ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. વિશ્વમાં વર્તમાન બીજી સંસ્કૃતિઓનો આરંભ પણ થયો ન હતો ત્યારથી હિન્દુ અથવા ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ રહ્યું છે. ઈસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મોમાં જેહાદ અથવા હોલી વોર-ધર્મયુદ્ધોની વાતો આવે છે પરંતુ, ભારતે કદી કોઈ દેશ પર આક્રમણ કર્યું હોય તેવો ઉલ્લેખ ઈતિહાસમાં કદી કરાયો નથી. આનું મૂળ તત્વ ભારતીય અથવા હિન્દુ સંસ્કૃતિના લોહીમાં વણાયેલી સહિષ્ણુતા છે.
અમેરિકાના પ્યુ રિસર્ચ સેન્ટરે જાહેર કરેલા સુગ્રથિત સંશોધન રિપોર્ટમાં ભારતના ટકાઉ ધર્મનિરપેક્ષ મૂલ્યોનું પ્રતિપાદન કરાયું છે. આશરે ૩૦,૦૦૦ ભારતીયોના ઈન્ટરવ્યૂઝ પર આધારિત પ્યુ સંશોધનમાં મહત્ત્વની બાબત એ તરી આવી છે કે ૮૫ ટકા હિન્દુઓ માટે તમામ ધર્મો માટે આદર એ ભારતીયતાનું અવિભાજ્ય અંગ છે. આનાથી વિપરીત, આમ માનનારા મુસ્લિમ અને ખ્રિસ્તીઓની ટકાવારી ૭૮ની છે.
પ્યુ સંશોધનમાં ધાર્મિક માન્યતાઓ, રાજકારણ અને સામાજિક મુદ્દાઓને આવરી લેવાયા છે. ભારતના વિભાજન બાબતે ૬૬ ટકા શીખ. ૪૮ ટકા મુસ્લિમ, ૩૭ ટકા હિન્દુ અને ૩૦ ટકા ખ્રિસ્તીઓએ વિભાજનને ખરાબ ગણાવ્યું હતું જ્યારે, ૪૩ ટકા હિન્દુ, ૩૦ ટકા મુસ્લિમ, ૨૫ ટકા શીખ અને ૩૭ ટકા ક્રિશ્ચિયન્સે વિભાજનને સારું ગણાવ્યું હતું. એ તો હકીકત છે કે વિભાજન વખતે હિન્દુ અને શીખોને સૌથી વધુ સહન કરવું પડ્યું હતું અને વિભાજન મુદ્દે કયા વયજૂથને પ્રશ્નો કરાયા હતા તે રિપોર્ટમાં સ્પષ્ટ થતું નથી.
હિન્દુ તરીકે જન્મેલા અને હાલ હિન્દુ ધર્મ પાળતા લોકોની ટકાવારીમાં વિશેષ તફાવત નહિ જણાતા હિન્દુઓનું ઈસ્લામમાં ધર્માન્તર થતું નહિ હોવાની દલીલ આ સંશોધનમાં કરાઈ છે પરંતુ, હિન્દુમાંથી ખ્રિસ્તીમાં નજીવા પ્રમાણમાં ધર્માન્તર થતું હોવાનું સ્વીકારાયું છે. ખ્રિસ્તીઓમાં ૦.૪ ટકા અગાઉ હિન્દુધર્મી હતા જ્યારે, ૦.૧ ટકા હિન્દુઓ અગાઉ ક્રિશ્ચિયન્સ હોવાનું પણ બહાર આવ્યું છે. ભારતમાં જ્ઞાતિ-જાતિના વાડાના અવરોધો નબળાં પડી રહ્યાં હોવાનું પણ સંશોધનમાં બહાર આવ્યું છે. આજે કોઈ દલિત અસ્પૃશ્ય નથી અને તેઓ પાડોશી તરીકે હોય તેનો છોછ પણ રહ્યો નથી. મહત્ત્વની અન્ય બાબત તો એ છે કે હિન્દુ હોય કે મુસ્લિમ અથવા શીખ, કોઈ પણ ધર્મના લોકો તેમના પુરુષ અથવા સ્ત્રીઓ પરધર્મી સાથે લગ્ન કરે તેને પસંદ કરતા નથી. હા અગાઉ જેટલો તીવ્ર વિરોધ નથી પરંતુ, વિરોધ તો છે જ. આનુ મૂળ કારણ સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણીનું છે.