ભારતીય કોંગ્રેસ પાર્ટી આજે તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઇ રહી છે. દેશની આઝાદી બાદ દાયકાઓ સુધી કોંગ્રેસનું એકહથ્થુ શાસન રહ્યું હતું. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ સામે કોઇ પડકાર નહોતો. રાજીવ ગાંધીના સમય સુધી પાર્ટી અત્યંત મજબૂત હતી. પરંતુ આ પછી ગઢના કાંગરા ખરવા લાગ્યા હતા. કોંગ્રેસથી અલગ પડીને શરદ પવાર, મમતા બેનરજી જેવા મજબૂત નેતાઓએ પ્રાદેશિક મૂળિયાં મજબૂત બનાવી લીધા છે. રાજકીય પક્ષોના સારા અને નરસા દિવસો આવતા જતાં રહે છે પરંતુ કપરા સમયમાં નવી રણનીતિ સાથે ઝંપલાવતા પક્ષો જ સફળતા હાંસલ કરી શકે છે. એક સમયે ભારતીય જનતા પક્ષની લોકસભામાં માત્ર બે બેઠક હતી પરંતુ, તેણે નીતિઓમાં સાતત્ય જાળવી નેતાગીરીની બીજી કેડર તૈયાર કરી હતી. આજે પરિણામ આપણી સમક્ષ છે.
આંતરિક વિખવાદ કે મતમતાંતર દરેક રાજકીય પાર્ટીમાં હોય જ છે. કોંગ્રેસ પાર્ટીમાં વિખવાદ કરતાં જૂથબંધી વધુ છે. કોંગ્રેસમાં ખાટલે મોટી ખોડ એ છે કે તે ગાંધી પરિવારના એકહથ્થુ નિયંત્રણ હેઠળ છે. લોકતાંત્રિક વ્યવસ્થાના બદલે કોંગ્રેસ સંપૂર્ણ રીતે ગાંધી પરિવારની આશ્રિત બની ગઇ છે. નિઃશંકપણે સોનિયા ગાંધીએ સત્તાસ્થાને કોંગ્રેસના પુનરાગમનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પરંતુ, હવે તેઓ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે વધુ કામગીરી બજાવી શકે તેમ નથી. અત્યાર સુધી રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી તરફ જ કોંગીજનો મીટ માંડીને બેસી રહે છે કે ગાંધી પરિવારના ફરજંદો કોઈ ચમત્કાર કરશે અને સત્તાના પતાસા મોંમા આવી પડશે. જોકે, આ દૂરના ભવિષ્યમાં પણ શક્ય બને તેમ લાગતું નથી કારણકે પાર્ટીમાં યુવા લોહીને કોઈ મહત્ત્વ અપાતું નથી અને રાહુલ ગાંધી તો હંમેશાં શેક્સપિયરના પ્રસિદ્ધ પાત્ર હેમલેટની ‘ટુ ડુ ઓર નોટ ટુ ડુ’ની મનોદશામાં જ રાચતા હોય તેમ દેખાઈ આવે છે.
કોંગ્રેસમાં સંગઠનના સંચાલન અને પ્રોફેશનાલિઝમનો સાવ અભાવ જણાય છે.આ સંજોગોમાં કોંગ્રેસને અસ્તિત્વ ટકાવવું ભારે પડી રહ્યું હોય તેમ લાગે છે. કોંગ્રેસ હવે પ્રાદેશિક પક્ષોની બગલબચ્ચા જેવી બની ગઈ છે. નરેન્દ્ર મોદી સરકારની નીતિઓનો ઉગ્ર વિરોધ કરવાના બદલે થોડાં નિવેદનો આપીને સંતોષ માની લેવાતો હોય ત્યારે પક્ષમાં ચેતના ક્યાંથી આવશે તે સમજી શકાતું નથી. લોકશાહી દેશમાં વિરોધપક્ષ મજબૂત હોવો જરુરી છે જે શાસક પક્ષની સ્વછંદતા પર રચનાત્મક અંકુશ લાવી શકે. કોંગ્રેસ તદ્દન વિપરીત અવસ્થામાં છે. કોંગ્રેસે ફરીથી બેઠા થવા માટે ભાજપની જેમ જમીની સ્તરેથી કામગીરી શરુ કરવી પડશે. લઘુમતી તુષ્ટિકરણની યુગોપુરાણી નીતિ છોડી નવા મુદ્દાઓ સાથે જનતાનો અવાજ બનવું પડશે. જો લોકોનો સાથ મળશે તો આજે નહિ તો કાલે પણ સત્તા અવશ્ય હાથ લાગશે.