સમગ્ર વિશ્વમાં શાંતિકાળની સરખામણીએ યુદ્ધકાળ વધુ રહ્યો છે. વિશ્વે અત્યાર સુધી ૧૮૭૦ના ક્રીમિયન યુદ્ધ અને બે વિશ્વ યુદ્ધો સહિત અતિ ભીષણ એવા ત્રણ યુદ્ધ નિહાળ્યા છે. સામાન્યપણે કહેવાય છે કે ‘જર, જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું’. વિશ્વફલક પર પણ આ બાબતે એટલી જ સાચી છે. માનવી કહેવાતો વિકાસ સાધી રહ્યો છે અને તેની વિકાસયાત્રામાં કુદરતી સ્રોતોનો કચ્ચરઘાણ વાળી રહ્યો છે.
યુકેમાં ૧૭૮૦ના દાયકામાં ઔદ્યોગિક ક્રાંતિનો આરંભ થયો પછી કાચા લોખંડ, કોલસો, લાઈમસ્ટોન અને ફોસિલ ઓઈલ (પેટ્રોપેદાશ) સહિતના સ્રોતોનો વપરાશ ધરખમ વધી ગયો છે અને આર્થિક ઉન્નતિ માટે કુદરતી સ્રોતોનો ખરાબ ઉપયોગ કરાઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે જ ધરતીમાં ધરબાયેલા સ્રોતો અનંતકાળ સુધી ચાલે તેટલા તો રહ્યા જ નથી. આથી, ચીન જેવા દેશોએ કુદરતી સ્રોતોથી સમૃદ્ધ દેશોને યેનકેન પ્રકારેણ કોળિયો બનાવી લેવાની વિસ્તારવાદી નીતિ અપનાવી છે. ભારત અને પડોશી દેશો સાથે વારંવાર યુદ્ધના હાકલા-પડકારા આ જ નીતિનું પરિણામ છે.
પ્રથમ વિશ્વ યુદ્ધ પછી વિશ્વશાંતિ જાળવવાના ઉદ્દેશ સાથે જાન્યુઆરી ૧૯૨૦માં લીગ ઓફ નેશન્સની સ્થાપના કરાઈ હતી. આ સમયે યુકે, ફ્રાન્સ, ઈટાલી અને જાપાન ચાર મહાસત્તા કાયમી સભ્યપદે હતી. ખાટલે મોટી ખોડ એ હતી કે વિશ્વશાંતિ સ્થાપવાના મહાન ઉદ્દેશો છતાં, તે તીક્ષ્ણ નહોર વિનાની સંસ્થા હતી. ‘મહેતાજી મારે નહિ અને ભણાવે નહિ’ જેવી પરિસ્થિતિમાં બીજા વિશ્વયુદ્ધના આરંભ અને અંત પછી ૧૯૪૬માં લીગ ઓફ નેશન્સની કામગીરીનો અંત આવી ગયો હતો. હવે યુનાઈટેડ નેશન્સ યુદ્ધો રોકવાની કામગીરીમાં મહદ્ અંશે સફળ થયું છે છતાં, યુદ્ધો અટકતા નથી તે પણ હકીકત છે. સમયની સાથે યુદ્ધોના પ્રકાર પણ બદલાઈ રહ્યા છે. આર્થિક-વેપારયુદ્ધ, ટેકનોલોજી યુદ્ધ અને છેલ્લે સાઈબર વોર્સ પણ જોવા મળી રહી છે. તાજેતરમાં જ આપણે બાયોલોજિકલ વોરફેર તરીકે કોરોના વાઈરસની મહામારીને પણ નિહાળી છે. આ તમામ પ્રકારના યુદ્ધમાં ચીન સંકળાયેલું છે તે પણ હકીકત છે. અહેવાલો અનુસાર રશિયાના સાઈબીરિયા વિસ્તારમાં કુદરતી ખનિજોનો વિશાળ ભંડાર ધરબાયેલો છે તેને ઓળવી લેવા પણ ચીન કાવાદાવા કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય જળવિસ્તારોમાં પ્રભુત્વ જમાવવાના તેના ઈરાદા પાછળનું પણ આ જ કારણ છે. ટેકનોક્રેટ સામ પિત્રોડાના શબ્દોમાં કહીએ તો છેલ્લા સાડા સાત દાયકામાં વિશ્વમાં પ્રગતિના અનેક સોપાનો સર થયા છે. આપણે ત્રીજું વિશ્વયુદ્ધ ખાળી શક્યા છીએ. વિશ્વને શાંતિ અને સમૃદ્ધિની પ્રતીતિ થઈ છે. ગરીબી ઘટી છે પરંતુ, ભૂખમરો, પર્યાવરણનું નિકંદન, નૈસર્ગિક સંતુલનનો અભાવ અને આર્થિક અસમાનતા ઉડીને આંખે વળગે છે. વર્તમાન અને ભવિષ્યમાં જે દેશ પાસે ટેકનોલોજી, ઈનોવેશન અને ખનિજસ્રોતોની વિશેષતા હશે તે આગળ વધશે.