લોકડાઉન પછી ફરી શરૂ થયેલી સબ ટીવીની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેટલાક નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. સિરિયલમાં અમુક કલાકારો બદલાયા છે, તો નવા કલાકારનું આગમન પણ થયું છે. સિરિયલમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવતા અભિનેત્રી નેહા મહેતા અને સોઢીનું પાત્ર ભજવતા રોશનસિંહ શો છોડી રહ્યાં છે. તેના સ્થાને સુનયના ફોઝદાર અંજલિ મહેતાનું, જ્યારે બલવિન્દર સિંહ સુરી સોઢીનું પાત્ર ભજવશે. સિરિયલમાં થોડા દિવસ પહેલા જ નવા કલાકાર રાકેશ બેદીનું આગમન થયું છે. રાકેશ બેદી તારક મહેતાના બોસ તરીકે આવ્યા છે. અત્યાર સુધી આ પાત્ર ખાલી હતું. તેમણે શૂટિંગ શરૂ કરી દીધું છે અને સિરિયલમાં તેમની હાજરી પણ આવી ચૂકી છે. નેહા મહેતાએ અંગત કારણોસર શો છોડ્યો છે. ૧૨ વર્ષ સુધી તેમણે અંજલિ મહેતાનું પાત્ર ભજવ્યું છે. ભૂતકાળમાં પણ સિરિયલના ઘણા પાત્રો એક યા બીજા કારણોસર શો છોડી ચૂક્યા છે, જ્યારે નવા પાત્રોનું આગમન થતું રહ્યું છે.