યુરોપના ૯ દેશોએ સીરમ દ્વારા નિર્મિત કોવિશીલ્ડ રસીને ગ્રીન પાસમાં સમાવી

Wednesday 07th July 2021 07:13 EDT
 
 

નવીદિલ્હી: ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્ટયૂટ દ્વારા નિર્મતિ કોરોનાની રસી કોવિશીલ્ડ લેનારા ભારતીયોને યુરોપિયન સંઘના દેશોમાં ટ્રાવેલની પરવાનગી નહીં આપવાના નિર્ણય બાદ ભારત સરકારે આપેલી ચેતવણીની અસર જોવા મળી હતી. ભારત સરકાર અને યુરોપિયન સંઘ વચ્ચે કોરોનાની રસીઓ માટેના ગ્રીન પાસના મામલે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે સ્વિત્ઝર્લેન્ડ યુરોપિયન સંઘના આઠ દેશોએ સીરમની કોરોના રસી કોવિશીલ્ડને ગ્રીન પાસમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. યુરોપના આયર્લેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, સ્પેને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ રસી લેનારા ભારતીયોને તેમના દેશમાં પ્રવાસની પરવાનગી આપી દીધી છે. સ્વિત્ઝર્લેન્ડે પણ સીરમની કોવિશીલ્ડને ગ્રીન પાસમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત ઇસ્ટોનિયાએ જણાવ્યું હતું કે ઇસ્ટોનિયામાં ભારતીયોના પ્રવાસ માટે ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી તમામ વેક્સિનને ગ્રીન પાસમાં સમાવવામાં આવશે. તેનો અર્થ એ થયો કે સીરમની કોવિશીલ્ડ રસી લેનરા ભારતીયોને આ દેશોમાં પ્રવાસા નિયંત્રણોમાંથી મુક્તિ અપાશે.

યુરોપિયન સંઘ દ્વારા ગ્રીન પાસ માટે મંજૂર કરાયેલી રસીઓ

• અમેરિકાની ફાઈઝર-બાયોએનટેકની રસી • મોડેર્નાની કોરોનાની રસી • એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની વેક્સઝેર્વરિયા કોરોના રસી
• જ્હોન્સન એન્ડ જ્હોસનની જેનસેન કોરોના રસી

કયા દેશમાં પ્રવાસ માટે ભારતીયોને છૂટ

આયર્લેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, ઇસ્ટોનિયા

શું છે યુરોપીયન સંઘનો ગ્રીન પાસ?

યુરોપિયન સંઘના દેશોમાં વિદેશી નાગરિકોને પ્રવાસની છૂટછાટ આપવા માટે યુરોપિયન સંઘે ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ તૈયાર કર્યું છે જેને ગ્રીન પાસ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થા અંતર્ગત ઇએમએ દ્વારા મંજૂર કરાયેલી કોરોનાની રસી લેનારા વિદેશીઓને યુરોપિયન સંઘના દેશમાં પ્રવાસના નિયંત્રણમાંથી મુક્તિ અપાશે. આનો પ્રારંભ પહેલી જુલાઈથી શરૂ કરાયો છે. સંઘના સભ્ય દેશો કોવિશીલ્ડ જેવી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂર રસીઓને તેમના ગ્રીન પાસમાં સામેલ કરી શકશે.

ભારતની ચેવતણી બાદ ઈયુના તેવર ઢીલાં

ભારતે યુરોપિયન સંઘને WHO અથવા ડ્રગ રેગ્યુલેટર દ્વારા મંજૂર કરોનાની રસીઓને ગ્રીન પાસમાં સામેલ કરવા અપીલ કરી હતી. સાથે ચેતવણી ઉચ્ચારી હતી કે જો કોવિશીલ્ડ અને કોવેક્સિનના સર્ટિ. સ્વીકારવામાં નહીં આવે તો ભારતમાં પણ ઈયુના સર્ટિ. સ્વીકારાશે નહીં અને તે દેશોમાંથી આવનારા નાગરિકોએ ફરજિયાત કવોરન્ટાઈનના નિયમોનું પાલન કરવું પડશે.


comments powered by Disqus