સરયુબહેન પટેલનો જીવન મંત્ર છે સેવા. પછી એ કુટુંબની હોય કે સમાજની. માતૃભાષાની હોય કે સાહિત્યપ્રેમીઓની. સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો સરયુબહેનની હાજરી વિના ફિક્કા લાગે. એમનામાં એવું શું વિશિષ્ઠ છે ? સમાજનું ઋણ ચૂકવવાની લગની અને ભાષા, સંસ્કૃતિ, કલા પ્રત્યેની અભિરૂચિ. આમેય આ દેશમાં બહેનોની ભૂમિકા નૃત્યકાર જેવી હોય છે.
ધર્મજ ગામમાં જન્મેલ સરયુબહેનના પિતાશ્રી રાવજીભાઇ ગામના પ્રેસિડેન્ટ એથી પ્રતિષ્ઠિત નામ અને સેવા એમનું કામ. જેનો વારસો દિકરીને પણ મળ્યો. માતા પુષ્પાબહેન ભાદરણના દિકરી. નાનપણથી જ સરયુબહેનને સંગીત, કલા, નૃત્ય ...જેવા બધા જ વિષયોમાં ભારે દિલચશ્પી. ભણવામાં ય તેજસ્વી. બહેનની ઇચ્છા તો ડોક્ટર બનવાની પણ દિકરીને હોસ્ટેલમાં ન મૂકાય એવી કડકાઇ. એમને અમદાવાદ કાકાને ત્યાં કોલેજના ઉચ્ચ શિક્ષણ માટે મૂક્યાં. એમણે બી.એ. અને બી.કોમ.ની ડીગ્રીઓ મેળવી.
૧૯૭૦માં મૂળ નડિયાદના વતની બ્રિટનથી આવેલ યુવક શીરીષભાઇ પટેલ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયાં અને યુ.કે. આવ્યા. ત્રણ ભાઇઓ અને બે બહેનોમાં સૌથી મોટાભાઇ હોવાના નાતે કુટુંબની જવાબદારી એમના પર વધુ. ખાસ કરીને ૧૯૭૨માં યુગાન્ડામાં ઇદી અમીને કરેલ એશિયનોની હકાલપટ્ટીમાં એમના પિતરાઇ ભાઇઓ હાથે-પગે આવેલા એ બધાંને સેટલ કરવામાં સારો એવો ભોગ આપવો પડ્યો હતો. શીરીષભાઇ એરોનેટીક એન્જીનીયર પરંતુ રંગદ્રેષને કારણે જોબ ન મળતાં ઇલેકટ્રોનીક એન્જીનીયર બન્યા. બી.ટી.માં કામે લાગ્યા પરંતુ ખર્ચના બે છેડાં મળવા મુશ્કેલ એથી બીઝનેસ શરૂ કર્યો.
સરયુબહેન પણ ઉધમી. ભાઇબહેનોને ભણાવવા, પરણાવવાની જવાબદારી નિભાવવાને કારણે ગૃહિણીની ભૂમિકા સાથે એમણે કોમ્યુનિટી એજ્યુકેશન અને લેંગવેજીસના બે કોર્સ કર્યા. DHFSમાં જોબ કરી.
એલ્ડરલી એજ્યુકેશનમાં આસીસ્ટંટ શિક્ષકની નોકરી એટલે પ્રવાસ વધુ કરવો પડતો. બર્મિંગહામ, ડડલી, વોલસોલ લેક્ચરર તરીકે જવાનું થતું. દરમિયાનમાં બે દિકરાઓ પ્રીયેશ અને નૈનેશનો જન્મ થયો. હવે તો એ પાંચ ગ્રાન્ડ ચિલ્ડ્રનના દાદી છે.
૧૯૭૯થી એમણે બર્મિંગહામની પાર્કહીલ ગુજરાતી શાળામાં રમણભાઇ અને નિર્મળાબહેન સાથે શિક્ષકની સેવા અપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં શાળા ચલાવવા સરકારી ફંડ મળતું પછી એ બંધ થતા લક્ષ્મી નારાયણ મંદિર, વોરીક રોડ પર આવેલ હિન્દુ કોમ્યુનિટી સેન્ટરમાં ગુજરાતી વર્ગો શરૂ કર્યા. સેન્ટરમાં નાટકો કવિ સંમેલનો, સ્પોન્સર કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા, નવરાત્રીમાં ગરબા કરાવવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય બની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. રસોઇનો પણ ભારે શોખ. ગુજરાત-ભારતથી આવતા કલાકારો, કવિઓ બર્મિંગહામમાં એમના મહેમાન બને એથી સૌ સાથે ગાઢ સંબંધો બંધાતા.
લીન્કીંગ ધ કોમ્યુનિટી ટુ મેઇનસ્ટ્રીમમા એમને લઘુમતિ કોમના હિન્દુ પ્રતિનિધિ તરીકે એક્ઝીક્યુટીવ ઓફિસરની જોબ કરવાને કારણે એમની વગ સારી. બહેનોને સશક્તિકરણ કરવાની તરફેણમાં હોવાથી બહેનોને ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી પોતાના કૌશલ્યના અજમાયશની સલાહ-સૂચન આપવામાં પ્રવૃત્ત રહેવામાં માને છે. એમના મત મુજબ હાલના જનરેશનમાં કુટુંબની ભાવના લુપ્ત થતી જાય છે અને કલ્ચર બદલાઇ ગયાની ચિંતા કરતા કહે છે કે, “ માતૃભાષા શિક્ષણ માટે આપણે બહુ પાછળ છીએ. અંગ્રેજી શીખો પણ માતૃભાષાને અવગણો નહિ. બધું સાથે સાથે ચાલવું જોઇએ. હાલની પેઢીને ગુજરાતી ખાવાનું ગમે છે. પહેરવેશ ને રીત રિવાજો ગમે છે. લગ્નો ધામધૂમથી કરવા છે પણ ભાષા નથી શીખવી! આપણે આપણા જ પગ પર જ કુહાડી મારી રહ્યાા છીએ. ભાષા-સંસ્કારથી દૂર જઇ રહ્યા છે. ગુજરાતી ભાઇ-બહેનો જાગો!’’
એમના પતિશ્રી શીરીષભાઇને ૨૦૦૮થી અલઝાઇમરની બિમારી લાગુ પડતા જોબ છોડી દીધી પરંતુ વોલન્ટીયર કામ તો ચાલુ જ રાખ્યું. પતિના અવસાનનો ઘા હજી તાજો છે. સેવામાં મળતો સંતોષ અને એનો આનંદ જ અનેરો હોય છે.
પેનેડેમીકને કારણે બધી પ્રવૃત્તિઓ મંદ થઇ ગઇ છે. સંજોગો મુજબ માનવીએ જીવતા શીખવું જ પડે છે.