આખરે ૧૯ જુલાઈએ કોરોના લોકડાઉન નિયંત્રણોમાંથી આઝાદી મળી જ ગઈ. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નક્કી કરી જ લીધુ હતું કે આ વખતે તો નિયંત્રણો ઉઠાવી લેવાના રોડમેપમાં જરા પણ પાછીપાની કરવી નથી. આથી વિજ્ઞાનીઓ ભલે કહે કે ઉતાવળિયું પગલું છે પરંતુ, ‘આઝાદી’ તો જરુરી જ છે. જોકે, તેમણે હૈયાધારણ આપી જ છે કે આવશ્યક જણાશે તો ફરી લોકડાઉન લાદવામાં સરકાર જરા પણ પીછેહઠ નહિ કરે. નિયંત્રણો ઉઠાવી લેવાયા તે અગાઉ પણ લોકો અનિયંત્રિત ભીડ જમાવતા રહ્યા અને પરિણામે દિવસના ૫૪,૦૦૦થી વધુ કેસીસનો સામનો કરવાનો આવ્યો. ખુદ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ કોરોના પોઝિટિવ આવ્યા અને પરિણામે જ્હોન્સન અને રિશિ સુનાકને પણ સેલ્ફ આઈસોલેશનમાં જવાની ફરજ પડી છે તેના પરથી બોધપાઠ લેવાવો જોઈએ. કોવિડ લોકડાઉન નિયંત્રણો ભલે ઉઠાવી લેવાયા હોય, લોકો હજુ અસમંજસમાં છે કે આઝાદીને પૂર્ણપણે માણવી કે નહિ. યુગવનો એક પોલ કહે છે કે આગામી સપ્તાહોમાં ૩૧ ટકા લોકો પાર્ટીઓમાં જવા માટે તૈયાર રહેશે પરંતુ, ૫૩ ટકા લોકો આ માટે તૈયાર નથી. માત્ર ૨૦ ટકા અને તે પણ યુવાવર્ગ નાઈટ ક્લબ્સમાં જવા માગે છે પરંતુ, ૫૩ ટકા તૈયાર નથી.આનુ કારણ સ્પષ્ટ છે. ભારે ભીડ ધરાવતી જ્ગ્યાઓ પર જઈને કોરોના વાઈરસનો ભોગ બનવું એના કરતાં ઘેર કે માસ્ક સહિતની સલામતી સાથે ઓફિસ જવું એ સારું તેમ માનનારા લોકોની સંખ્યા વધુ છે. સરકારના લોકડાઉન ઉઠાવવાના નિર્ણયને માત્ર ૩૧ ટકાએ વધાવી લીધો છે પરંતુ, ૫૫ ટકાએ નિર્ણયને ખોટો ગણાવ્યો છે કારણકે તેઓ માને છે કે ‘આ બૈલ મુઝે માર’ શા માટે કરવું જોઈએ? માસ્ક પહેરવો કે ના પહેરવો તે અંગત જવાબદારી પર છોડી દેવાયું છે તે યોગ્ય નથી. તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરતી વેળાએ કોઈ લક્ષણ ન ધરાવતા સંક્રમિત સહપ્રવાસી હોય તેવા સંજોગોમાં અન્યો માટે જોખમ અનેકગણું વધી જાય છે. જો વેક્સિન લીધી હોય તો બચી શકાય તે પણ નિશ્ચિત નથી. એક વાત સાચી છે કે નિયંત્રણો ઉઠાવી લેવાથી બિઝનેસીસને અને તેના પગલે અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. અત્યાર સુધી બંધનાવસ્થામાં રહેલા લોકો આઝાદ થઈ પ્રવૃત્તિમય બનશે પરંતુ, સ્વતંત્રતા સ્વછંદતામાં ફેરવાઈ જાય નહિ તેના પર ધ્યાન આપવું આવશ્યક છે અન્યથા આપણે ફરી કોરોના વાઈરસના આક્રમણ સામે શરણાગતિ સ્વીકારવી પડે તે નિશ્ચિત છે.