યુકેમાં લેબર પાર્ટી અને ભારતમાં કોંગ્રેસ પાર્ટીની હાલત વિલિયમ શેક્સપિયરના નાટકના હીરો હેમલેટ જેવી ‘ટુ બી ઓર નોટ ટુ બી’ છે. ડાબેરી લેબર પાર્ટીની નેતાગીરી વિચાર અને દિશાશૂન્યતાથી પીડાય છે. બ્રિટન મોટા ભાગે ધાર્મિક સહિષ્ણુતાનો દેશ ગણાય છે પરંતુ, લેબર પાર્ટીની જૂની કે નવી કેડરમાં આવી સહિષ્ણુતાનો સદંતર અભાવ છે.બ્રિટનમાં ૨૦૧૧ના સેન્સસ અનુસાર આશરે ૨.૮ મિલિયન મુસ્લિમો રહેતા હતા જ્યારે હિન્દુઓની સંખ્યા ૮,૧૭,૦૦૦ની હતી. પ્યુ રિસર્ચ સેન્ટરનો અભ્યાસ કહે છે કે બ્રિટનમાં ૨૦૧૬માં મુસ્લિમોની સંખ્યા ૪.૧ મિલિયન હતી તે ૨૦૫૦ સુધીમાં વધીને ૧૩ મિલિયનના આંકડે પહોંચી જશે. જેવી રીતે કોંગ્રેસ પાર્ટીની નજર મુસ્લિમ વોટબેન્ક પર રહી છે તે જ રીતે લેબર પાર્ટીની નજર પાકિસ્તાની અને બાંગલાદેશી મુસ્લિમ મત હાંસલ કરવા પર રહી છે. આના માટે તેણે ભારતવિરોધી અને હિન્દુવિરોધી વલણ અપનાવેલું છે. સ્વાભાવિક રીતે જ લેબરનેતાઓ કાશ્મીર મુદ્દે કાગારોળ મચાવતા રહ્યા છે. જેરેમી કોર્બીને તો કાશ્મીરમાં યુએનના હસ્તક્ષેપની માગણી કરીને હદ વટાવી દેતા એક સમયના વફાદાર ભારતીય મતદારોની ખફગી પણ વહોરી લીધી છે. ભારતીય હાઈ કમિશનમાં પાકિસ્તાની તત્વોએ જે રીતે તોડફોડ આદરી તેમાં પણ લેબરનેતાઓની સ્પષ્ટ તરફદારી દેખાઈ આવી હતી.
જ્યારે કોર્બીનના હાથમાંથી નેતાપદ સરીને સર કેર સ્ટાર્મરના હસ્તક આવ્યું ત્યારે પાર્ટીના કાર્યકરોને નીતિઓમાં બદલાવની આશા જન્મી હતી પરંતુ, સ્ટાર્મરે પાર્ટીને બેઠી કરવાની સોનેરી તક ગુમાવી દીધી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ લેબરની રેડ વોલના કાંગરા ખેરવી નાખ્યા તે હાલની જ હર્ટલપૂલ પેટાચૂંટણીના પરિણામે દર્શાવ્યું છે. સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં પણ લેબર પાર્ટીનો કરુણ રકાસ થયો હતો. હવે ટુંક સમયમાં વેસ્ટ યોર્કશાયરમાં બેટલી એન્ડ સ્પેન બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠકમાં લગભગ ૨૫ ટકા મતદાર બિનગોરા, મુખ્યત્વે મુસ્લિમ છે અને શ્વેત વર્કિંગ ક્લાસ પર ટોરી પાર્ટીએ પ્રભુત્વ જમાવેલું છે ત્યારે શું થશેનો વિચાર પણ પાર્ટીને સતાવી રહ્યો છે..
સ્ટાર્મર અને લેબર પાર્ટી માટે ‘બાવાના ચારેય (બે નહિ) બગડ્યા’ જેવું થઈ ગયું છે. વર્કિંગ ક્લાસ – મજૂર વર્ગ પરનું લેબર પાર્ટીનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે, કોર્બીનના નેતાપદે પક્ષમાં યહુદીવિરોધ અને હિન્દુવિરોધે માઝા મૂકી હતી અને હવે મુસ્લિમો પણ વિરોધ કરી રહ્યા છે કારણકે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના વિવાદમાં લેબર પાર્ટી ખુલીને પેલેસ્ટાઈનના સમર્થનમાં બહાર આવી નથી.