“હમ બદલેંગે, સમાજ બદલેંગા... વૈચારિક ક્રાંતિ"ના ભેખધારી કપિલાબેન પટેલ

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 14th July 2021 06:30 EDT
 
 

સામાન્ય રીતે નવવધૂને વરરાજા સોના-હીરાના અણમોલ દાગીનાની ભેટથી નવાજતા હોય છે પરંતુ કપિલાબહેનને એમના પતિ આર.બી. પટેલે સુહાગ રાતે ગાયત્રી મંત્રની ભેટ આપતા કહ્યું કે, “હું તને સોનાની ખાણ અને હીરાની ખાણની ભેટ આપું છું. આ અણમોલ ભેટ જીવનમાં સદાય ઉર્ધ્વ ગતિ તરફ લઇ જશે. આનાથી અણમોલ કશું જ નથી". સામાન્ય પત્ની આવી ભેટને સહર્ષ સ્વીકારી લે ખરી? પણ કપિલાબેનની જોવાની દ્રષ્ટિ નીરાળી હતી. પતિ-પત્નીના વિચારોમાં સુમેળનું મૂળ હતું; એમના ઉચ્ચ વિચારો. આવી સમાન વિચારસરણી એમને વૈચારિક ક્રાંતિની દિશા તરફ દોરી ગઇ. માનવમાત્રને ઇશ્વરની કૃપાથી બુધ્ધિની ભેટ મળી છે પરંતુ એના ઉપયોગ ઉપર એની ગતિ નિર્ધારિત થાય છે.
મૂળ કમ્પાલામાં જન્મેલ કપિલાબહેનને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો માતા-પિતા તરફથી વારસામાં મળ્યા છે. કોઇને દુ:ખ ન પહોંચાડવું, બધા પ્રત્યે કરૂણા ભાવ રાખવો. સદ્ભાવનું આચરણ કરવું અને કરાવવું એ જ સાચો ધર્મ છે. જે સમાજે આપણને વિવિધ ભેટ ધરી છે એનું ઋણ અદા કરવાનું ધ્યેય તેઓ આચરણમાં મૂકી બિનસાંપ્રદાયિક અસરકારક ગાયત્રી મંત્રનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. મૂળ નરસંડાના વતની કપિલાબહેનને અલીન્દ્રાના વતની આર.બી.પટેલ જીવનસાથી તરીકે મળ્યા જે ધાર્મિક વિચારોવાળા હોવાથી એમની જોડી જામી.
લંડનમાં મઝવેલહીલ સ્થિત આ દંપતિ ગાયત્રી પરિવારના રંગે રંગાયેલ છે. બે દિકરીઓના માતા-પિતા છે. કામના પાંચ દિવસો બાદ કરી સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવામાં શનિ-રવિનો સમય ફાળવી રહ્યાં છે. છેલ્લા પચીસેક વર્ષથી તેઓએ પોતાના ખર્ચે ઘરે ઘરે જઇ ગાયત્રી યજ્ઞ દ્રારા સમાજની સોચ બદલવાની ઝૂંબેશ આદરી છે. કોઇપણ જાતના સ્વાર્થ વિના વ્યક્તિનો વિકાસ થાય અને વાતાવરણ પવિત્ર થાય એ માટેના પ્રયાસો કરી રહ્યાં છે. જો કોઇ ભેટ આપે તો તે રકમ સીધી ચેરિટીમાં આપી દે છે.
તેઓ માને છે કે, ધર્મ એક વિજ્ઞાન છે. એ સરળ છે. એની સમજ બધામાં હોવા છતાં સંસારમાં ડૂબી ગયેલા માનવીઓ આપણે એનું પાલન કરી શકતા નથી. આત્મા અને શરીર એ બે અભિન્ન છે. આપણે શરીરના લાલન-પાલનમાં આત્માને વિસરી ગયા છીએ. આત્મા વિનાનો દેહ નિશ્ચેતન બની જાય છે. આત્માના આધ્યાત્મિક વિકાસની જરૂર છે એની સમજ કેળવાય તો એક સારા માનવી બનવાની દિશામાં પ્રગતિ કરી શકાય. સારી વ્યક્તિના સમાગમથી બુધ્ધિનો સદુપયોગ થાય અને બૂરા સંગથી બુધ્ધિનો દુરુપયોગ થાય.
મંત્રની શક્તિ અને પ્રભાવ જીવનમાં પરિવર્તન લાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ગાયત્રી મંત્ર આપણી પ્રજ્ઞાને પ્રજ્જવલિત કરે છે. સદ્બુધ્ધિ દાતા ગાયત્રી મંત્ર આપણને પોતાની ભૂલો જોવાની અને એમાં બદલાવ લાવવાની પ્રેરણા આપે છે. તમે કોઇને બદલી શકતા નથી પરંતુ પોતાની જાતને તો ૧૧૦ % બદલી શકો છો. વ્યક્તિની મોટામાં મોટી કોઇ શોધ હોય તો તે છે પોતાની ભૂલ શોધી કાઢવાની.
કપિલાબહેન કહે છે, સારા વાંચનથી, સત્સંગ, સ્વાધ્યાયથી પોતાની પાત્રતા મુજબ જીવનને બદલી શકાય છે.
શ્રધ્ધેયભાઇ જાની કપિલાબહેનની આ ગાયત્રી યજ્ઞ સેવાથી ખૂબ પ્રભાવિત છે અને એમના કામની પ્રશંસા કરે છે.


comments powered by Disqus