નવીદિલ્હીઃ જમ્મુ એરફોર્સ બેઝ પર ડ્રોન દ્વારા આતંકવાદી હુમલા અને જમ્મુ-કાશ્મીરના મિલિટરી સંસ્થાનો પર ડ્રોન મંડરાવાની ઘટનાઓ મધ્યે જાસૂસીના આશયથી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ખાતેના ભારતીય દૂતાવાસના કમ્પાઉન્ડમાં ૨૬ જૂનની રાત્રે એક ડ્રોને બે વાર ઘૂસણખોરી કરી હતી. ભારતીય દૂતાવાસ ખાતેના એક ટોચના રાજદ્વારીએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ૨૨:૧૫ કલાકે ભારતીય દૂતાવાસમાં રહેણાક વિસ્તાર નજીક એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અમે જોયું કે એક ડ્રોન અમારા પર ઉડાન ભરી રહ્યું છે. આ ડ્રોને બે વાર ભારતીય દૂતાવાસના કમ્પાઉન્ડમાં ઘૂસણખોરી કરી હતી. દૂતાવાસના બીજા એક સૂત્રે જણાવ્યું હતું કે, ભારતના ૭૫મા આઝાદી દિવસની ઉજવણી માટેના કર્ટેન રેઇઝર પ્રોગ્રામમાં બોલિવૂડ નાઇટનું આયોજન કરાયું હતું. તે સમયે આ ઘટના બની હતી. અમે જાણતા નથી કે તેમનો ઇરાદો શું હતો? સંભાવના છે કે તેઓ અમારા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા.