ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની જાણીતી વિમેન્સ વેર બ્રાન્ડ જનરેશને તેની ઓફિસમાં હિન્દુ દેવીની મોર્ફ કરેલી તસ્વીર મૂકીને હિન્દુ ધર્મની મજાક ઉડાવી હતી.
ઇન્સ્ટાગ્રામ પર પ્રખ્યાત પેજ હિન્દુ સમતાએ આ માહિતી આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર જનરેશનના ૧.૨ મિલિયન ફોલોઅર્સ છે. આ બ્રાન્ડનું પેજ લઘુમતીઓને અલગ પાડવાની બાબતને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનમાં ઇશનિંદાનો કાયદો છે જે ફક્ત બિન મુસ્લિમોને લાગુ પડે છે.
જનરેશને જે તસવીર મૂકી હતી તેમાં હિંદુ દેવીના હાથમાં શસ્ત્રોની જગ્યાએ લેપટોપ અને અન્ય વસ્તુઓ મૂકી હતી. પાકિસ્તાની દંપતિ સાદ અને નોશીન રહેમાને સ્થાપેલા જનરેશને કરેલી હિંદુ ધર્મની મજાક લોકોના ધ્યાને આવ્યા વિના રહી ન હતી.
હિન્દુ જમણેરી એક્ટિવિસ્ટ કપિલદેવે પાકિસ્તાનની ન્યાય પ્રણાલીના બેવડા વલણ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે તેમને મિત્ર પાસેથી જાણવા મળ્યું કે જનરેશનના પેજ પર હિન્દુ દેવીની મોર્ફ કરેલી તસવીર છે. આ તસવીરઅંગે જનરેશને પાછળથી માફી માગી હતી. તેમણે ઉમેર્યું કે આ મામલે માત્ર માફી માગે એટલે બધું પૂરું. 'તુમ કરો તો એપોલોજી (માફી) ઓર હમ ન કરે તો ભી બ્લાસફેમી (ઈશનિંદા) ? આ બાબતે મને આશ્ચર્ય થાય છે.'
સોશિયલ મીડિયા પર ભારે રોષને પગલે જનરેશને ૧૮ જૂને માફી માગી હતી અને એક નિવેદનમાં જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ જનરેશનના હેડક્વાર્ટર ખાતે ગંભીર શરતચૂકની એક ઘટના બની હતી. અજાણપણે એક અયોગ્ય તસવીર જાહેર થઈ હતી. તેનાથી અમારા પેટ્રન્સને લાગણીઓને ઠેસ પહોંચી હતી.