કોઈ પણ દેશ માટે માઈગ્રન્ટ્સનું વિશેષ મહત્ત્વ રહે છે કારણકે આર્થિક અને સામાજિક વિકાસ માટે વિશ્વભરમાંથી પ્રતિભાશાળી અને ધનવાન લોકોને આકર્ષવા આવશ્યક બની રહે છે. આમ છતાં, ગેરકાયદે આવતા શરણાર્થીઓ કે માઈગ્રન્ટ્સ મોટી સમસ્યાઓ ઉભી કરે છે. યુકેને પણ માઈગ્રન્ટ્સની જરુર છે. ઉદ્યોગધંધા વધી રહ્યા છે પરંતુ, મેનપાવરની તંગી વર્તાય છે. જો કુશળ એસાઈલમ સીકર્સને યુકેમાં વસવાટ કરવા દેવાય તો કેટલાક અંશે આ તંગી હળવી થઈ શકે છે. બ્રેક્ઝિટ પછી યુકે સરકાર પોતાની સરહદો નિયંત્રિત બનાવી રહી છે. જોકે, યુકે જેવા દેશ માટે એસાઈલમ સીકર્સ અથવા શરણાર્થીઓના ધાડાંને આવતા રોકવા પણ આવશ્યક છે. સામાન્યપણે આ રાજ્યાશ્રય ઈચ્છતા માઈગ્રન્ટ્સ દેશની સમૃદ્ધિ અને નાગરિકોને અપાતા કલ્યાણકારી લાભોથી પતંગિયાની માફક દોડી આવતા હોય છે અને રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન નગણ્ય હોય છે. આંકડાકીય વાત કરીએ તો મે મહિનાના આખરી ચાર દિવસમાં ૫૦૦થી વધુ અને આખા મહિનામાં ૧૬૦૦થી માઈગ્રન્ટ્સ નાની બોટ્સમાં ચેનલ ઓળંગી બ્રિટન આવી પહોંચ્યા છે. આ તો ખાલી એક જ મહિનાની વાત છે. આ ગેરકાયદે માઈગ્રન્ટ્સના માનવાધિકારોની જાળવણી અને તેમને હાઉસિંગ સહિતની સુવિધા પૂરી પાડવાની જવાબદારી સરકારના શિરે આવી જાય છે.
આદિકાળથી સામાજિક અને આર્થિક સુવિધાઓ માટે સ્થળાંતર કરતા રહેવું તે માનવીની પ્રવૃત્તિ બની રહી છે અને તેમાં કશું ખોટું પણ નથી. જોકે, જે દેશ કે વિસ્તારોમાં સ્થળાંતર કરાતું હોય ત્યાંના નાગરિકોના પણ સુખચેનથી રહેવાના મૂળ અધિકારો હોય છે. ભારતના ગુજરાતમાં પારસી લોકો સ્થળાંતર કરીને આવ્યા અને દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા. આજે પારસી લોકો પોતાને ગુજરાતી કહેવડાવવામાં ગર્વ અનુભવે છે. આવી જ પરિસ્થિતિ યુગાન્ડાથી હકાલપટ્ટી કરાયેલા તેમજ કેન્યાથી પણ યુકે આવેલા ગુજરાતી માઈગ્રન્ટ્સની હતી. પરંતુ, યાદ રાખવું ઘટે કે તેઓ ગેરકાયદે સ્થળાંતરીઓ નહિ પરંતુ, બ્રિટિશ પાસપોર્ટધારક નાગરિકો હતા. આ માઈગ્રન્ટ્સે નાના પાયે વેપારધંધા શરુ કર્યા, દુકાનો કરી અને યુકેમાં ચોતરફ ફેલાઈ ગયા છે. આજે યુકેના આર્થિક વિકાસમાં આ માઈગ્રન્ટ્સનું અભૂતપૂર્વ યોગદાન દેખાઈ આવે છે. નેશનલ હેલ્થ સર્વિસ હોય કે ફાર્માસ્યુટિકલ્સ હોય, કોઈ પણ ક્ષેત્રમાં તેમણે વગાડેલા ડંકા સંભળાઈ આવે છે.