ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સોમવારે સવારે એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ ગઈ. સિંધના ડહારિકા વિસ્તારમાં બે ટ્રેન પરોઢિયે ૩.૪૫ના સુમારે સામસામે ટકરાઈ જતાં ૩૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં તો ૫૦થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. મળતી જાણકારી મુજબ મિલ્લત એક્સ્પ્રેસ અને સર સૈયદના એક્સ્પ્રેસ વચ્ચે ટક્કર સર્જાઈ હતી. લોકો બોગીઓમાં જ ફસાઈ ગયા હતા. તેમના બચાવની કામગીરી ચાલી રહી હોવાથી મૃત્યુ સંખ્યા વધી શકે છે. જાણકારોના જણાવ્યા મુજબ મિલ્લત એક્સ્પ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સ્પ્રેસ ટ્રેન રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ મિલ્લત એક્સ્પ્રેસની બોગીએ પાટા પરથી ખડી પડીને બીજી ટ્રેક પર જતી રહી છે. તેને કારણે સામેથી આવતી સર સૈયદ એક્સ્પ્રેસ ટ્રેન સાથે ટકરાઈ ગઈ. તેને કારણો સંખ્યાબંધ કોચને નુકસાન પહોંચ્યું હતું. રેલવે દુર્ઘટના પછી ચાર કલાક સુધી અધિકારીઓ પણ ઘટના સ્થળે નહોતા પહોંચી શક્યા. મોડેથી પહોંચેલી બચાવ ટુકડીએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રવાસીઓ ડેમેજ થઈ ગયેલા રેલવે કોચમાં ફસાયેલા હતા.