વડીલ સ્નેહીજનો સહિત પ્રિય વાચકમિત્રો,
મને આનંદ છે કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની ગત ત્રણ એડિશનમાં મારી ગેરહાજરીની નોંધ તો લેવાઈ જ. મારો પરિવાર અને હું ભારતમાં યાત્રાસ્થાનોએ ગયા હતા પરંતુ, તેની વાત ફરી કોઈ વખત. હું ગત સપ્તાહે જ યુકે પરત આવ્યો છું. કોમ્યુનિટીના અન્ય મિત્રોની માફક હું પણ સમાચારો પર નજર ફેરવતો રહું છું. તમે નખશિખ સજ્જન ખોડીદાસભાઈને તેમના પુત્ર પ્રદીપ ધામેચા, લોર્ડ જીતેશ ગઢીયા અને લોર્ડ ડોલર પોપટ દ્વારા અપાયેલી શ્રદ્ધાંજલિઓ વાંચી હશે. લોર્ડ ગઢીયાએ તેમનું વર્ણન ‘બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના આદર્શ’ તરીકે કર્યું છે તે હું વાસ્તવિકપણે માનું છું. મારા માટે ખોડીદાસભાઈ ‘વૈષ્ણવ જન’ હતા, નમ્રતા અને માનવીએ જે કાંઈ બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ તેનું તેઓ પ્રતીક હતા.
સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટરમાં પ્રાર્થનાસભામાં હું હાજર રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોને હોલમાં આવતા અને જતા નિહાળ્યા અને મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઉભાં રહેલા પણ મેં જોયા. લોહાણા કોમ્યુનિટી, નોર્થ લંડનના પૂર્વ પ્રમુખ વિનોદ ઠકરારે મને માહિતી આપી કે ૩૦૦૦થી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે. નોંધપાત્ર બાબત એ હતી કે આવનારા લોકો પરિવારજનોને મળી તેમને દિલાસો આપી ટુંક સમયમાં નીકળી જતા હતા જેથી આખરી વિદાય આપનારા અન્ય તમામ લોકો માટે પણ પૂરતી જગ્યા મળી રહે.
આ ખરેખર બહુવંશીય અને બહુજાતિય લોકોનો સમૂહ હતો. ખંડના કેન્દ્રમાં મારા આદર્શ ખોડીદાસભાઈની સુંદર તસવીર હતી. તેમની તસવીર પણ તેમના આંતરિક વ્યક્તિત્વનું તેજ રેલાવતી હતી. ભગવાન કૃષ્ણની પશ્ચાદભૂ સાથેના સ્ટેજ પર ત્રણ ગીત-સંગીતકાર ભજન અને સ્રોતો ગાઈ રહ્યા હતા.
હોલમાં સમગ્ર વાતાવરણ શોકાર્ત-શોકમગ્ન હતું, હજારો લોકો દેખીતી રીતે જ આ ખોટથી અસર પામ્યાનું જણાતું હતું. સાંજે બરાબર પાંચના ટકોરે, નિયમિતપણે આવા કાર્યક્રમોનું સંચાલન કરતા આદરણીય અને આધ્યાત્મિક વિનોદભાઈ કોટેચાએ પ્રાર્થના સાથે આરંભ કર્યો.
હું પ્રાર્થના સાંભળી રહ્યો હતો ત્યારે શ્રીમદ ભગવત ગીતાનો એક શ્લોક મારા મનમાં રમવા લાગ્યોઃ
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णानि अनन्यानि संयाति नवानि देही ॥
(ભગવદ્ ગીતા)
અર્થાત, જે રીતે માનવી પુરાણા વસ્ત્રોનો ત્યાગ કરી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આપણો આત્મા પણ કરે છે; તે આપણા પુરાણા-જીર્ણ શરીરનો ત્યાગ કરે છે અને મોક્ષ તરફની તેની યાત્રા આગળ વધારવા નવા શરીરની શોધમાં જાય છે.
આ પછી, લોહાણા કોમ્યુનિટી, નોર્થ લંડનના પ્રમુખ યતિનભાઈ દાવડાએ ધામેચા પરિવાર અને ખાસ કરીને આપણે સામૂહિકપણે જેમના માટે શોક વ્યક્ત કરી રહ્યા છીએ તે માનવી વિશે વાતો કરી. તેમના પછી, તાજેતરમાં જ જામનગર ખાતે ખોડીદાસભાઈની મુલાકાત લેનારા લોર્ડ ડોલર પોપટે તેમનમા વિશે વાત કરી.
ધામેચા પરિવારના ગાઢ મિત્ર લોર્ડ ડોલર પોપટની અંગત શ્રદ્ધાંજલિ મારા હૃદયને સ્પર્શી ગઈ. લોર્ડ પોપટે ગયા મહિને જ જામનગર ખાતે ખોડીદાસભાઈના અંતિમ સમયમાં તેમની સાથે મુલાકાતના અનુભવોને યાદ કર્યા. તેઓ ખોડીદાસભાઈની એક પછી એક વિદાય લેતી સૂધબૂધના સાક્ષી હતા. પ્રથમ તો તેમની વાચાએ સાથ છોડ્યો હતો અને તેમણે વાત કરવાનું-બોલવાનું છોડી દીધું હતું. આ પછી, તેમની શ્રવણશક્તિ, તેમના મન-મગજ અને આખરે તેમના શરીરે સાથ છોડ્યો હતો. લોર્ડ પોપટ અને અન્યોએ જણાવ્યું તેમ ખોડીદાસભાઈએ શાંતિપૂર્વક અને કોઈ પીડા વિના વિદાય લીધી હતી. ધરતી પરથી આવી શાલીન વિદાય લેવાનું આધ્યાત્મિક અને ઉચ્ચ આત્મા માટે જ શક્ય છે.
ખોડીદાસભાઈ અનોખા માનવી હતા, જેમની સદા ખોટ સાલશે. તેમના જેવું વ્યક્તિત્વ આપણને ફરી કદી જોવાં મળશે નહિ.
આ પછી ગુણવાન પિતાના ગુણવાન પુત્ર પ્રદીપ ધામેચાએ આદરાંજલિ અર્પી હતી. જે માનવીએ તમને જીવનની ભેટ આપી હોય તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનું કાર્ય સહેલું હોતું નથી. પ્રદીપે પોતાના શબ્દોથી ખોડીદાસભાઈને અમરત્વ બક્ષવાનું સુંદર કાર્ય કર્યું. તેમણે કહ્યું,‘પાપાના જીવનને સારસંક્ષિપ્ત કરવાનું અને તેમને સ્નેહાંજલિ અર્પવાનું ખરે મુશ્કેલ છે કારણકે તેમણે પ્રેમાળ પત્ની, મારી માતા લલિતાબહેન ધામેચાના ટેકા, તેમના ભાઈઓ મારા કાકાઓ શાંતિકાકા અને દિવંગત જયંતિકાકાની મદદથી તેમણે પોતાના જીવનકાળમાં અનેરી સિદ્ધિઓ હાંસલ કરી છે.’
‘આ મારા માટે વિશિષ્ટ પળો છે કારણકે અન્ય ઉપસ્થિત લોકોની સાથે મેં ધામેચા પરિવારના એકસંપી વિશ્વમાં થોડું ડોકિયું કર્યું છે. હું જ્યારે પાપા વિશે વિચારું છું ત્યારે એક વિચાર વારંવાર પડઘા પાડે છે, તેઓ સંપૂર્ણ નિઃસ્વાર્થ હતા અને કેટલી વિનમ્રતા સાથે જીવન વીતાવ્યું હતું. તેમના માટે પરિવાર સર્વસ્વ હતો. મારી પત્ની વીણા, અમારા બાળકો, રાધિકા, રિદ્ધિ અને આનંદ તેમજ હું, અમને અમારા માતાપિતા સાથે સદા રહેવાનો આશીર્વાદ પ્રાપ્ત થયો હતો. અમારા બધા પર તેમની પ્રગાઢ અસર પડી છે’, તેમ પ્રદીપે જણાવ્યું હતું. ધામેચા એક પરિવાર તરીકે તેમની એકતા માટે વિશેષ જાણીતા છે, તેથી આ બાબતે જાણવામાં જરા પણ આશ્ચર્ય ન થાય કે ખોડીદાસભાઈ તેમના પુત્ર અને પરિવાર સાથે રહેતા હતા. પ્રથમ પેઢીના ભાઈઓએ વિશાળ પાયા પર કેશ એન્ડ કેરી બિઝનેસ ખોલ્યો હતો, જે હવે પ્રદીપ અને તેમના પિતરાઈઓના હાથમાં સોંપાયો છે જેઓ આ એન્ટરપ્રાઈઝની કાળજી લઈ તેને આગળ વધારવા માગે છે. વધુ એક શ્લોક મારા મનમાં પ્રવેશ્યોઃ
ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્ ।
તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્ ॥ (ઈશોપનિષદ)
અર્થાત, આ બ્રહ્માંડ પરમાત્માથી આવરી લેવાયેલું છે. કશું આપણું નથી. ત્યાગની ભાવનામાં આનંદ મેળવો. તમે અહીં માત્ર એક ટ્રસ્ટી સ્વરુપે જ છો. આખરે આ સંપત્તિ કોની છે. જે વાસ્તવમાં તમારું નથી તેને હાંસલ કરવાની ઈચ્છા રાખશો નહિ.
મારા વિચારમાં, ખોડીદાસભાઈ આ ઉપદેશના મૂર્તિમંત ઉદાહરણ હતા. સાદું જીવન, એકતા, પોતાના પરિવારને આગળ રાખવાના તેમના સિદ્ધાંતો હતા અને આ મૂલ્યો માત્ર પોતાના ભાઈઓમાં જ નહિ, પુત્ર અને ગ્રાન્ડચિલ્ડ્રનમાં પણ ઉતારવા તે મોટી વાત છે. ખોડીદાસભાઈએ જે દેશ-ધરતી પર જન્મ લીધો ત્યાં જ કોઈ પીડા વિના જીવનલીલા સંકેલી લેવાનું સદનસીબ મેળવ્યું. ઈશ્વર આ પ્રકારનું મૃત્યુ પવિત્ર આત્માઓ માટે જ અનામત રાખે છે. તેમણે કદી નાણાં અથવા સમાજમાં પોતાના સ્થાનને મગજ પર ચડી જવા ન દીધા. હું એમ કહીશ કે આ ખરેખર મોટી સિદ્ધિ જ કહેવાય. આપણે તેમના જીવનગ્રંથમાંથી એક પ્રકરણ સ્વીકારવું જોઈએ.
अकृत्वा पर सन्तापम् अगत्वा खलनम्रताम् ।
अनुत्सृज्य सतां मार्ग यत् स्वल्पमपि तद्बहु ।। (સુભાષિત)
અર્થાત, કોઈને પણ હાનિ-ઠેસ પહોંચાડ્યા વિના, સ્વાર્થી ધ્યેયપૂર્તિ માટે થઈ નમ્રતાનો ડોળ કર્યા વિના, પવિત્રતા અને ઉદારતાનો માર્ગ છોડ્યા વિના, વ્યક્તિ જે કશું હાંસલ કરે છે ભલે, અન્યોની નજરમાં તેનું કોઈ મૂલ્ય ન હોય, વાસ્તવમાં તે જ મહાન છે.
ખોડીદાસભાઈના અંતિમ સંસ્કાર ૧૪ ફેબ્રુઆરીએ સાંજના પાંચ કલાકે જામનગરમાં કરવામાં આવ્યા હતા. તેમની સ્મશાનયાત્રામાં હજારો લોકોએ હાજરી આપી હતી. તેમના નિધનથી કોમ્યુનિટીને મોટી ખોટ ગઈ છે.
ૐ નમઃ શિવાય
સી.બી. પટેલ