અક્ષયકુમારે જરૂરિયાતમંદ કલાકારો માટે કુલ રૂ. ૪૫ લાખ દાન કર્યા

Wednesday 03rd June 2020 06:44 EDT
 
 

દેશમાં કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પીએમ કેયર્સ ફંડમાં રૂ. ૨૫ કરોડનું દાન કર્યા બાદ પણ જરૂરિયાતમંદો માટે અને ફ્રન્ટલાઇન વર્કર્સને મદદ કરવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ અક્ષયકુમારે ફિલ્મ અને ટીવી કલાકારોની સંસ્થા સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ એસોસિએશનને રૂ. ૪૫ લાખની આર્થિક મદદ મોકલી છે.
સિંટાના જોઇન્ટ સેક્રેટરી અમિત બહલે આ અંગે કહ્યું કે અક્ષય કુમારે રૂ. ૪૫ લાખ આપીને કલાકારોની મદદ કરી છે. આ રકમમાંથી સંસ્થાએ ૧૫૦૦ કલાકારોનાં બેંકનાં ખાતાઓમાં રૂ. ૩૦૦૦-૩૦૦૦ના ટ્રાન્સફર કરી દીધા છે. સિંટાના ડાયરેક્ટરે પૈસાની તંગી સામે ઝઝૂમી રહેલા કલાકારો વિશે માહિતી અક્ષય કુમાર સમક્ષ આપી હતી.
બહેલના જણાવ્યા મુજબ તાજેતરમાં રિતિક રોશને પણ સિંટાને રૂ. ૨૫ લાખ દાન આપ્યા છે. આ સિવાય વિદ્યા બાલન, શબાના આઝમી, ફરહાન અખ્તર, રાજીવ કપૂર અને રણધીર કપૂર પરિવારે રૂ. પાંચ-પાંચ લાખ દાન પેટે આપ્યા છે. બોલિવૂડના ઘણા કલાકારો સિંટા સાથે જોડાયેલા કલાકારોની મદદે આવી ચૂક્યા છે.

સ્ટ્રિક્ટ પ્રોટોકોલ્સની સાથે અક્ષયે શૂટિંગ કર્યું

અક્ષય કુમાર અને ફિલ્મમેકર આર. બાલ્કિએ તાજેતરમાં લોકડાઉન પછીની જવાબદારી સંલગ્ન એક એડ્ કેમ્પેઇનનું શૂટિંગ મુંબઈમાં કમલિસ્તાન સ્ટુડિયોમાં કર્યું હતું. જરૂરી સાવધાની અને સાવચેતી સાથે આ શૂટિંગ થયું હોવાનું જાહેર કરાયું હતું. બાલ્કિએ કહ્યું હતું કે, આ એડ્ હેલ્થ મિનિસ્ટ્રી માટે હતી અને માસ્ક્સ પહેરવા અને ક્રૂના મેમ્બર્સની સંખ્યા મિમિમમ રાખવી સહિતના જરૂરી પ્રિકોશન્સ લેવામાં આવ્યા હતા.


comments powered by Disqus