માનવવિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં શિક્ષણનું યોગદાન મહત્ત્વનું છે. એક પ્રચલિત કહેવત છે કે ‘ભણેગણે તે નામું લખે, ન ભણે તે દીવો ધરે.’ માનવવિકાસને માનવીના સુખ-શાંતિ, કૌશલ્ય, રુચિ-રસ અને બુદ્ધિક્ષમતા સાથે સંબંધ છે. આ તમામ માટે જ્ઞાનપ્રાપ્તિ આવશ્યક છે જે શિક્ષણ અથવા તો અભ્યાસ થકી જ મળી શકે છે. સંર્વાંગી વિકાસ થકી માનવીના જીવનધોરણને ઉચ્ચસ્તરે લઈ જવાની પ્રક્રિયા જ વિકાસ છે. શિક્ષણ એ માનવ જીવનનું ચાલક બળ છે. વિદ્યા અને શિક્ષણ એકમેકની પૂરક બાબતો છે. વિદ્યા એ જ્ઞાનપ્રાપ્તિ છે જ્યારે શિક્ષણ માનવીને શિસ્તબદ્ધ બનાવે છે, વિચારોને ઘડે છે, તેને સભ્ય અને સંસ્કૃત બનાવે છે.
જોકે, જ્ઞાન અને માહિતીને સરખાવી ન શકાય કારણકે માહિતી ઉપરછલ્લી હોય છે, બદલાતી રહે છે અને તેને ભૂલી પણ જવાય છે. જ્ઞાનની બાબતમાં આવું નથી. કોઈ પણ સંસ્કૃતિમાં જ્ઞાનનું મહત્ત્વ રહે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા ચાલતી આવે છે. શિષ્ય આગળ જતા ગુરુપદ ધારણ કરે છે અને ‘જ્યોત સે જ્યોત જલતી રહે’ની માફક જ્ઞાનયજ્ઞ આગળ વધતો રહે છે. વર્તમાનમાં ટેકનોલોજીનું મહત્ત્વ છે તેના પાયામાં પણ જ્ઞાન જ રહ્યું છે. યુકે સહિત વિશ્વના દેશો તેજસ્વી માઈગ્રન્ટ્સને આવકારવા થનગને છે. શિક્ષિત વર્ગ દેશ અને નાગરિકોના જીવનસ્તરને ઊંચું લાવવામાં મદદ કરે છે. જી-૭ શિખર પરિષદમાં ગરીબ દેશોની સ્ત્રીઓને શિક્ષિત કરવાની હાકલ કરવામાં આવી છે તે શિક્ષણનું મહત્ત્વ દર્શાવે છે.