BAPS નીસડન મંદિર દ્વારા પ્રિન્સ ફિલીપને શ્રદ્ધાંજલિ

Wednesday 14th April 2021 08:58 EDT
 
 

૯ એપ્રિલને શુક્રવારે પ્રિન્સ ફિલીપ, ડ્યૂક ઓફ એડિનબરાના નિધનના સમાચાર જાણીને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતેના સ્વામીઓ તેમજ સમગ્ર યુકેના હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ડ્યૂક ઓફ એડિનબરાએ ૨૩ જુલાઈ ૧૯૯૬ના રોજ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના સ્થાપત્ય અને તેના નિર્માણમાં વોલન્ટિયર્સનું સમર્પણ અને ધર્મનિષ્ઠા તેમજ મંદિરના સ્થાપક અને સર્જક પ.પૂ. પ્રમુખ સ્વામીથી હીઝ રોયલ હાઈનેસ ખૂબ પ્રભાવિત થયા હતા. તે પછીના વર્ષે ૧૫ ઓક્ટોબર, ૧૯૯૭ના રોજ ભારતના પ્રવાસ દરમિયાન ડ્યૂક ઓફ એડિનબરાએ ગાંધીનગરમાં આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે જ વર્ષે પાછળથી પૂ. પ્રમુખ સ્વામીએ યુકેની મુલાકાત લીધી ત્યારે બકિંગહામ પેલેસની મુલાકાત માટે પ્રિન્સ ફિલીપે પાઠવેલું આમંત્રણ સ્વીકાર્યું હતું. તે બન્ને વચ્ચે ૧૦મી નવેમ્બર, ૧૯૯૭ના રોજ મુલાકાત યોજાઈ હતી.
પ્રિન્સ ફિલીપના નિધન પછી આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી તેમજ રાબી એફ્રેમ મીરવીસે પાઠવેલી શ્રદ્ધાંજલિમાં આ વિશેષ બંધન પ્રિન્સ ફિલીપની ઈન્ટરફેથ ડાયલોગ પર ગાઢ અસરને દર્શાવે છે. ૧૯૮૬માં WWFના તત્કાલીન આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રિન્સ ફિલીપે બૌદ્ધ, ખ્રિસ્તી, હિંદુ, ઈસ્લામ અને યહૂદી એમ દુનિયાના પાંચ મુખ્ય ધર્મના વડાઓને તેમનો ધર્મ કુદરતી વિશ્વને બચાવવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની ચર્ચા કરવા બોલાવ્યા હતા. આ ઐતિહાસિક બેઠકમાં કુદરતની સંભાળ માટે પાંચ ધર્મ દ્વારા તેમની વિશિષ્ટ પરંપરા અને અભિગમને વર્ણવતા ચાવીરૂપ નિવેદનો રજૂ કરાયા હતા.
ઈન્ટરફેથ નેટવર્ક ફોર યુકેના કો - ચેર જોનાધન ક્લાર્ક અને નરેન્દ્ર વાઘેલાએ પણ ઈન્ટરફેથ હાર્મની પર પ્રિન્સ ફિલિપની ગાઢ અસર પર ભાર મૂક્યો હતો.
નીસડન મંદિરના હેડ સ્વામી યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું હતું કે પૂ. મહંત સ્વામી મહારાજ વતી તેમજ અહીં યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થાના સૌ વતી અમે યુકેના શાહી પરિવારને અમારી સાંત્વના અને પ્રાર્થના પાઠવીએ છીએ. ઈન્ટરફેથ હાર્મની અને પર્યાવરણના જતન માટેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીએ છીએ અને અમારી વિશેષ મૈત્રી તેમના ઉમદા કાર્યને આગળ ધપાવવા માટે કાર્યરત રહેશે. આ ઘડીએ અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના શાહી પરિવારની સાથે છે.


    comments powered by Disqus