday 02nd September 2020 05:42 EDT
 

વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ એકબીજા પર આધારિત હોય છે. વ્યક્તિના વિકાસ વિના સમાજનો અને સમાજના વિકાસ વિના રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી. આજે બ્રિટનમાં આપણા ગુજરાતીઓની ૫૦૦થી વધુ સંસ્થા સરકારના ચોપડે નોંધાયેલ છે. એમાં જ્ઞાતિ, ગામ, ગોળ, સાહિત્ય, સંગીત, કલા, ચેરિટી, ધાર્મિક... એમ વિવિધ પ્રકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
સમાજની સુખાકારી, સેવા અને વિકાસના ઉમદા હેતુસર જે તે સંસ્થાની સ્થાપના થઇ હોય છે. એક ઉમદા લક્ષ્યથી આ સંસ્થાઓનું માળખું રચાયું હોય છે. દરેકનું પોતપોતાની જરૂરિયાત અને લક્ષ્યાંક મુજબ બંધારણ ઘડાયું હોય છે. પોતાના લક્ષ્યાંકની પૂર્તિ માટે શું શું કરવું એનું લખાણ કાગળ પર ઉતારાયું હોય છે. કાગળ પર તો લખાણ હોય છે પણ એનો અમલ કરવામાં કેટલીક સંસ્થાઓ સજાગ રહી એક ઊંચાઇને આંબે છે જ્યારે કેટલાકની ગતિ ગોકળ ગાય જેવી હોય છે તો વળી કેટલાકમાં કાગના વાઘ જેવું હોય છે. આમ કેમ? જે તે સંસ્થાઓનો વિકાસ એના નેતા પર આધાર રાખે છે? એ કેટલા નિષ્ઠાવાન છે? એમની નીતિમત્તાનું ધોરણ કેટલું ઊંચું છે? એમની વહિવટીય ક્ષમતા કેવી છે? પોતાની ફરજ પ્રતિ કેટલી સજાગતા છે?... આ બધાં પરિબળો પ્રગતિના માપદંડ છે. વિવિધ લક્ષ્યાંકો સાથે જે તે સંસ્થાઓની નીંવ ઉભી થઇ હોય છે. પાયો પાકો તો વિકાસ નિશ્ચિત અને પાયો કાચો તો હવાના ઝોંકો આવતા જ ઇમારત ખખડધ્વજ થઇ જવાની સંભાવના વધુ. આપણા સમાજની સંસ્થાઓ સ્વસ્થ અને સધ્ધર બને એ જોવાની આપણી ફરજ છે. એ પ્રત્યે આંખ આડા કાન કરવા ન પોષાય.
આજે એવી સંસ્થાઓની વાત કરવી છે જેણે વિકાસની દિશામાં આગેકૂચ કરી સમાજનું અને રાષ્ટ્રનું હિત કર્યું હોય. અમુક સંસ્થાઓનો સર્વાંગી વિકાસ જોઇ એના નેતાને વંદન કરવાનું મન થાય. એમને બિરદાવવા છે. જેની બાગડોર વીઝનરી નેતાઓના હાથમાં છે. વહિવટીય પારદર્શકતા છે. સમાજના દરેક સભ્યના હિતની ખેવના રાખી છે. એવી સંસ્થાઓના કેટલાક નામો એમના કામોને કારણે નજર સમક્ષ આવે છે એનો ઉલ્લેખ કરતા હું ગૌરવ અનુભવું છું.
દા.ત. લોહાણા, ઓશવાળ, પ્રજાપતિ, મેર, નવનાત વગેરે જ્ઞાતિ સંસ્થાઓને એમના વિકાસ માટે અભિનંદન આપવા ઘટે. લોહાણાની વસ્તી લગભગ ૪૦,૦૦૦ જેટલી હશે. ઓશવાળની વસ્તી ૨૦-૨૫,૦૦૦ હશે. મેર કોમની વસ્તી અંદાજે ૨૫,૦૦૦ હશે. નવનાતની વસ્તી અંદાજે ૧૦,૦૦૦ હશે. આમ વસ્તીના પ્રમાણમાં જે પ્રવૃત્તિઓ થઇ રહી છે એ સરાહનીય છે.
જેમના કાર્યક્રમોથી સમાજને લાભ થાય. સંઘર્ષના સમયમાં રાહત થાય. યુવાનોની કરીયર માટે યોગ્ય માર્ગદર્શનની સુવિધા પૂરી પાડે. વ્યવસાયિકો, પ્રોફેશ્નલ્સ માટે અવાર-નવાર સેમિનાર્સ, કોન્ફરન્સો યોજી પ્રોત્સાહન અને પ્રેરણા અપાય.

ધાર્મિક કાર્યક્રમો યોજી ધર્મના સંસ્કારનું સિંચન થાય. ભાષા શિક્ષણની પ્રવૃત્તિ થાય. મહિલાઓના પ્રશ્નોની ચર્ચા થાય. બાળઉછેરને પ્રાધાન્ય અપાય.
વડિલોની વેદના સમજી યોગ્ય પગલાં ભરાય. આરોગ્યને લગતા પ્રશ્નોની ચર્ચા થાય. સમાજના નાના-મોટા પ્રત્યેકના હિતને મધ્ય નજરે રખાય.
તાજેતરમાં કોવિદ-૧૯ મહામારીનો ભોગ બનેલ વનરેબલ, નિ:સહાયો, એકલતા અનુભવતા અને સમાજની સેવામાં ખડે પગે ઉભા રહેલ NHSના ફ્રન્ટ લાઇનના સુપર હીરોસ, એમ્બ્યુલન્સ સેવા, ફાયરબ્રિગેડ, પોલીસ વગેરેની કદર કરી એમની જરૂરિયાતો મુજબ ફુડ પકેટ્સ કે PPEના સાધનો તથા અન્ય જરૂરિયાતો પૂરા પાડવા જહેમત ઉઠાવનારી સંસ્થાઓને પણ બિરદાવવી ઘટે. કટોકટીના સમયમાં સમાજની પડખે ઉભા રહેવાની ફરજ બજાવનારી સંસ્થાઓ અને વ્યક્તિઓને ધન્યવાદ.
ધ ગુજરાત હિન્દુ એસોસિએશન - પ્રેસ્ટન એ ધાર્મિક સંસ્થા છે. ૧૩ સપ્ટેમ્બરે એની વાર્ષિક સભા છે. એમણે A4 સાઇઝની ૨૪ પાનાંની વિસ્તૃત પત્રિકા બહાર પાડી છે. જેમાં એમની આવક-જાવકના હિસાબો, થાપણ, વર્ષભરના કાર્યક્રમોની સૂચિ, વિવિધ પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ કરાયો છે. એમની વહિવટીય પારદર્શકતા અને વિકાસગાથા જોઇ જરૂર ગૌરવ ઉપજે. કોઇ ઢાંકપિછોડા નહિ!
શ્રી કચ્છ લેઉઆ પાટીદાર સમાજ પણ એમના સભ્યોના હિતને કેન્દ્ર સ્થાને રાખી વિવિધ પ્રવૃત્તિઓના આયોજન કરે છે.
અમુક સંસ્થાઓમાં ભલે પ્રેસિડેન્ટ હોય, ટ્રસ્ટી હોય, પેટ્રન હોય પરંતુ વિકાસની દિશામાં ખાસ કોઇ પ્રગતિ સધાઇ ન હોય એવાઓ માટે પોતાની ફરજ પ્રત્યે જાગ્રત થવાનો સમય પાકી ગયો છે.
કેટલીક ચેરિટી સંસ્થાઓ જેમની આવક સારી હોય પરંતુ એમની સેવાકીય પ્રવૃત્તિઓ વિચાર માગી લે એવી હોય છે. લોહાણા સમાજના અગ્રણીઓ સુભાષભાઇ ઠકરાર અને પ્રતીકભાઇ દત્તાણીએ કેટલાય વર્ષો સુધી પોતાના ખર્ચે ‘ચેરિટી-ક્લેરિટી’ સંસ્થા બનાવી બધી ચેરિટેબલ સંસ્થાઓના એસેસમેન્ટ કર્યા. તેઓ એમની ફરજ યોગ્ય રીતે બજાવે છે કે કેમ? એમના હિસાબ-કિતાબમાં પારદર્શકતા છે કે નહિ? આ વિગતો જાણવા અમે એમની સાથે મીટીંગો યોજી. ચેરિટેબલ સંસ્થાઓની પ્રવૃત્તિઓ સહિત અન્ય પાસાંઓ તપાસતાં જણાયું કે, કામો ઘણાં થાય છે પરંતુ ગુજરાતી સમાજમાં આંખે ઊડીને વળગે એવી સંસ્થાઓ જૂજ છે.
ભારતીય વિદ્યા ભવન પણ ભારતીય ભાષાઓ, સંગીત, નૃત્ય આદી કલાઓના શિક્ષણની સુવિખ્યાત સંસ્થા છે. એ પણ સારૂં કામ કરે છે. સ્વામિનારાયણ ગુરૂકૂળની સંસ્થાઓમાં પણ શિસ્ત છે. જેઓ સારા કામ કરે છે એમની સરાહના કરતા હું અન્ય સંસ્થાઓને અપીલ છે કરું છું કે, બંધારણ પ્રમાણે આયોજન કરો. સભ્યોને સુવિધા પૂરી પાડો. સમાજના યુવા, મહિલા, વડિલ વર્ગના પ્રશ્નોને વાચા આપો. સમાજની તકલીફ નિવારવા અને સુધારવાની પ્રવૃત્તિઓ હાથ ધરો. સમાજને સધ્ધર બનાવવો કે પાંગળો એ આપણા હાથમાં છે. સેવા કરવી જ હોય તો ફરજનું પાલન કરવામાં કચાશ ન રાખો. સેવાનું માત્ર મ્હોરૂં પહેરવાનું ટાળો. યાદ રાખો કે વ્યક્તિ કરતા સમાજ મહાન છે.
 સત્યમ્ શિવમ્ સુંદરમનો ત્રિવેણી સંગમ કરી સમાજને યોગ્ય દિશામાં મોડ આપવાની અમારી ફરજના પાલનમાં આપ સૌના સાથની અપેક્ષા અસ્થાને નથી.
------------------------


comments powered by Disqus