નવીદિલ્હી: મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે. હવે તેને સારવાર માટે એન્ટિગુઆ મોકલવામાં આવશે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ મેહુલને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. તબિયત સારી થયા બાદ તેને ડોમિનિકા પાછા ફરવું પડશે. આ પહેલા એવા અહેવાલ હતા કે, મેહુલ ચોક્સીએ આરોપ લગાવ્યો છે કે, ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે તેમની ધરપકડ ભારત સરકારના પ્રતિનિધિઓની ‘ઉશ્કેરણી' પર કરવામાં આવી હતી. તેણે રોસોની હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે, તેની સામે કાર્યવાહી રદ કરવા માંગ કરી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, કેરેબિયન દેશના ઇમિગ્રેશન પ્રધાન, તેના પોલીસ વડા અને આ કેસના તપાસ અધિકારી સામે કેસ નોંધવામાં આવ્યો છે. ચોકસી ભારતથી ફરાર થયા બાદ ૨૦૧૮થી એન્ટિગા અને બર્બુડામાં રહેતો હતો.