વિશ્વ હાલ કોરોના વાઈરસની બીજી અને ત્રીજી લહેરની વચ્ચે અટવાયું છે. જોકે, કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે બીજી લહેર ભલે ધીમી પડ્યાનું લાગે પરંતુ, ત્રીજી લહેર વધુ ખતરનાક બનશે. વિશ્વમાં અત્યાર સુધીમાં ૧૭૮.૯ મિલિયનથી વધુ લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે જેમાંથી ૩.૮૭ મિલિયન લોકોનાં મોત થયાં છે,
વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના દેશોમાં અનલોકિંગ થઈ રહ્યું છે કારણકે અર્થવ્યવસ્થાને લાંબો સમય બંધનમાં રાખવાથી બેકારી અને ધંધા-રોજગાર ઠપ થવા સહિતની વિષમ અસરો સર્જાવાનું જોખમ છે. આ સંજોગોમાં નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવી જરુરી બને છે. લોકડાઉનના નિયંત્રણો હળવાં થાય તેમ છતાં સાવચેતી રાખી પાયાના આરોગ્ય અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઈએ. સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે અતિ પ્રાચીન ભારતીય પરંપરાના યોગ તરફ નજર રાખવી જોઈએ. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગાભ્યાસ તન અને મનની સ્વસ્થતા તેમજ સ્થિરતા અને શાંતિ પ્રદાન કરે છે તે હવે જાણીતી હકીકત છે અને વિશ્વભરમાં યોગ પ્રત્યેનો આદર વધી રહ્યો છે. કોરોના સંક્રમણનો શિકાર બનીએ તો પણ ‘શૂળીનો ઘા સોયથી સરે’ તે માટે હાલના સંજોગોમાં વેક્સિનેશન આવશ્યક છે. ભારતમાં નવી રસીકરણ નીતિના પ્રથમ દિવસે જ ૮.૨ મિલિયનથી વધુ લોકોને વેક્સિન આપવાનો વિક્રમ નોંધાયો હતો. આમ છતાં વેક્સિનેશન ટેબલમાં તે ૧૬.૧ની ટકાવારી સાથે ૧૬મા ક્રમે છે જ્યારે યુકે ૬૨.૯ની ટકાવારી સાથે પ્રથમ ક્રમે છે. સરકાર બધે પહોંચી શકે નહિ અને તે વધુમાં વધુ નાણા ખર્ચી શકે પરંતુ, આપણા બધાનું સ્વાસ્થ્ય બચાવી શકે નહિ. સરકારની જેમ આપણે પણ નાગરિકધર્મ બજાવવાનો રહેશે.