પેગાસસ સ્પાયવેરથી મચેલો ખળભળાટ

Thursday 22nd July 2021 03:38 EDT
 

ચાણક્યે શત્રુ રાજ્યોની જાસૂસી કરવાને ગુપ્તચર તંત્ર વિકસાવ્યું હતુ અને આજે દુનિયાના દરેક દેશો આગવું જાસૂસી નેટવર્ક ધરાવે છે. વિશ્વમાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા ‘મોસાદ’ પ્રથમ ક્રમે છે અને ઈઝરાયેલના NSO ગ્રુપે ડેવલપ કરેલા જાસૂસી સ્પાયવેર પેગાસસથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈઝરાયેલી સ્પાયવેર પેગાસસ મુદ્દે વિશ્વના ધ ગાર્ડિયન અને વોશિંગ્ટન પોસ્ટ સહિત ૧૬ ટોચના મીડિયા ઓર્ગેનાઈઝેશનના ઈન્વેસ્ટિગેશન રીપોર્ટમાં ચોંકાવનારા ખુલાસામાં આ સ્પાયવેરથી ૪૫ દેશોના ૫૦,૦૦૦ લોકોની જાસૂસી કરાઈ હતી. ગ્રીક પુરાણકથામાં પેગાસસ દેવતાઈ ઉડતો પાંખાળો ઘોડો છે. આ નામને અનુરુપ પેગાસસ સ્પાયવેર ગમે ત્યાંથી જાસૂસી તેમજ હેકિંગ કરી શકે છે. ફોનમાં માત્ર એક મિસકોલ અથવા ઈમેઈલ થકી પણ પેગાસસ ઈન્સ્ટોલ થઈ જાય છે. જો કંપનીનું માનીએ તો વિશ્વની સરકારોને જ આ સ્પાયવેરનું વેચાણ કરાય છે જેથી તેઓ આતંકવાદી અને ક્રિમિનલ ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો પર નજર રાખી શકે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેના ૪૦ દેશામાં ૬૦ કસ્ટમર્સ છે જેમાંથી ૫૧ ટકા વપરાશકાર ઈન્ટેલિજન્સ એજન્સીઓ, ૩૮ ટકા કાનૂની એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને ૧૧ ટકા મિલિટરી સાથે સંકળાયેલા છે. પેગાસસ દ્વારા કરાતી જાસૂસીમાં વિશ્વભરના ૧૮૦થી વધુ એડિટર્સ, ઈન્વેસ્ટિગેટિવ રીપોર્ટર્સ અને અન્ય પત્રકારોમાં ફાઈનાન્સિયલ ટાઈમ્સના પ્રથમ મહિલા એડિટરનો પણ સમાવેશ થયો છે.
આ તપાસ અહેવાલ મુજબ તો ભારત સરકારે વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ના ગાળામાં પેગાસસની મદદથી રાજકીય નેતાઓ, પત્રકારો, વકીલો, સામાજિક કાર્યકર્તાઓ અને બિઝનેસમેન્સ સહિત ૩૦૦ ભારતીય ફોન નંબરો હેક કર્યા હતા. હવે આવું હેકિંગ કે જાસૂસી રાષ્ટ્રીય સુરક્ષા માટે કરાતું હોય તે માની શકાય તેમ નથી. આ મુદ્દે ભારતની પાર્લામેન્ટમાં ભારે હોબાળો થયો છે તેની પણ નોંધ લેવી જોઈએ. ફ્રાન્સની સરકારે તો પેગાસેસથી જાસૂસી મુદ્દે રાષ્ટ્રીય તપાસની જાહેરાત પણ કરવી પડી છે. નવાઈની વાત એ છે કે પાકિસ્તાન પણ પેગાસસ વિવાદમાં કૂદી પડ્યું છે અને ‘કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના’ની માફક તેનું નિશાન ભારત જ છે. ઈઝરાયેલી સોફ્ટવર મારફત ભારતે ઈમરાન ખાનના ફોનની જાસૂસી કરી હોવાને આક્ષેપ કરાયો છે. પાકિસ્તાન હવે કાશ્મીર પછી આ બીજો મુદ્દો યુએન સમક્ષ લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. લોકશાહીમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ, સરકારો દ્વારા રાજકીય લાભ માટે પણ જાસૂસી કરાતી રહે છે. જો રાષ્ટ્રીય સુરક્ષાની બાબત હોય તો પણ નાગરિકોની અંગત વિગતોની જાસૂસી કરવી યોગ્ય નથી, તે ગોપનીયતા અને માનવ અધિકારોની વિરુદ્ધ છે. મીડિયાને લોકશાહીનો મહત્ત્વનો સ્થંભ ગણવામાં આવે છે ત્યારે આવી જાસૂસી કેટલા અંશે જરુરી અને યોગ્ય ગણાય તે યક્ષપ્રશ્ન છે.


comments powered by Disqus