ચીનના વુહાનમાં ડિસેમ્બર ૨૦૧૯થી ઉદ્ભવેલા કોરોના વાઇરસ ‘Covid-19’નો ચેપ એશિયા, અમેરિકા અને યુરોપ સહિત ૬૦થી વધુ દેશોના ૮૮,૦૦૦થી વધુ લોકોને લાગી ગયો છે અને સેંકડો માનવજિંદગીનો ભોગ લેવાઇ ચૂક્યો છે. કોરોનાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર કેવી વિષમ અસરો થઈ શકે તેની ચર્ચાઓ અને આગાહીઓ થવા લાગી છે. કોઈ રોગચાળાની વિશ્વને કેટલી કિંમત ચૂકવવી પડે તે ખરેખર કોઈ જાણતું નથી. કોરોના વાઇરસ અતિશય ઝડપે પ્રસરી રહ્યો છે તે જોતાં હવે આગાહીઓ કરવી મુશ્કેલ હોવાનું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવા પણ સ્વીકારી રહ્યાં છે. વિશ્વના દેશો એકબીજા સાથે ચીજવસ્તુઓ અને સેવાની ખરીદી અને વેચાણના તાણાવાણાથી સંકળાયેલાં છે. એકાદ તાણાના તૂટવાથી સુનામી જેવી અસર પણ સર્જાઈ શકે છે.
મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો એક બાબતે સહમત છે કે વિકરાળ મંદી મોં ફાડીને આગળ વધી રહી છે. કોરોના વાઇરસને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કરાયો નથી. છેલ્લે ૧૦૦ વર્ષ અગાઉ, ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુના મહાઆક્રમણનો સામનો કરવાનો થયો હતો. સમગ્ર વિશ્વમાં કુલ વસ્તીના ત્રીજા ભાગ અંદાજે ૫૦૦ મિલિયન લોકોને તેની અસર અને અંદાજે ૨૦થી ૫૦ મિલિયન લોકોના મોત થયાં હતાં.
પરિસ્થિતિ એ છે કે વૈશ્વિક અર્થતંત્રોને વિવિધ રીતે અસર થઈ રહી છે. ચાઈનીઝ બિઝનેસ ટ્રાવેલ અને પર્યટન તો ઠપ થઈ જ ગયાં છે. વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બની ગયેલા ચીનમાં વેપાર-ધંધા બંધ છે, ફેક્ટરીઓને તાળાં વાગ્યાં છે જેના પરિણામે, વિશ્વની મોટી ઓટોમોબાઈલ્સ, ટેલીકોમ્યુનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, એનર્જી સેક્ટર અને ગ્રાહક વપરાશની કંપનીઓની સપ્લાય ચેઈન્સ તૂટી ગઈ છે. બીજી તરફ, તેની
આયાતો ઘટી જવાથી વિશ્વના દેશોમાં ભરાવો થઈ જતાં ભાવ તૂટી રહ્યાં છે. આમ, બેવડો માર વાગી રહ્યો છે.
૨૦૦૮ અને ૨૦૦૯ની મહામંદી મોટા ભાગે ‘માગનો આઘાત’ હતી જ્યારે બેન્કોની પડતી થઈ હતી, માગના અભાવે મકાનોના ભાવ તળિયે પહોંચ્યા હતા અને ટ્રિલિયન્સ ડોલરની પારિવારિક સંપત્તિઓનું ધોવાણ થયું હતું. લોકો અને બિઝનેસીસ પાસે અચાનક નાણાં ખૂટી જવાથી ખર્ચા બંધ થતાં ભારે મંદીનું વાતાવરણ છવાઈ ગયું હતું. હવે કોરોના વાઈરસના કારણે ‘પુરવઠાનો આઘાત’ સર્જાયો છે. વિશ્વની સૌથી મોટી ફેક્ટરીને તાળાબંધીથી પુરવઠો બંધ થઈ ગયો છે. લોકો પાસે નાણાં છે પરંતુ ક્યાં ખર્ચવા તે સમજાતું ન હોવાથી ઈન્વેસ્ટમેન્ટ્સને વિપરીત અસર પહોંચી છે જે મહામંદીની જ નિશાની છે.
શેરબજાર અથવા તો સ્ટોક માર્કેટ્સ કોઈ પણ દેશના અર્થતંત્રના વિકાસની પારાશીશી મનાય છે પરંતુ, કોરોના વાઇરસ વિશ્વવ્યાપી બની રહ્યો હોવાથી અમેરિકા, જાપાન, યુરોપ અને હોંગ કોંગ સહિતના મોટા ભાગના શેરબજારોનું ભારે ધોવાણ થયું છે. થોડાં સપ્તાહ અગાઉ તો નિષ્ણાતો ચીનમાં ફેલાયેલા વાઇરસની અસર એટલી વ્યાપક નહિ હોય તેવી આગાહી કરતા ખચકાતા ન હતા પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ છે. કોરોના વાઇરસ યુરોપ, મિડલ ઇસ્ટ, બંને કોરિયા, જાપાન અને છેલ્લે અમેરિકામાં પણ પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે ગભરાટ પણ પ્રસરી રહ્યો છે. વિશ્વના લાખો લોકોને ક્વોરેન્ટાઈનમાં રાખવા પડે અને પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ બંધ જ થઈ જાય તો પરિણામ મહામંદી સિવાય શું હોઈ શકે?