અમે પ્રેમાળ પિતા અને સમાજે માર્ગદર્શક ગુમાવ્યાઃ પ્રદીપ ધામેચા

પ્રદીપ ધામેચા Wednesday 04th March 2020 08:20 EST
 
 

જય શ્રીકૃષ્ણ, જય જલારામ
મારા પિતા ખોડીદાસભાઈ ધામેચા કે જેમનો ૧૪મી ફેબ્રુઆરીના રોજ ૮૯ વર્ષની વયે જામનગર ખાતેના ઘરે સ્વર્ગવાસ થયો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ડોલરભાઈ અને યતિનભાઈ આપનો આભાર.
પપ્પાને શ્રદ્ધાંજલિ અર્પવી ખરેખર મુશ્કેલ છે કારણ કે તેમણે પોતાના જીવનકાળમાં પ્રેમાળ પત્ની, મારા માતા લલિતાબેન ધામેચા અને પોતાના ભાઈ, મારા કાકાઓ શાંતિકાકા અને સ્વ. જયંતિકાકાના સહકારથી ઘણું હાંસલ કર્યું હતું.
જ્યારે પણ હું પિતાજી અંગે વિચારુ છું ત્યારે એક વિચાર સદાય મારા મનમાં આવે છે, તેઓ સદાય નિસ્વાર્થપણે અને નમ્રતાપૂર્વક જીવન જીવ્યા. તેમના માટે પરિવાર જ સર્વસ્વ હતો.
મારી પત્ની વીણા અને અમારા સંતાન રાધિકા, રિદ્ધિ અને આનંદ તથા હું સદાય એ બાબતે આભારી રહીશું કે અમે હંમેશાં અમારા વડીલો સાથે રહ્યા અને તેઓની ગહન અસર અમારા પર થઈ છે.
પપ્પા મારા માટે ફક્ત એક પિતાસમાન જ નહોતા પણ તેઓ મારા માર્ગદર્શક અને મારા ગુરુ પણ બનીને રહ્યા. હાલ હું જે કાંઈ પણ છું અને મેં જે પણ મેળવ્યું છે તે તેમના કારણે જ છે.
મારા પિતાજીના અનન્ય લક્ષણો મને વારસામાં મળ્યા છે, જેમાંથી કેટલાક અંગે હું આપને જણાવીશઃ
૧. સૌપ્રથમ તો એ કે તેઓ હંમેશાં ઉદાહરણરૂપ રહ્યાં છે, તેઓ એક જ સ્થળે સદાય સાદગીપૂર્વક રહ્યાં, સ્ટેનમોર ખાતે છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન તેઓ હંમેશાં પોતાના ભાઈઓ નજીક રહ્યાં.
૨. તેઓ ક્યારેય કોઇને નિરાશ નહોતા કરતા અને પોતાની દરેક જવાબદારી નિભાવતા. તેઓ પોતાના શબ્દોને વળગી રહેતા.
૩. તેઓ હંમેશાં પોતાના તમામ મિત્રોને વફાદાર રહ્યા અને પરિવાર સાથે સાંકળતા રહ્યા. પરિવારના મોભી તરીકે તેઓ માનતા હતા કે પરિવારના સારા માટે બલિદાન અને સમાધાન એ તેમની ફરજ છે.
૪. સમાજના ઉત્થાન માટે તેમણે સદાય સમય અને દાન પૂરતા પ્રમાણમાં આપ્યું. લોકોને મદદ કરવાની સાથે સમાજ માટે પણ સહાયરૂપ બનવું તેમને ગમતું.
૫. તેઓ વેપાર અંગેનું વાંચન ધરાવતા અને ૧૯૭૦થી ફાયનાન્સિયલ ટાઈમ્સ વાંચતા હતા. તેઓ મને ગમતા અને ઉપયોગી થાય તેવા લેખ અને અહેવાલ સંભાળી રાખતા અને વંચાવતા.
૬. તેઓ દસ્તાવેજો, કાગળપત્ર તારીખવાર પ્રમાણે કાળજીપૂર્વક રાખતા
૭. તેઓ ગર્વથી માવજતપૂર્વક રહેનારા સ્વતંત્ર વ્યક્તિ હતા, જામનગરની ૩૦ ડિગ્રીવાળી ગરમીમાં પણ તેઓ હંમેશાં સુટ-ટાઈમાં જોવા મળતા.
૮. પિતાજી હંમેશાં શિસ્તમાં માનતા અને નૈતિકતામાં મોખરે રહેતા હતા. તેઓ દરેક સાથે સમાનતાપૂર્વક વર્તતા. આ યાદી તો લંબાતી જાય તેમ છે. જ્યારે તેમની કેટલી સિદ્ધિઓ અંગે વિચારું છું તો જણાય છે કે તે નોંધનીય છે, અહીં કેટલીક અંગે જણાવું...
૧. વર્ષ ૧૯૬૮માં મારા માતાપિતા અને તેમના બે મિત્રો સ્વ. ધનજીભાઈ અને સ્વ. ઓધવજીભાઈ પાંચ મહિનાની વર્લ્ડ ટૂર પર ગયા હતા, જેમાં તેમણે આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, એશિયાની મુલાકાત લીધી અને કેન્યા પરત ફરતા પહેલાં તેઓ ભારત પણ ગયા. યાદ રહે કે એ સમયે પ્રવાસ આટલો સરળ નહતો અને વર્તમાન સમય જેટલો સસ્તો પણ ન હતો.
૨. વર્ષ ૧૯૭૧માં પિતાજીએ નક્કી કર્યું કે યુકે જઇએ, પોતાના ભાઈઓને કેન્યા ખાતેનો વેપાર બંધ કરીને સાથે જોડાવા કહ્યું.
૩. વર્ષ ૧૯૭૬માં ત્રણ ભાઈ, મારા પિતા અને તેમના બે ભાઈઓએ ૧૦,૦૦૦ સ્કેવર ફૂટમાં ફેલાયેલું પોતાનું પ્રથમ કેશ એન્ડ કેરી વેરહાઉસ વેમ્બલી ખાતે શરૂ કર્યું, તેમનો વેપાર ત્યાર બાદ સતત વધતો જ રહ્યો છે.
૪. ૧૯૯૦ના અંત ભાગે તેમણે વેપારમાંથી પોતાનું ધ્યાન હટાવવું શરૂ કર્યું અને પોતાનો સમય યુકે અને ભારતમાં પરોપકારી પ્રવૃત્તિઓ માટે ફાળવવાનું શરૂ કર્યું, જેના માટે તેઓ ખૂબ ઉત્સાહી હતા. આવા કાર્યોની યાદી પણ લાંબી છે.
પિતાજી સંબંધોમાં માનનારા હતા જેના કારણે તમારા જેવા અનેક અહીં અમારી સાથે છે અને બીજા સેંકડો એવા છે કે જેઓ સંદેશા મોકલી રહ્યાં છે. તેમની દૂરંદેશીને કારણે જ અમારો પરિવાર આજે પણ ખીલી રહ્યો છે અને મજબૂત તથા એકસંપ છે. આ અમે કરી બતાવ્યું છે. તેનું સહુથી મોટું ઉદાહરણ એ છે કે જ્યારથી તેઓ બીમાર પડ્યા ત્યારથી જીવ્યા ત્યાં સુધી અમારો સમગ્ર પરિવાર ભારતમાં જામનગર જઇ તેમને મળતો રહ્યો. અલબત્ત, મને લાગે છે કે નાતાલની રજાઓ દરમિયાન હું અને મારા ચારેય પિતરાઈ ભાઈઓ જામનગરમાં પહેલીવાર સાથે રહ્યાં તેની પણ તેમને નવાઈ લાગી હતી.
આ ઉપરાંત, અમારા પરિવારમાંથી જેટલા પણ સભ્યો ભારત જતાં તેઓ અચૂકપણે જામનગર જતા અને પિતાજીને મળતા. તેમણે સહુ માટે કર્યું કદાચ, તેના કારણે જ સહુએ તેમની સાથે આટલા ગાઢ સંબંધ જાળવી રાખેલા. તેમનું મન હંમેશાંથી ભારતમાં રહ્યું અને તેમણે નક્કી કરેલું કે તેમણે જન્મ ભારતમાં લીધો તો મૃત્યુ પણ ભારતમાં જ પામશે. જીવનના અંતકાળમાં પણ તેમણે કોઇ એન્ટીબાયોટિક્સ અને પેઇનકિલર્સ નહોતી લીધી. તેમણે શાંતિપૂર્વક પરિવારથી અને દુનિયાથી વિદાય લીધી.
પિતાજીની નાદુરસ્ત તબિયત વખતે તેમને મળવા આવનારા અને આશીર્વાદ આપનારા સહુ સંતોના પણ અમે આભારી છીએ. હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં પિતાજીના અસ્થિ વિસર્જન સહિતની અંતિમવિધિઓની વ્યવસ્થા કરી આપી તે બદલ અમે વડોદરાસ્થિત પૂજ્ય વ્રજરાજબાવા જે જે ના આભારી છીએ.
મારા પિતાજી હંમેશાં મારી, વીણા અને મારા સંતાનોની સ્મૃતિમાં રહેશે, ખાસ કરીને મારા માતાજી ડબલ્યૂ. એચ. ઓડેનની પંક્તિઓમાં તેમને યાદ રાખશેઃ
“હી વોઝ માય નોર્થ, માય સાઉથ, માય ઈસ્ટ અને માય વેસ્ટ
માય વર્કિંગ વીક અને માય રેસ્ટ
માય મૂન, માય મિડનાઈટ, માય ટોક, માય સોન્ગ”
પપ્પા, અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ અમને સ્વર્ગમાંથી પણ હંમેશાં માર્ગદર્શન આપતા રહેશો. આભાર...
પ્રદીપ ધામેચાના જય શ્રીકૃષ્ણ (૧ માર્ચ ૨૦૨૦)
સમાજ માટે પ્રેરણાસ્ત્રોત ખોડીદાસભાઈ ધામેચાને અંજલિ અર્પે છે લોર્ડ જીતેશ ગઢિયા (વાંચો પાન-૩૦)


comments powered by Disqus