‘ઝિંદગી કૈસી હૈ પહેલી...’ના ગીતકાર યોગેશ ગૌરનું નિધન

Thursday 04th June 2020 06:55 EDT
 
 

હિંદી સિનેમાના વૃદ્ધ ગીતકાર યોગેશ ગૌરનું ૭૭ વર્ષની વયે ૨૯મી મેએ નિધન થયું હતું. પાર્શ્વગાયિકા લતા મંગેશકરે તેમના નિધન અંગે ટ્વિટ કરી હતી કે, મને હાલમાં જ ખબર પડી કે હૃદયને સ્પર્શી જનારા ગીત લખનાર કવિ યોગેશજીનું નિધન થયું છે. આ સાંભળીને મને ઘણું જ દુઃખ થયું. યોગેશજીએ લખેલા ઘણાં ગીતો મેં ગાયા છે. યોગેશ ઘણાં જ શાંત તથા મધુર સ્વભાવના માણસ હતાં.
હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એક્ટર તથા ફિલ્મમેકર નિખિલ દ્વિવેદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તમારા જેવી વ્યક્તિ એક માત્ર હતાં. અમે તમને તમારો હક આપી શક્યા નહીં, પરંતુ તમારા દરેક શબ્દ મોતી હંમેશાં રહેશે. તમે મારા મનપસંદ હતાં. તમે લિજેન્ડ હતાં.
વરુણ ગ્રોવરે કહ્યું હતું કે, અલવિદા યોગેશ સા’બ, તેમણે અનેક સારાં ગીતો લખ્યાં હતાં. તેઓ સાદગી તથા ઊંડાણ વચ્ચેની જગ્યા શોધી લેતા હતાં.
૧૯મી માર્ચ, ૧૯૪૩માં લખનઉમાં જન્મેલા યોગેશ ગૌરે સાઠ તથા સિત્તેરના દાયકામાં હિંદી સિનેમાને અનેક ગીતો આપ્યાં હતાં. તેમણે ખાસ કરીને ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટર્જીની ફિલ્મ માટે ગીતો લખ્યાં હતાં. તેમણે પોતાની કરિયરની શરૂઆત ૧૯૬૨માં ‘સખી રોબિન’ ફિલ્મમાં ગીતો લખવાથી કરી હતી. આ ફિલ્મ માટે તેમણે છ ગીતો લખ્યાં હતાં. ‘આનંદ’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘બાતો બાતો મેં’, ‘મંઝિલ’, ‘બેવફા સનમ’ માટે તેમણે ગીતો લખ્યાં હતાં. છેલ્લે ૨૦૦૩માં ફિલ્મ ‘શશશ...’ માટે તેમણે ગીતો લખ્યાં હતાં. તેમણે ટીવી સિરિયલ્સ માટે પણ થોડું કામ કર્યું હતું.


comments powered by Disqus