યુએસ-તાલિબાન સમજૂતી કેટલી ટકાઉ?

Wednesday 04th March 2020 06:22 EST
 

અમેરિકા અને આતંકી સંગઠન તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિકરાર થવા સાથે આ વિસ્તારમાં અમેરિકા માટે ૧૯ વર્ષના સૌથી લાંબા યુદ્ધનો અંત આવશે તેમ કહેવાય છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિમંત્રણાના સુખદ અંત સાથે બંને પક્ષોએ ૨૯ ફેબ્રુઆરીએ કતારની રાજધાની દોહામાં ભારત સહિત આમંત્રિત ૫૦ દેશના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
આમ તો, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને હટાવી, અનેક આતંકીઓને ખતમ કર્યા અને લોકશાહીની સ્થાપના સાથે કઠપૂતળી સરકાર પણ રચી પરંતુ, તાલિબાન સંપૂર્ણપણે ખતમ થયા ન હોવાથી સૈન્ય ન હટાવવા અમેરિકા મક્કમ હતું. જોકે અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી તાલિબાનો સામે અમેરિકાનો ગજ વાગતો ન હોવાથી તેને સમાધાનના ટેબલ પર બેસવું પડ્યું છે.
છેલ્લા ૧૯ વર્ષમાં અફઘાનિસ્તાનમાં અમેરિકાને ૭૬૦ બિલિયન ડોલર જેટલો લશ્કરી ખર્ચ થયો છે, તેણે ૨૩૦૦ સૈનિકો ગુમાવ્યા છે અને આશરે ૨૦,૫૦૦ સૈનિક વિકલાંગ બન્યા છે. અફઘાનિસ્તાનમાં હાજર ૧૪,૦૦૦ અમેરિકન સૈનિકોમાંથી ૫૦૦૦ સૈનિક સત્વરે ૧૩૫ દિવસમાં અમેરિકા પરત થવાની ધારણા છે. જોકે, સમજૂતી પછી પણ ૮૬૦૦ અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનમાં મોજૂદ રહેશે, જે આગામી ૧૪ મહિનામાં અમેરિકા પરત ફરશે. જો તાલિબાન હાલ કે ભવિષ્યમાં પણ અલ કાયદા, આઇએસ, જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાનના આતંકી સંગઠનો સહિત બીજા કોઈ આતંકી સંગઠનોને સાથ નહિ આપવા અને હુમલાઓ નહિ કરવાની ખાતરી ખરા અર્થમાં પાળશે તો સમજૂતી લેખે લાગી કહેવાશે. જોકે, તાલિબાન આ કરારો તોડશે તો જડબાતોડ જવાબ વાળવાની ચિમકી પણ અમેરિકાએ આપી છે.
શાંતિ સમજૂતીના પગલે અમેરિકા તો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી જશે પરંતુ, એ પછી પણ અફઘાનિસ્તાનની સરકાર પ્રત્યે જો તાલિબાન નકારાત્મક વલણ ચાલું રાખશે તો લોહિયાળ સંઘર્ષનો અંત આવવાની આશા ઠગારી નીવડશે કારણ કે હવે તાલિબાને અફઘાન સરકાર સાથે મંત્રણા કરવાની છે. તાલિબાન શરિયત આધારિત શાસન તંત્ર માગે છે ત્યારે આ સમજૂતીથી અફઘાનિસ્તાનના રાજકારણ પર કેવો પ્રભાવ પડશે તે સ્પષ્ટ નથી. અફઘાનિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો તાલિબાન સ્વીકારશે અથવા સરકારમાં ભાગીદારી કરશે તો એનું માળખું કેવું હશે એ પણ અગત્યનો પ્રશ્ન છે.
તાલિબાન સાથે શાંતિમંત્રણાને સમજૂતીનું સ્વરૂપ આપવું તે પ્રમુખ ટ્રમ્પની મજબૂરી હતી કારણ કે ગત ચૂંટણીમાં તેમણે અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનો મુદ્દો જોરશોરથી ઉછાળ્યો હતો. હવે ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાનો વાયદો પૂર્ણ કરવાનું તેમના પર ભારે દબાણ હતું.
અફઘાનિસ્તાની તાલિબાનો અને અમેરિકા વચ્ચેની સંધિના ઐતિહાસિક પ્રસંગે ભારતની હાજરી એ એશિયામાં ભારતનું મહત્ત્વ દર્શાવે છે. અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહી છે. અફઘાનિસ્તાનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, સિંચાઇ, પીવાના પાણી, ઊર્જા જેવી પાયાની જરૂરતો તેમજ અફઘાન શરણાર્થીઓના પુનર્વાસ, સિંચાઈ માટે બંધ, હાઈ વે, સંસદની ઈમારતનું નવનિર્માણ તેમજ અફઘાન સૈન્ય માટે શસ્ત્રોની સહાય સહિતના અનેક પ્રોજેક્ટ્સ પર પણ ભારત કામ કરી રહ્યું છે. આ બધા કારણોસર અફઘાનિસ્તાનમાં ભારતની લોકપ્રિયતા ઘણી વધી છે. બીજી તરફ, ભારતના મિત્ર અફઘાનિસ્તાનમાં આતંકવાદ ખતમ થવાની સંભાવનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે તે પણ નિશ્ચિત છે. જોકે, પાકિસ્તાનના તાલિબાન સાથેના સીધા સંપર્કો ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. પાકિસ્તાને તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા સાથે ભારતમાં પણ આતંકી નેટવર્ક ઉભું કર્યું હતું તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે. આ સંજોગોમાં ભારતે હવે સાબદા રહેવું પડશે.


comments powered by Disqus