મારે કંઈક કહેવું છે - કોવિડ ૧૯ - ધર્મ અને પ્રજા

ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન Wednesday 28th April 2021 05:56 EDT
 

આજકાલ આપણી ભારતની સરકાર પણ ધર્મની વાત આવે ત્યારે જરા નમતું જોખતી હોય એવું લાગે છે. કેટલાંક ધર્મોમાં અવતાર અને અંશના ઓઠા નીચે અનેક ભગવાનો ઉત્પન્ન કરતા હોવાનું જણાય છે.

છેલ્લાં સવા વર્ષથી કોવિડના વિષાણુઓએ કાળો કેર વર્તાવ્યો છે. લાખો પ્રજાજનો મોતના મોંમાં પ્રવેશી રહ્યા છે. ટોળાંબંધ થતાં ધાર્મિક તહેવારો, ઉત્સવો અને સામનાજિક પ્રસંગોમાં જોઈએ તેવો કંટ્રોલ જણાતો નથી કે એ સર્વેને નાબૂદ કરી શકાતા નથી. કુંભમેળા જેવા અનેક આયોજનો કે જેમાં સેંકડો, હજારો કે લાખો પ્રજાજનો ભેગાં થતા હોય તેને મુલતવી રાખવા જોઈએ. જ્યારે દેશ અને પ્રજામાં શાંતિ પ્રવર્તે ત્યારે આ બધા તહેવારો પાછા ઉજવી શકાય તો વાંધો નથી.
આજે જે કંઈ ધર્માંધતા વિક્સી રહી છે એ ન તો દેશના હિતમાં છે કે ન તો પ્રજાના સ્વાસ્થ્યના હિતમાં. બધાં જ ધર્મોના વડાઓની એ પવિત્ર ફરજ છે કે કોવિડનો ફેલાવો કરે તેવી દરેક પ્રવૃત્તિને બંધ કરવાની પ્રજાને સલાહ આપે અને અમલમાં મૂકે. મારા મત પ્રમાણે દેશ એક સમૂહગત સંગઠન છે, જ્યારે ધર્મ એક વ્યક્તિગત ફરજ છે તેવું માનતા થઈએ તો દેશ અને પ્રજા પ્રગતિના પંથે જશે, નહીંતર લાંબા ગાળે ચોમાસામાં ફૂટી નીકળતા બિલાડીઓના ટોપ (મશરૂમ)ની માફક ધર્મના વાડા ફેલાશે અને પ્રજામાં પંથો તેમજ માન્યતાઓથી વિભાજીત સ્થિતિ પેદા કરશે. આ બધું જોતા પ્રજાએ અગ્રણી વિજ્ઞાનીઓ અને સ્વાસ્થ્ય જાણકારોની સલાહ પ્રમાણે જ વર્તવું જોઈએ. નહીંતર 'આ ગલે લગજા' જેવી વર્તણુંકથી કોવિડને આમંત્રણ આપતા હોઈએ એવી સ્થિતિ ઉભી થશે અને અકલ્પિત ખૂવારી સર્જાશે.


    comments powered by Disqus