લોન રાઈટ ઓફના મુદ્દે કોંગ્રેસે કાગનો વાઘ કર્યો

Tuesday 05th May 2020 16:02 EDT
 

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ૫૦ મોટા ડિફોલ્ટર્સની રૂ. ૬૮,૬૦૭ કરોડની રકમ માંડી વાળવા કે રાઈટ ઓફ કરવાનો વિવાદ ચગ્યો છે. આ યાદીમાં ભાગેડુ ડાયમંડ કિંગ મેહુલ ચોક્સીથી માંડીને વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સ પણ સામેલ છે. એક્ટિવિસ્ટ સાકેત ગોખલે દ્વારા થયેલી આરટીઆઈ સંદર્ભે રિઝર્વ બેન્કે આ માહિતી આપી પણ, કોંગ્રેસ સહિતના વિપક્ષે વિવાદ સર્જવામાં તેનો ઉપયોગ કરી લીધો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર ભાગેડુ ડિફોલ્ટર્સને સાથ આપવાનો તેમજ તેમની લોન માફ કરવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ, નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે વળતો પ્રહાર કરી દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસ મુદ્દાને સમજ્યા વગર તથ્યોને સનસનીખેજ બનાવી ભ્રમ ફેલાવવા પ્રયત્નશીલ હોવાનું પણ સીતારામને કહ્યું છે. તેમણે ૧૩ ટ્વિટ્સ કરી ભાજપ સરકારે માલ્યાથી નિરવ મોદી સુધીના ડિફોલ્ટરો સામે કયા પગલાં ભર્યા તેની જાણકારી આપી હતી. કોંગ્રેસના નેતાઓએ લોન, અટકેલી લોન અને રાઇટ ઓફના મામલે જાણીજોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. રાહુલ ગાંધીએ આક્ષેપો કરતા પહેલા રિઝર્વ બેન્કના નિયમો વિશે પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહ તેમજ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની સલાહ લેવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું.
રાઈટ ઓફ અને વેવ ઓફનો ભેદ સમજવો જરૂરી છે કારણ કે તે હિસાબકિતાબની સામાન્ય કાર્યવાહી છે. સીતારામને કહ્યું છે કે ૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪ સુધી બેન્કોએ રૂપિયા ૧,૪૫,૫૨૬ કરોડની લોન્સ રાઈટ ઓફ કરી હતી. આ મુદ્દે કોંગ્રેસે કાગનો વાઘ કર્યો છે. હકીકત એ છે કે રિઝર્વ બેન્ક આવા ડિફોલ્ટર્સની લોન્સ માંડવાળ કરતી નથી. આ અધિકાર જે તે બેન્કોનો છે, જેનો તે ઉપયોગ કરી શકતી નથી. રિઝર્વ બેન્ક દ્વારા ભારતીય બેન્કોની નોન પરફોર્મન્સ એસેટ્સ (NPA) સંદર્ભે ચાર વર્ષની નિર્ધારિત જોગવાઈ છે. આ પછી બેન્કો NPAને રાઈટ ઓફ કેટેગરીમાં મુકે છે એટલે કે રકમો પરત આવવાની શક્યતા ઓછી હોવાનું દર્શાવે છે, પરંતુ ડિફોલ્ટર્સનું દેવું માફ કર્યા વિના તેમની પાસેથી રકમ પરત મેળવવાના પ્રયાસ ચાલુ રાખે છે.
ચોક્સી હોય કે નિરવ મોદી, માલ્યા હોય કે અન્ય ડિફોલ્ટર્સ, બેન્કો નાણા પરત મેળવવા કાર્યવાહી ચાલે છે. માલ્યાને યુકેથી ભારત પરત લાવવાની કોર્ટ પ્રોસેસમાં ભારતીય બેન્કોને સફળતા મળી છે. સરકારે માલ્યાની ૮,૦૪૦ કરોડની સંપત્તિ તેમજ રૂ. ૧૬૯૩ કરોડના શેર જપ્ત કર્યા છે. ચોક્સીની રૂ. ૧૯૩૬ કરોડથી વધુની સંપત્તિ જપ્ત થઈ છે અને એન્ટિગુઆથી તેના પ્રત્યાર્પણની કાર્યવાહી પણ ચાલે છે. આ જ રીતે લંડનની જેલમાં બંધ નીરવ મોદીની આશરે રૂ. ૨૩૮૭ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. એ નોંધનીય છે કે આર્થિક બાબતોના નિષ્ણાત મનમોહન સિંહ અને ચિદમ્બરમે આ મામલે કશું બોલવાનું ટાળ્યું છે. રાહુલ ગાંધી કોંગ્રેસ અને દેશના સાચા નેતા તરીકે આગળ આવવા માગતા હોય તો તેમણે આવી હરકતોથી દૂર રહેવું જોઈએ અને વિપક્ષી નેતા હોય એટલે માત્ર આક્ષેપો કરવાની માનસિકતા પણ છોડવી જોઈએ.


comments powered by Disqus