જી-૭, વેક્સિન અને ક્લાઈમેટ ચેન્જ સમસ્યા

Wednesday 09th June 2021 09:18 EDT
 

ઈંગ્લેન્ડના કોર્નવોલ ખાતે ૧૧ જૂનથી જી-૭ દેશોની શિખર પરિષદ યોજાઈ છે. આ બેઠકમાં કોવિડ મહામારી સંદર્ભે વેક્સિનનીતિ અને ક્લાઈમેટ ચેન્જના મુદ્દે વિશદ ચર્ચા થવાની છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૦૨૨ના અંત સુધીમાં દુનિયાની તમામ લોકોને સાથે મળીને વેક્સિન આપવાની સહમતી સાધવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સારી વાત છે કે વિશ્વના અગ્રણી દેશો આ મુદ્દે આગળ આવવા તૈયાર થાય. વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના વેક્સિન્સ પર અગ્રણી દેશોએ કબજો જમાવી લીધો છે અને આફ્રિકા સહિતના દેશોની પ્રજા વેક્સિન માટે વલખાં મારી રહી છે.
જી-૭ શિખર પરિષદમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આમંત્રિત છે પરંતુ, ભારતમાં કોરોના મહામારીની સ્થિતિને અનુલક્ષી તેઓ રુબરુ ઉપસ્થિત રહેવાના નથી. આમ છતાં, તેમની હાજરી અવશ્ય વર્તાશે કારણકે તેમની સરકારે દેશના તમામ વયસ્કોને વેક્સિન આપવાની જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી છે. ઉત્પાદકો પાસેથી વેક્સિન ખરીદી રાજ્યોને નિઃશુલ્ક ફાળવણી કરવામાં આવશે અને ભારતમાં ૨૧ જૂનથી આક્રમક વેક્સિનેશન અભિયાન શરુ કરી દેવાની મહત્ત્વાકાંક્ષી યોજનાનો પડઘો આ બેઠકમાં નિઃશંકપણે પડશે.
આ ઉપરાંત, જ્હોન્સને વિકાસશીલ દેશો પોતાના અર્થતંત્રો પર કાર્બનનું ભારણ ઓછું થાય તે માટે ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ‘માર્શલ પ્લાન’ પર G7ના નેતાઓ હસ્તાક્ષર કરે તેવી ઈચ્છા પ્રદર્શિત કરી છે. આફ્રિકા અને એશિયામાં વિશાળ પાયા પરના રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપવામાં જી-૭ દેશોએ કામગીરી કરવી જોઈએ તેમ પણ જ્હોન્સન માને છે. ઉલ્લેખનીય છે કે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી યુરોપીય અર્થતંત્રોના પુનઃનિર્માણમાં અમેરિકન માર્શલ પ્લાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતના વડા પ્રધાન મોદીએ પણ વિશ્વ પર્યાવરણ દિને સ્પષ્ટ કર્યું હતું કે પર્યાવરણની રક્ષા અને વિકાસકાર્ય સાથે પ્રગતિ કરી શકે છે અને ભારત ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા ‘હાર્ડ અને સોફ્ટ’ બંને પ્રકારના અભિગમો ઉપયોગમાં લઈ રહ્યું છે. જી-૭ દેશોના નાણાપ્રધાનો વચ્ચેની બેઠકમાં મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી ઓછામાં ઓછો ૧૫ ટકા ટેક્સ વસૂલવાનો ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો છે. ચાર વર્ષથી આ નિર્ણય ઠેલાતો રહ્યો હતો. અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઈટાલી, જાપાનના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી આ સમજુતીથી જી-૭ દેશોને ટેક્સ પેટે કરોડો ડોલર મળશે.


comments powered by Disqus