આખરે ભારતમાં કોરોના વાઇરસ મહામારી સામેના જંગમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો પણ આવી ગયો છે. ધારણા અનુસાર જ વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી તાળાબંધી લંબાવાઈ છે. જોકે, તમામ વ્યવહાર ઠપ ન થઈ જાય તે હેતુસર દેશને ચોક્કસ નિયમોના પાલન સાથે રેડ, ઓરેન્જ અને ગ્રીન - એમ ત્રણ ઝોનમાં વહેંચી દેવાયો છે. આ લોકડાઉન-૩ની વિશેષતા એ પણ રહી કે તેની જાહેરાત વડા પ્રધાન મોદી દ્વારા નહિ પરંતુ, ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા ૨૦૦૫ અંતર્ગત ગૃહ વિભાગના આદેશ મારફત કરાઈ છે. વડા પ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સમાં નવમાંથી છ મુખ્ય પ્રધાનોએ લોકડાઉન લંબાવવાની તરફેણ કરી હતી.
લોકડાઉન સંદર્ભે મહત્ત્વનું એ છે કે સરકાર કેટલાક અંશે કોરોનાને નાથવામાં મળેલી સફળતા ગુમાવવા માગતી નથી. કોરોના વાઇરસના કેસ બમણા થવાનો દર ૪.૨ દિવસનો હતો તે હવે વધીને ૧૧ દિવસનો થયો છે. રોગમાંથી સાજા થવાનો સફળતા દર ૧૩ ટકા હતો તે વધીને ૧૫ ટકા થયો છે. આ સંજોગોમાં એક સાથે બધા નિયંત્રણો હટાવી લેવાના બદલે મહામારીની તીવ્રતા અનુસાર થોડી રાહતો આપવાનું પગલું સારું જ ગણાશે કારણ કે રોગચાળાની તીવ્રતા વધારે છે તેવાં રેડ ઝોન્સ પર વધુ કડકાઈ સાથે ધ્યાન આપી શકાશે. આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા અનુસાર દેશના કુલ ૭૩૩ જિલ્લામાંથી ૧૩૦ જિલ્લા રેડ ઝોનમાં, ૨૮૪ જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને ૩૧૯ જિલ્લા ગ્રીન ઝોનમાં છે.
રાજ્યોએ ચોક્કસ ઝોનમાં કઈ પ્રવૃત્તિમાં કેવી છૂટછાટ અપાશે તેની પણ જાહેરાતો કરી છે પરંતુ, આવશ્યક સેવાઓ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રેન, માર્ગ, આંતરરાષ્ટ્રીય અને ઘરેલું હવાઈસેવા સહિત જાહેર પરિવહન, મોલ્સ, રેસ્ટોરાં-હોટેલ્સ, ધાર્મિક-સામાજિક મેળાવડા સહિત પરના પ્રતિબંધો નિશ્ચિતપણે યથાવત્ રહેવાના છે. ઓરેન્જ અને ગ્રીન ઝોન તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને પશુપાલન, ઇન્ડસ્ટ્રીયલ અને કન્સ્ટ્રક્શન કામકાજ, બેન્ક, ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને કેપિટલ માર્કેટ સહિત આર્થિક પ્રવૃત્તિઓ, મીડિયા અને આઈટી સેક્ટર, હોસ્પિટલ્સ તેમજ ચોક્કસ ડ્રગ્સ, ફાર્મા, મેડિકલ ડિવાઇસીસના ઉત્પાદન એકમો, દુકાનોને છૂટછાટ મળી છે. જોકે, આ તમામ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન આવશ્યક જ છે.
રાજ્યો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાધનો ૫૭ દિવસ બંધ રહ્યાની આ પ્રથમ ઘટના છે. જનતા કર્ફ્યૂના દિવસ ૨૨ માર્ચથી જ દેશભરમાં ઇન્ટર સ્ટેટ બસો અને ૧૨,૦૦૦ ટ્રેન બંધ છે. જોકે, પરપ્રાંતીય મજૂરોને વતન પહોંચાડવા જે રાજ્યો વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા પરવાનગી અપાઇ છે. આ પરવાનગી આવશ્યક પણ બની હતી કેમ કે લોકડાઉનના લીધે આ કામદારોની હાલત ન ઘરના ન ઘાટના જેવી કફોડી બની હતી. બીજી તરફ, પરપ્રાંતીય મજૂરો વતનમાં જવાથી આર્થિક પ્રવૃત્તિઓને ફટકો પડે તે નિશ્ચિત હોવા સાથે જે રાજ્યોમાં તેઓ જશે ત્યાં પણ કેવી પરિસ્થિતિ હશે તેનો અંદાજ કાઢવો પણ મુશ્કેલ બની રહેશે.
રેલવે અન્ય રાજ્યોમાં ફસાયેલા કામદારો, પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીના સ્થળાંતર માટે ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેન દોડાવી રહી છે. ગુજરાત સરકારે તો પરપ્રાંતીય મજૂરોને તેમના વતન મોકલવા તૈયારી દર્શાવી છે પરંતુ, પ્રારંભે કાગારોળ મચાવનાર દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્વિમ બંગાળે પોતે પૂરતી વ્યવસ્થા કરી ન લે ત્યાં સુધી આ મજૂરોને નહિ મોકલવા જણાવ્યું છે.
ભારત જેવા વિશાળ દેશમાં લાંબો સમય લોકડાઉન ચાલે નહિ તેવી ચેતવણી ઈન્ફોસિસના સ્થાપક અને અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ આપીને વ્યવહારુ ઉકેલની વાત કરી છે. વાત સાચી છે. મહામારીથી દેશ આર્થિક બેહાલીમાં આવી શકે અને બેરોજગારી વધી જાય પરંતુ, લોકડાઉનની મુદત વધારવી કે ટૂંકાવવી એ માત્ર સરકાર હસ્તકનો નિર્ણય નથી. સમયસંજોગો અનુસાર લોકડાઉનમાં છૂટછાટ અપાય ત્યારે પણ પૂરતી સાવધાની સાથે સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરી લોકોએ સાથ-સહકાર આપવો આવશ્યક છે. લોકોનો સહકાર ન મળે તો સરકારની ગણતરીઓ પણ ખોટી પડી શકે છે.