નવી શિક્ષણ નીતિઃ વધુ સજ્જતા કેળવશે

Tuesday 04th August 2020 17:13 EDT
 

ભારતીય જનતા પક્ષે ૨૦૧૪ના તેના ઘોષણાપત્રમાં નવી શિક્ષણ નીતિનો વાયદો કર્યો હતો અને આખરે ૨૦૨૦માં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી છે. આપણા દેશમાં બદલાતી જરુરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ નીતિમાં ધરમૂળ પરિવર્તનની અપેક્ષા રાખવી ખોટી નથી. નવી શિક્ષણ નીતિનો હેતુ શાળાઓથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસક્રમોનું સમયાનુસાર ઘડતર કરવા છે, જેના થકી ભારતના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્પર્ધાના વાતાવરણ માટે સજ્જતા કેળવી શકે. નવી શિક્ષણ નીતિ દ્વારા યુવાનોમાં વ્યક્તિત્ત્વ અને કૌશલ્ય વિકાસ, સંશોધનોની ધગશ અને રોજગારની નવી તકોના સર્જનમાં મદદ મળી શકે તેમ છે. પ્રખ્યાત અવકાશવિજ્ઞાની કે. કસ્તૂરીરંગનના વડપણ હેઠળની સમિતિએ જે રાષ્ટ્રીય શિક્ષણનીતિ જાહેર કરી છે તેના પાયામાં શિક્ષણની હાટડીઓ બંધ થાય અને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં શિક્ષણ મળી રહે તે જ વિચાર છે.
એમ કહેવાય છે કે વર્તમાન શિક્ષણનો પાયો બ્રિટિશરોના આગમન સાથે નખાયો હતો, જેમનું ધ્યેય બ્રિટિશ સામ્રાજ્યના વહીવટ માટે સ્થાનિક સહાયકો તૈયાર કરવાનું જ હતું. ભારતની આઝાદી પણ નોકરીલક્ષી શિક્ષણમાં કોઈ વિશેષ ફેરફાર જોવાં મળ્યો નથી. પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૬૯માં ઘડાયાં પછી ૧૯૭૯, ૧૯૮૬ અને છેલ્લે ૧૯૯૨માં થોડાં માળખાગત ફેરફારો અવશ્ય જોવાં મળ્યાં હતા. જોકે, વૈશ્વિકીકરણ પછીના સંજોગોમાં શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તનની તાતી જરુર હતી પરંતુ, નોકરીઓના બદલે વાસ્તવિક રોજગારી વધારી શકે તેવી જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાના વિકાસની દિશામાં ખાસ પ્રગતિ થઈ નહિ.
એ તો હકીકત છે કે બાળકના શિક્ષણની શરુઆત ઘરના વાતાવરણમાં માતૃભાષાના શબ્દો શીખવા સાથે જ થાય છે. થોડાં સમય પછી જો તેને અન્ય ભાષાના સરોવરમાં ખાબકી દેવાય તો તે મૂંઝાઈ જાય છે. પરિણામે તેની હાલત ‘ ન ઘરના ન ઘાટના’ જેવી બની જાય છે. ઈંગ્લિશ કે અંગ્રેજી વૈશ્વિક ભાષા છે તેનો ઈનકાર ન થઈ શકે અને તેનું શિક્ષણ પણ આવશ્યક છે પરંતુ, બાળકની ગ્રહણશક્તિ વધી હોય, ભાષાકીય પાયો મજબૂત બન્યો હોય તેવા પાંચમા વર્ષ પછી તેને અંગ્રેજીમાં શિક્ષણ આપી જ શકાય છે. નવી શિક્ષણ નીતિમાં આના પર ભાર મૂકાયો છે. શિક્ષકોની સજ્જતા પણ શૈક્ષણિક ગુણવત્તાને ઉચ્ચ સ્તરે લઈ જવા અને વિદ્યાર્થીઓના કૌશલ્યને વિકસાવવામાં મદદરુપ બને છે. આ માટે શિક્ષકોની ઘટને પણ પૂરી કરવી પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભાં કરવાં પડશે.
હવે કોલેજોમાં ફીઝિક્સ કે મેથ્સ અને કેમેસ્ટ્રી જેવા મુખ્ય વિષયોની સાથે ગૌણ વિષય તરીકે ફેશન ડિઝાઈનિંગ કે મ્યુઝિક અથવા થિએટર પણ લઈ શકાશે. વર્તમાન અભ્યાસ વ્યવસ્થા ત્રિસ્તરીય છે અને નવી વ્યવસ્થા પાંચ સ્તરની છે. દરેક સ્તરે કૌશલ્ય ધરાવતી પેઢીનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ શરૂઆત થશે. નવી નીતિમાં વ્યવહાર આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. શાળામાં ધોરણ ૬થી જ વ્યવસાયિક શિક્ષણ શરુ થશે જેમાં ઇન્ટર્નશિપ હેઠળ બાળકો ઉદ્યોગ અથવા સંસ્થામાં જઇને સ્વાનુભવ મેળવી શકશે. અન્ય મહત્ત્વનો મુદ્દો ઓપન અને ડિસ્ટન્સ લર્નિગ ઓપ્શનને વિસ્તારવાનો છે. આના પરિણામે, શાળાની બહાર રહેતા બે કરોડથી વધુ વિદ્યાર્થીને ધોરણ ૩, પ અને ૮માં ઓપન લર્નિંગ વિકલ્પ હેઠળ ફરી અભ્યાસ સાથે જોડી શકાશે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને ફરી એક વખત શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે પરંતુ, નામ બદલવાથી કશું વળતું નથી. કેન્દ્ર સરકારે આ નીતિ જાહેર કરી પરંતુ, રાજ્યોએ પણ તેના અમલમાં સાથ અને સહકાર આપવાના રહેશે. કારણ કે બંધારણ હેઠળ
શિક્ષણ સંયુક્ત યાદીમાં આવે છે. શિક્ષણનીતિનો મજબૂત અમલ અને સમયાનુસાર પરિવર્તનનો મહામંત્ર જ ભારત અને તેના નાગરિકોને મહાન બનાવી શકશે.


comments powered by Disqus