લોકડાઉન નિયંત્રણો લંબાવવાની કઠણાઈ

Wednesday 16th June 2021 09:28 EDT
 

સહુને અપેક્ષિત હતું તેમ બોરિસ જ્હોન્સન સરકારે નાછૂટકે લોકડાઉન નિયંત્રણો વધુ ચાર સપ્તાહ લંબાવ્યા છે. જ્હોન્સને જ્યારે નિયંત્રણો ઉઠાવવા માટેનો રોડમેપ જાહેર કર્યો હતો ત્યારથી જ એક બાબત નિશ્ચિત હતી કે રોડમેપના દરેક ચાર તબક્કા માત્ર તારીખ નહિ પરંતુ, ડેટા આધારિત રહેશે અને આ આખરી ચોથા તબક્કામાં પણ ડેટાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.
એક બાબત એટલી જ સાચી છે કે જ્યારે પણ કોઈ આગોતરી તારીખ નિશ્ચિત કરાય અને તેમાં પીછેહઠ કરવાની થાય તો ભારે નિરાશા ઉપજે છે. પરંતુ, ડેટા તો સ્પષ્ટ છે કે બ્રિટન હાલ કોરોના વાઈરસની ત્રીજી લહેરમાં ઝડપાઈ ગયું છે. દેશના કેટલાક વિસ્તારોમાં તો કેસ દર ચોથા દિવસે બમણા થઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં સંક્રમણ અને કેસીસ વધે તો હોસ્પિટલાઈઝેશન પણ વધશે. આવી પરિસ્થિતિમાં લોકડાઉનના નિયંત્રણો લંબાવવા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેતો નથી.
આટલા લાંબા સમય સુધી નિયંત્રણોમાં રહ્યા પછી જીવન સામાન્ય સ્થિતિમાં આવવાની આશા હોય અને અચાનક તેનાથી વિપરીત હાલતમાં આવી જઈએ તો રોષ પ્રગટે પણ સ્વાભાવિક છે. લોકોની ઉનાળાની રજાઓ માણવાની ઈચ્છા પર આમ પણ પાબંદી લાગી ગઈ છે કારણકે વધી રહેલા સંક્રમણના લીધે મોટા ભાગના દેશો બ્રિટિશરો પોતાને ત્યાં આવે તેમ ઈચ્છતા નથી. આની સીધી અસર ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર થઈ છે. બીજી તરફ, નિયંત્રણો લંબાવાના કારણે મરવાના વાંકે જીવતા હોસ્પિટાલિટી, ટુરિઝમ સહિતના સેક્ટર્સ ભારે મુશ્કેલીમાં આવી જશે અને ઘણાં ધંધાકીય એકમોને બંધ કરવાની પણ ફરજ પડવાની છે.
એક હકીકત છે કે જ્હોન્સને લોકડાઉન્સ લાદવામાં જે વિલંબ કર્યો તેનાથી વાઈરસની પ્રથમ અને દ્વિતીય લહેરની તીવ્રતા વધી હતી. આ ઉપરાંત, બ્રેક્ઝિટ પછી વેપારસોદા માટે ભારત મુલાકાતની મહેચ્છાના પરિણામે ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકવામાં જે સમય ગુમાવ્યો તે પણ આ ત્રીજી લહેર માટે કારણભૂત ગણવામાં આવે છે. મૂળ ભારતમાં ઉદ્ભવેલો ડેલ્ટા વેરિએન્ટ આલ્ફા અથવા કેન્ટ વેરિએન્ટની સરખામણીએ ૬૦ ટકા જેટલો વધુ ચેપી ગણાય છે. ડેલ્ટા વેરિએન્ટે બ્રિટનમાં ભારે પગપેસારો કરી લીધો છે અને દેશના તમામ સંક્રમિત કેસીસના ૯૧ ટકા તેના કારણે હોવાનું પણ ડેટા જ કહે છે.
લોકોની આઝાદીમાં વિલંબનું એક સારું પાસું બની રહેશે કે આ સમયગાળાનો ઉપયોગ આક્રમક વેક્સિનેશન માટે કરી શકાશે. લાકો લોકોને વેક્સિનનો ડબલ ડોઝ મળી જવાથી ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણ સામે રક્ષણ વધી જશે. નાગરિકોની પણ જવાબદારી વધી જશે કે તેમનું વર્તન વાઈરસના સંક્રમણને વેગ આપે તેવું હોવું ન જોઈએ.


comments powered by Disqus