વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટમાં નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. આર્થિક મંદી, કોરોના મહામારીને નબળો પ્રતિભાવ, પ્રાદેશિક ચૂંટણીઓમાં ભાજપને મળેલી પછડાટ, બાહ્ય સુરક્ષા પડકારો તેમજ ઘરઆંગણાના પ્રશ્નો પર આંતરરાષ્ટ્રીય ટીકા-ટીપ્પણો અને શાસક પક્ષની શીર્ષસ્થ નેતાગીરીની લોકપ્રિયતામાં ઘટાડા સહિતના કારણોસર વડા પ્રધાન માટે નવી કેબિનેટનું ગઠન આવશ્યક બની ગયું હતું.
વડા પ્રધાને કેબિનેટ ફેરફાર થકી સીધો અને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે નબળી કાર્યક્ષમતા ચલાવી નહિ લેવાય. આરોગ્ય, શિક્ષણ, ઉડ્ડયન, શ્રમ, પેટ્રોલિયમ, ફાર્મા, IT, ટેલિકોમ અને રેલવે મંત્રાલયોમાં યુવા લોહીને સ્થાન અપાયું છે. એટલું જ નહિ, પ્રધાનોના શિક્ષણ અને કાબેલિયત પર પણ ભાર મૂકાયો છે. મહામારીના વર્તમાન સંજોગોમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાને હેલ્થ મિનિસ્ટ્રીનો કાર્યભાર સુપરત કરાયો છે જે તેમના અગાઉના મંત્રાલયની કામગીરીનો પ્રભાવ છે. ગૃહપ્રધાન અમિત શાહને નવું સહકારિતા મંત્રાલય સોંપાયુ છે તેમાં દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની અને રાજ્યોનું પ્રભુત્વ ઘટાડવાની મહેચ્છા દેખાઈ આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશ્વિની વૈષ્ણવ સારી વહીવટી પકડ ધરાવે છે જે તેમની કામગીરીને વધુ પ્રભુત્વશાળી બનાવશે તેમાં કોઈ શંકા નથી.
સ્વાભાવિક રીતે જ કેબિનેટ વિસ્તરણમાં રાજ્યોની ૨૦૨૨ અને ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીઓ વિશે ધ્યાન અપાયું છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણીને લક્ષમાં રાખી OBC ચહેરાઓને રાજ્યકક્ષાના મંત્રીપદ અપાયા છે. ભાજપ અથવા તો કોઈ પણ રાજકીય પક્ષ માટે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓનું વિશેષ મહત્ત્વ રહે છે. બંગાળમાં મમતાદીદીના આક્રમણ સામે ભાજપના કાર્યકરોનો જુસ્સો નામશેષ ન થાય તે માટે બંગાળને પણ સારુ પ્રતિનિધિત્વ મળ્યું છે. જો પડતા મૂકાયેલા મિનિસ્ટર્સની વાત કરીએ તો રવિ શંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે મજબૂત પ્રદર્શન આપ્યું નતી પરંતુ, ચૂંટણીકાળમાં તેમને સંગઠનમાં કામગીરી સોંપી તેમના અનુભવનો લાભ લેવાની ઈચ્છા દેખાઈ આવે છે.
મોદી કેબિનેટની વિશેષતા એ છે કે અગાઉની સરખામણીએ મિનિસ્ટર્સની સરેરાશ વય ૬૦ વર્ષથી ઓછી છે એટલે કે પ્રમાણમાં યુવાન છે. અત્યાર સુધીમાં ૭૭ સભ્યો સાથે મોદીનું આ સૌથી મોટું પ્રધાન મંડળ છે. સાત મહિલા મિનિસ્ટર્સ સાથેની કેબિનેટ સામે પડકારો પણ વિકટ છે. કોરોના મહામારીના કારણે ભારતની આર્થિક હાલત પણ નબળી પડી છે ત્યારે અર્થતંત્રમાં જોમ ફૂંકવા વિવિધ મંત્રાલયોએ સામંજસ્ય દાખવી કામ કરવું પડશે. કોરોનાની ત્રીજી લહેરને ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે આરોગ્ય મંત્રાલયની મુખ્ય કામગીરી ઝડપી વેક્સિનેશનની રહેવી જોઈએ.